Atul from

Saturday 29 December 2018

નાદ

નાદ બે પ્રકારના છે ૧-આહત નાદ, ૨- અનાહત નાદ.

🎺✍️આહત નાદ🎺

✍️એટલે બે કે વધારે વસ્તુ અથડાય અથવા ભેગી થાય અને એના ઘર્ષણ થી જે અવાજ ઉત્પન્ન થાય તેને આહત નાદ કહેવામાં આવે છે. ઉદાહરણ 👏👏બે હાથે તાળી પાડવી તો અથડામણ થી અવાજ ઉત્તપન્ન થાય છે. અવાજને આમતો વૈજ્ઞાનની ભાષામાં કંપન કહે છે. જેને અંગ્રેજી મા ડેસીબલ પણ કહેવાય આ 💥ધ્રુજારી બહુજ સુક્ષ્મ હોય છે. અને ચોમાસામાં જ્યારે વીજળી⛈️ થાય ત્યારે એક અનુમાન લગાડવામાં આવેછે. કે પહેલા પ્રકાશ દેખાય અને અમુક સેકન્ડ પછી અવાજ આવે. આ અનુભવ આપણે જાતે કરી લેવો જો આપણે જે જગ્યાએ ઉભા હોયે અને દૂર વીજળી જબૂકતી હોય અને પહેલા પ્રકાશ દેખાય પછી અવાજ આવે તો સેકન્ડની ગણત્રી કરવી ત્રણ સેકન્ડ હોય તો ત્રણ માઈલ દૂર વીજળી થઈ. હવે આના ઉપરથી અવાજ પ્રકાશ કરતા એની ગતિ ઓછી છે. આ વિજ્ઞાનિક સાબિતી છે. અને પ્રકૃતિ નો નિયમ છે. પ્રકાશની ગતિ અવાજ કરતા વધુ હોય છે.
તો આપણે આહત નાદ ની વાત કરતા હતા. વીજળી થવી એનો અવાજ થવો. આનું શુ કારણ છે તો જ્યારે વિરુદ્ધદિશાના વાદળો આપસમાં અથડાય તો એના ઘર્ષણ થી ધ્રુજારી ઉત્પન્ન થાય. તો સૌથી પહેલા વીજળી અને બીનો અવાજ. તો અનાહત નાદ આ રીતે ઉત્પન્ન થાયછે. બીજા ઉદાહરણ લાઈયે તો પાણીમાં પાણીનુંજ જળબુંદ પડે તો ટપ ટપ અવાજ આવે. પવન કોઇને સાથે અથડાય તો અવાજ આવે. આવા અનેક આહત નાદ ના ઉદાહરણો છે.

🎶હવે અનાહત નાદ🎶

અનાહત નાદ એટલે કોઈ કોઈથી અથડાતું નથી કે કોઈ કોઈના સંપર્ક મા આવતું નથી છતાંય અવાજ સભળાવવો. એને અનાહત નાદ કેવાય.
ધ્વનિ ને ઉત્પન્ન થવાના કારણ ઉપર આહત નાદ માં સમજ્યા કે બે વસ્તુ અથવા વધારે વસ્તુ આપસમાં ઘર્ષણ થાય અથડાતા જે ધ્વનિ ઉત્પન્ન થાય તેને આહત નાદ કેવાય.
હવે ધ્વનિ એટલે શુ ?
અવાજ એટલે શુ ?
નાદ એટલે શુ ?
ગુંજાર એટલે શુ ?
શબ્દ એટલે શુ ?
સ્વર એટલે શુ ?
આમતો આ જેટલા પ્રશ્ન છે તે સમાન અર્થ વાળા છે. પણ આ અર્થ ને સમાન થવા માટે પ્રક્રિયા જુદી જુદી છે.

ધ્વનિ કેમ ઉત્પન્ન થાય- ઘંટ વગાડયે તો વગાડવા પછી જે ધ્વનિ લાંબી થાય છે અને સૂક્ષ્મ થઈ સમાય છે. જેમ ટનનનન...

અવાજ કેમ ઉતપન્ન થાય- ઘંટ ને અને એમાં રહેલો નાનો ધોકો એક બીજા સાથે અથડાવીએ અને કંપન થાય તંગ અવાજ થાય. પછી એ ધ્વનિ મા પરિવર્તિત થઈ લંબાઈ જાય ટનનનન..ઉપર કીધું એમ

ગુંજાર એટલે- સૌથી સારું ઉદાહરણ ભમરો છે. આપ સમજી ગયા હશો. ભમરો જો આપણી આજુ બાજુ ઉડતો ઉડતો આવી જાય તો સૌથી પેલા એના ગુંજાર ઉપર આપણુ લક્ષ જાય અને હજાર અગત્યના કામ મૂકી ધ્યાન ત્યાં દોરાય. કારણ શુ કારણ કે ગુંજાર એની પાંખો ફફડાવવા માંથી નીકળતો હોય છે. અને એ ગુંજાર નો સબંધ એક સાન એક ઈશારો છે જે નો નાતો જાણે અજાણે આપણી સુરતા સાથે છે.

શબ્દ એટલે- છત્રીસ અક્ષર અને સોળ વ્યંજન બાવન અક્ષર નો સમૂહ
જેમાં તમને આખા બ્રહ્માંડના જેટલા ઘાટ છે એનું ઉચ્ચારણ શબ્દ સમૂહ દ્વારા કરી શકો છો. દરેક ભાષાને સંસાર ની કોઈ પણ ભાષા શબ્દ સમૂહ દ્વારા બોલાય છે.
શબ્દ માં છે ઉચ્ચાર થાય તેને શબ્દ કહેવાય. વાણી કહેવાય આપણા સંતો આપણને વાણી દ્વારા ઘણું સમજાવી ગયા છે. આપ સહુ જાણો છો. સમજાવ્યું એકજ છે. ઈશ્વર નું નામ ઈશું ભગવાન એમની ભાષામાં કહી ગયા. શ્રી કૃષ્ણ ગીતામાં કહી ગયા. બંગાળના સ્વામી વિવેકાનંદ બંગાળી ભાષામાં કહી ગયા તો શબ્દ ઉચ્ચાર એ એજ મનુષ્યને ચેતાવવા માટે ઉપયોગ લેવામાં આવે છે. આધ્યાત્મિક દ્રષ્ટિ કહું છુ. અને આ ઊંડું રહસ્ય સમજવાનો પ્રયત્ન કરીશકે માટે શબ્દથીજ શબ્દ પાર સાયબો સમજાશે અને પછીજ જીવણ બાપા આવું શબ્દની પાર સાયબો છે. એ સચોટ કીધું. કે
"નહીં આખરની ઉત્પતિ નહીં લખવાની લી,
દાસી જીવણ ને ભીમ ભેટ્યા, રાતનો થયો દી."

તો શબ્દ ની અંદર અને શબ્દ ની બાર કેમ છે તે સમજવું, તો આપણા મનમાં પ્રશ્ન ઉત્તપન્ન થાય કે બેરો મનુષ્ય કેમ શબ્દ દ્વારા સમજે તો અહી બેરા માણસ માટે શબ્દ કાઈ કામનો નથી પણ ઈશારો તો કામનો છે. તો ઇ ઉષારો તો બેરો પણ સમજી જાય મૂંગો વર્ણવી જાય અને સુરદાસ એને ભાળી જાય. આવા ધાણા દ્રષ્ટાંતો છે.

તો અનાહત નાદ એકજ છે જેનું ઉત્પતિ નુ પણ કારણ નથી કોઈજ કારણ વગર એક એવો નાદ છે જેમાં દસ પ્રકારના નાદ છે. આમ આ દસ નાદ ની માથે એક નાદ અનાહત નાદ છે.

આ બધાજ નાદ મનુષ્યને ધ્યાન દોરવા એને ચેતાવવા મંદિર માં આરતી વખતે વગાડવા મા આવતા હોય છે. આ મંદિર તો દ્રષ્ટાંત છે.

પણ આપણા આ ઘટ મંદિર મા રણુકાર ની આરતી અખંડ ચાલી રહી છે. ત્યાં આ બધાજ નાદ આપોઆપ થઈ રહ્યા છે. ત્યાંજ એક મહાપુરુષ બેઠા છે. તેના ઘરે આવી આરતી અખંડ ચાલી રહી છે. અને સુરતા નામની સુંદરી એના પિયાની આરતી ઉતારી રહી છે.

પહેલો નાદ:- ઘંટ નાદ
બીજો :- જાલરી નાદ
ત્રીજો :- શંખ નાદ
ચોથો. :- શીંગી નાદ
પાંચમો. :- નોબત(નગરુ)
છઠ્ઠો. :- વીજળી નો નાદ
સાતમો. :- તૂરી નાદ(શહેનાઈ જેવું વાજિંત્ર)
આઠમો :- વીણા નાદ
નવમો. :- ટુંબી નાદ
દસમો. :- ભ્રમરી નાદ(ગુંજાર)
અગિયારમો :- આ બધા નાદ નો મુખ કેવાય એવો રણુકાર નાદ.

તો આખુંય બ્રહ્માંડ એમાં સકળ સંસાર આ બધાની ઉત્પતિ નાદ છે.
અને એ નાદ ક્યાં થઈ રહ્યો છે. ત્યાં કોઈની ઇન્ટ્રી નથી. કારણ એજ નાદ સહુનું કારણ મહાકારણ છે. અને અંતે આ નાદ જે દેશમાં થાય છે.તે અગમ ભૂમિ મા આજે સહુ સંતો વિરાજમાન છે. આપણા ગુરુદેવ આવા લોકમાં રહે છે. આપણા માટે આવા સત્પુરુષ કેડી રસ્તો કરતા ગયા છે. કે આ રસ્તે ચાલનારા ને તકલીફ ના થાય માટે પેલા એમણે તકલીફો વેઠી, કોણે કોણે જોવો ધ્રુ, પ્રહલાદ,હરિસચંદ્ર, તારામતી,રોહિત કુમાર,મોરધ્વજ રાજા,શિબિ રાજા,કબીર સાહેબ,ભાણ સાહેબ,રવિ સાહેબ,ત્રિકમ સાહેબ,મોરાર સાહેબ,ભીમ સાહેબ, અને જીવણ સાહેબ કૂવામાં ઉતારવામાં આવ્યા, જેલમાં પુરવામા આવ્યા, નરસી મહેતાને જોવો પરચા પચીસ પચાસ,રોહિદાસ બાપા,મીરાબાઈ, જેસક પીર,આવા અનેક સંતો જેણે પોતાના બલિદાન દેવા માટે પાછો પગ કર્યો નથી શા માટે ધર્મ નો મહિમા અખંડ રહે માટે કાયા ના બલિદાન આપ્યા. અને અત્યારે આ આપના માટે રસ્તો કરી ગયા કે બીજાને આ માર્ગે હાલતા સરળતા પડે વેઠવું નો પડે માટે. તો આ નાદ ને જાણવો માણવો અને અધિકારી થવું એ બધું જવા દો. પણ નાદ ના ગુંજાર મા પોતાનું સમર્પણ કરી દો. જેમ પતંગિયું દીપક મા પોતાના પ્રાણ ની આહુતિ આપે છે. જળ શેવાળ અને માચલું જો ઘડીક છૂટું પડે તો પ્રાણ એના વસૂટે, મૃગલો નાદ સામે નિર્ભય થાય છે. તેમજ આપણે સહુને નિર્ભય થઈ આ નાદ ને આપણું સમર્પણ કરવાનું છે. અને આપણા સ્વાસા એમાં હોમવાના છે.

નાદ એજ મૂળ છે. પછી તો ઘટાઘોર વૃક્ષ સમાન સંસાર પ્રગટ છે.

🙏પ્રણામ સ્વીકારજો🙏
સંતપ્રેમી✍️હસમુખ મનુભાઇ બાબરીયા🙏

Wednesday 14 November 2018

શ્રી જલારામ બાપા વિશે ટૂંક માઁ પરીચય :--

જન્મ તારીખ-04/11/1799, સોમવાર, અભિજીત નક્ષત્રમાં વિક્રમ સંવત-1856ના કારતક સુદ સાતમ,

માતા :- શ્રી રાજબાઈ ઠક્કર

પિતા :- શ્રી પ્રધાન ઠક્કર

જન્મ સ્થળ :- ગામ વિરપુર

જનોઈ સંસ્કાર સંવત :-1870

લગ્ન સંવત :- 1872 , આટકોટ ના શ્રી પ્રાગજી સોમૈયા ની સુપુત્રિ શ્રી વીરબાઇ માં સાથે.

પત્ની :- શ્રી વીરબાઈ ઠક્કર

સંવત :-1873 શ્રી જલારામ નો પ્રથમ પરચો

પ્રભુ એ પત રાખી.

સંવત :- 1874 ચારે ધામ ની જાત્રા કરી.,

ફતેપુર ના ભક્ત શ્રી ભોજલરામ પાસે ગુરૂ કંઠી બંધાવી.

સંવત:-1876 મહા સુદી 2 તારીખ:-18/11/1820 સોમવાર ના શુભ દિવસે સદાવ્રત ની શરૂઆત કરી...

સંવત :- 1877 બાપા નુ બિરુદ પ્રાપ્ત થયું !

સંવત-1886 સાધુ સ્વરુપે ભગવાન આવ્યા વીરબાઇ મા ની માંગણી કરી છેવટે "ઝોળી ધોકો" આપ્યા..

સંવત :-1901 જામનગર મહારાજા રણમલ જી ના દરબાર માં બાપા ના હાથે વસ્ત્ર દાન વસ્ત્રો ખુટયા જ નહી.

સંવત :-1934 થાણા ગાલોળ ગામ ના જીવરાજ વડાલિયા ની ખાલી કોઠીયો બાપા ની લાકડી ના સ્પર્શ થી અનાજ થી ભરાઇ ગઇ...

સંવત :-1835 કારતક વદી નોમ સોમવાર તારીખ-18/11/1878 વીરબાઇ માં નો વૈકુંઠ વાસ.

સંવત :-1837 મહા વદી દશમ બુધવાર તારીખ-23/02/1881 ભજન ગાતા ગાતા 81 માં વર્ષ એ શ્રી જલારામ બાપા નો વૈકુંઠ વાસ.

સંતાન :- એક દીકરી - નામ - જમના બેન.

કોટડાપીઠા મુકામે તેમના લગ્ન થયા,

વિરપુર માં વંશ પૂજ્ય બાપા ના દીકરી ના દીકરા નો છે,

જેમને પૂજ્ય બાપા એ શાસ્ત્રોક્ત વિધિ મુજબ દત્તક લીધા હતા..

જયજય જલારામ બાપા.

દાન લીધા વગર વિરપુર જલારામ મંદિર કઈ રીતે ચાલે છે ?* જાણો સાચું કારણ

સંતોની ભૂમિ સૌરાષ્ટ્રમાં રાજકોટથી જેતપુર વચ્ચે વિરપુર નામનું ગામ આવેલું છે, જ્યાં સંત શ્રી જલારામ બાપાનું મંદિર આવેલું છે.

૧૪ નવેમ્બર ૧૭૯૯ ના રોજ જન્મેલા જલારામ ઠક્કરના માતા રાજબાઈ તેમજ પિતા પ્રધાન ઠક્કર ખૂબ જ ધાર્મિક પ્રકૃતિના હતાં. ધાર્મિક માતા રાજબાઈના કુખે પૂ. જલારામ બાપાનું અવતરણ થયું.
સેવા અને ધર્મનો વારસો તો પૂ. શ્રી જલારામ બાપાને શરૂઆતથી જ પ્રાપ્ત થયેલ. સંત ભોજલરામને ગુરુ બનાવ્યા અને વીરપુરમાં સદાવ્રત કાર્યરત કર્યું હતું કે જે આજેપણ અવિરતપણે ચાલું છે.

‘ દેને કો ટુકડા ભલા લેને કો હરિનામ ‘ તેવી વાત કરનારા જલારામ બાપાએ વિરપુરમાં સદાવ્રત શરુ કર્યું હતું, જ્યાં આજેપણ રોજના સરેરાશ ૫ થી ૬ હજાર શ્રદ્ધાળુઓ – ગરીબો ભોજન પ્રસાદ આપવામાં આવે છે, તહેવાર અને રજાના દિવસોમાં આ આંકડો ઘણો વધી જતો હોય છે જો કે મહત્વની વાત એ છે કે વિરપુર – જલારામ મંદિરમાં ક્યાંય દાન સ્વીકારવામાં આવતું નથી.

દાન લીધા વગર પણ રોજના હજારો ભાવિક ભક્તજનોને ભોજન પ્રસાદ પીરસવામાં આવે છે. તેમજ વિરપુર જલારામ મંદિરમાં પણ ભક્તજનોને ભોજનપ્રસાદ લઈને જ જવા મંદિરના સેવકો દ્વારા આગ્રહ કરવામાં આવે છે.
છેલ્લા ૧૯૮ વર્ષથી વિરપુરમાં શ્રદ્ધાળુઓને ભોજન આપતું સદાવ્રત કાર્યરત છે.

કઈ રીતે દાન લીધા વગર ચાલે છે જલારામ મંદિરમાં આટલું મોટું રસોડું ?

દેશભરમાં મંદિરોમાં મોટાપાયે દાન લેવામાં આવે છે, ઘણા મંદિરોમાં દાનનો આંકડો તો હજારો કરોડ સુધી પણ પહોંચી જાય છે, તો ઘણા મંદિરોના ટ્રસ્ટમાં રાજકારણ અને નેતાઓ જ ટોચના સ્થાને પહોંચી ગયા છે તો ઘણા મંદિરોના ટ્રસ્ટના મોટાપાયે દાનને કારણે તેના વિવાદો અને ગેરવહીવટો સામે આવતા રહે છે.
ત્યારે આ બધાથી અલગ વિરપુરમાં આવેલા જલારામ મંદિરમાં ક્યાય દાનપેટી જોવા નહી મળે, કોઈ જાણતા – અજાણતા પણ જો જલારામ મંદિરમાં ક્યાય રૂપિયા ધરાવતા દેખાઈ જાય તો તેમને વિનમ્રતાપૂર્વક રોકવા મંદિરના સેવકો ખડેપગે જ રહે છે.

વિરપુર ગુજરાત જ નહી પણ દેશ અને દુનિયાના અનેક ભક્તોનું આસ્થાનું કેન્દ્ર છે ત્યારે આપ આ મંદિરમાં દાન ના લેવાતું હોવાની વાતથી તો અજાણ નહી જ હોવ.
પરંતુ તેવો પ્રશ્ન આપને જરૂરથી થતો હશે કે કોઇપણ પ્રકારનું દાન કે ભેટ સોગાદ લીધા વગર રોજના હજારો લોકોને ભોજન પ્રસાદ પીરસતું વિરપુર જલારામ મંદિર કઈ રીતે ચાલે છે ?

તો ૯ ફેબ્રુઅરી, ૨૦૦૦ ના રોજ વિરપુર જલારામ મંદિરમાં દાન સ્વીકારવાનું બંધ કરવામાં આવ્યું હતું,અગાઉ મંદિરમાં રોકડ, અનાજ સહિતનું દાન આપવામાં આવતું હતું પરંતુ જલારામ બાપાના વંશજ જયસુખરામ બાપાએ પરિવારજનોમાં ચર્ચા કરી મંદિરમાં દાન સ્વીકારવાનું બંધ કરાવ્યું હતું.
દાન ના સ્વીકારવાના કારણમાં મંદિર જોડે પુરતું દાન આવી ગયું હોવાની અને તે દાનથી આવનારા ૧૦૦ વર્ષ સુધી સદાવ્રત ચાલતું રહેશે તેમ કહેવાય છે. જલારામ બાપાના આ મંદિરમાં દરવર્ષે શ્રદ્ધાળુઓની સંખ્યા વધતી રહે છે
હાલના પ્રચારયુગમાં પણ આસ્થાનું કેન્દ્ર જલારામ મંદિર દ્વારા પ્રચાર માધ્યમોમાં છવાયેલા રહેવા, ચર્ચામાં રહેવા, પ્રસિદ્ધિ મેળવવા કે નામના મેળવવાના કોઈ પ્રયાસ થતા નથી, તે પણ ઘણી મહત્વની વાત છે.


એક સાચી સેવાની ભાવના અને શ્રદ્ધાથી મંદિર ચાલતું હોય ત્યાં કોઈ પ્રસિદ્ધિની જરૂર રહેતી નથી. જ્યાં રૂપિયા અને પ્રસિદ્ધિ હોય તે વિવાદ અને મૂળ હેતુથી ભટકી જાય તેથી જ આજેપણ તેનાથી દુર રહેલા વિરપુર મંદિરની શ્રદ્ધા અડગ છે.
વિરપુર જલારામ મંદિર દેશનું એકમાત્ર એવું મંદિર છે કે જ્યાં કોઇપણ પ્રકારનું દાન સ્વીકારવામાં આવતું નથી.
લોકોને ખવડાવવામાં માનતા જલારામબાપાના તે વિચારોને આજેપણ તેમના મંદિરો દ્વારા આગળ વધારવામાં આવી રહ્યા છે. લોહાણા જ્ઞાતિના લોકો વિશેષ માને છે ઉપરાંત દરેક જ્ઞાતિ – ધર્મના લોકો જલારામબાપાને માને છે.
જલારામબાપા દરેક જ્ઞાતિ અને ધર્મના લોકોની વચ્ચે જઈને સેવાકીય પ્રવૃત્તિઓ કરતાં હતા અને આજેપણ તેમના સાચી સેવાના વિચારો જીવનમાં ઉતારવા જેવા છે. વિરપુર ઉપરાંત ચોટીલામાં પણ જલારામબાપાનું ભવ્ય મંદિર આવેલું છે.

Thursday 4 October 2018

અમદાવાદ વિશે જાણો

શું તમે ક્યારેય વિચાર્યું છે કે નવરંગપુરાનું નામ કેવી રીતે પડ્યું? કે પછી શાહીબાગ નામ કોણે પાડ્યું હશે? મીઠાખળી નામ કોના દિમાગમાં આવ્યું હશે? અમદાવાદમાં દરેક વિસ્તારના નામ પાછળ કોઈને કોઈ રસપ્રદ કિસ્સો રહેલો છે. જાણો અમદાવાદના જાણીતા વિસ્તારના નામ કેવી રીતે પડ્યા.

 *શાહીબાગ:*

શહેનશાહ શાહજહાંએ 1630માં દુકાળ પડ્યો ત્યારે રાહત કાર્ય માટે આ વિસ્તાર બનાવ્યો હતો. અહી 12 બુરજ (કિલ્લા) આવેલા હતા અને તેની અંદર રાજા તથા તેના અધિકારીઓ માટે મહેલો, કમાનો, બાગ બગીચા બનાવવામાં આવ્યા હતા. રસપ્રદ વાત એ છે કે શાહજહાંએ શાહીબાગ તો બનાવ્યો પરંતુ પ્રવેશ દ્વાર નીચો હોવાથી તે તેમાં હાથી પર બેસીને પ્રવેશી શક્યો નહતો. આથી તે મોં ફેરવીને ગુસ્સામાં જતો રહ્યો હતો અને પછી ક્યારેય આ વિસ્તારમાં આવ્યો નહતો. પ્રવેશ દ્વાર ફરી બન્યો ત્યાં સુધીમાં તો સત્તા બદલાઈ ચૂકી હતી અને શાહજહાંનો પુત્ર ઔરંગઝેબ સત્તા પર આવી ગયો હતો. કપિલ રાય મહેતાએ એડિટ કરેલા પુસ્તક અમદાવાદ 1958 મુજબ શાહજહાં ફરી ક્યારેય અમદાવાદ આવ્યો નહતો.


 *મીઠાખળી:*

મીઠાખળી અગાઉ ચંગીઝપુર તરીકે જાણીતુ હતુ. તે મહેમૂદના ગુલામ ચંગીઝખાને બનાવ્યું હતું. આ વિસ્તારમાં મીઠુ એટલે કે નમક વિપુલ માત્રામાં ઉપલબ્ધ હતુ. આ વિસ્તારમાં મીઠાના અનેક ખળા હોવાને કારણે તેનું નામ મીઠાખળી પડી ગયુ હતુ.

 *કોચરબ-પાલડી:*

આ વિસ્તારનું નામ દેવી કોચ્ચરવાના નામ પરથી પડ્યું છે. કરણદેવ સોલંકી આ વિસ્તારના સ્થાપક હતા.

 *સી.જી.રોડ:*

આ રોડનું નામ શહેરના અગ્રણી મોભી ચીમનલાલ ગિરધરલાલના નામ પરથી પડ્યું છે.

 *પ્રિતમનગર:*

આ અમદાવાદની સૌપ્રથમ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી હતી અને તેનું નામ સરદાર પટેલે સોસાયટી બાંધનાર પ્રિતમરાય વ્રજરાય દેસાઈના નામ પરથી પાડ્યું હતું.

 *આંબાવાડી:*
આંબાવાડી એટલે આંબાના અઢળક ઝાડ હોય તે વિસ્તાર. આ વિસ્તારમાં અનેક આંબા હોવાથી તેનું નામ આંબાવાડી પડ્યું હતુ પરંતુ હવે આ વિસ્તારમાં આંબા નથી રહ્યા.

 *સેટેલાઈટ:*

ઘણાને એવુ લાગે છે કે આ વિસ્તાર નવુ અમદાવાદ હોવાને કારણે તેનું નામ સેટેલાઈટ પાડવામાં આવ્યું છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે અહીં ISROની સ્થાપના થતા વિસ્તારનું નામ સેટેલાઈટ પડી ગયુ હતુ.

 *આસ્ટોડીયા:*

એવી ધારણા છે કે આ વિસ્તારમાં આસ્ટોડિયન, અસોરિયમ નામનું સબર્બ હતુ. તેના પરથી આસ્ટોડિયા દરવાજા નામ પાડવામાં આવ્યું છે.

 *કાંકરીયા:*

કાંકરિયાનો અર્થ થાય છે બહુ કાંકરા વાળી જગ્યા. સુલતાન કુતુબુદ્દીન તેના સાવકા ભાઈ ફતેહ ખાનને મારવા માંગતો હતો. તેનો સાવકો ભાઈ તેની માતા બીબી મોઘલી સાથે હઝરત ઈ શાહ એલાનની નજરબંધીમાં હતો. સુલતાને તળાવ અને નગીના વાડી બનાવાનું શરૂ કર્યું. તેને આશા હતી કે ફતેહ ખાન ત્યાં ફરવા આવશે તો તે તેને કેદ કરી લેશે પરંતુ શહેઝાદો એ વિસ્તારમાં ક્યારેય આવ્યો જ નહિં. હઝરત-ઈ-શાહ આલમ ખોદકામ ચાલતુ હતુ ત્યારે આ વિસ્તારમાંથી પસાર થયા હતા અને તેમને પગમા કાંકરો વાગતા બોલી ઉઠ્યા હતા કે કેવો કાંકરો છે! આ ઘટના પરથી તળાવનું નામ કાંકરિયા પાડવામાં આવ્યું હતું.

 *મણિનગર:*
એક વખત અમદાવાદમાં સૌથી વધારે બાગ આ વિસ્તારમાં હતા. આ વિસ્તાર શેઠ મણિલાલ રણછોડલાલની યાદમાં માણેકલાલ મણિલાલ અને છોટાલાલ કેશવલાલ દ્વારા સ્થાપવામાં આવ્યો હતો. આ વિસ્તાર મુંબઈની સરકારના સર્વેયર એ.ઈ મીરા અને કમિશનર એફ.જી પ્રત તથા ચેટફિલ્ડના કલેક્ટર દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો.

 *નવરંગપુરાઃ*
ઔરંગઝેબના સુબા નવરંગમિયાંના નામ પરથી આ વિસ્તારનું નામ પડ્યુ છે. આ વિસ્તાર લગભગ 240 વર્ષ પહેલા બાંધવામાં આવ્યો હતો.

 *ઉસ્માનપુરાઃ*

આ વિસ્તાર કુતુબ-ઈ-આલમના વારસદાર સૈયદ ઉસ્માન દ્વારા સ્થાપવામાં આવ્યો હતો. આ વિસ્તાર ઘી અને ભારતીય ઔષધોના વેપાર માટે જાણીતો હતો.

 *સરસપુરઃ*

અમદાવાદનું આ સૌથી મોટુ સબર્બ હતુ. આ વિસ્તારનો કિલ્લો 1848માં બાંધવામાં આવ્યો હતો. તે સારુ હોવાથી આ વિસ્તારને સરસપુર નામ આપવામાં આવ્યું હતું.


 *કાળુપુરઃ*

મહેમુદ બેગડાના અમીર અબા હાજી કાળુના નામ પરથી આ વિસ્તારનું નામ પાડવામાં આવ્યું છે.

Thursday 24 May 2018

જસમા ઓડણ અને વીર મેઘમાયો

**જસમા ઓડણ અને વીર મેઘમાયો**

  વણકરજ્ઞાતિની અસ્મિતાનુ શિરમોર પ્રતિક ૩૨ લક્ષણા મહાવીર મેઘમાયાની યશોગાથા સમય ઇ.સ. ૧૧૩૮. ગુજરાત રાજ્યના માથે સોલંકી વંશની ઘજા ફરકતી હતી. સોલંકી વંશના છઠ્ઠા ગાદીવારસ તરીકે સિધ્ધરાજ જયસિંહ સોલંકી પાટણમાંથી સમગ્ર ગુજરાતમાં શાસન કરી રહ્યા હતા. રાજા સિધ્ધરાજ જયસિંહ સોલંકી બાંધકામના ઘણા શોખિન હતા. તેમણે પોતાના દાદાના વખતથી અધુરુ રહેલ “રુદ્રમહાલય” નુ બાંધકામ પુર્ણ કરી ભારેપ્રસિધ્ધિ મેળવેલ.
    સૌરાષ્ટ્રમાં પણ તેમણે ઠેર-ઠેર ઘણા મંદિરો, પાણીની વાવો અને ગઢ બંધાવેલ, જેના અવશેષો આજે પણ આણંદપુર, ચોબારી, વઢવાણ વગેરે સ્થળોએ જોવા મળે છે.. સિધ્ધરાજ જયસિંહ સોલંકીની રાજ્યની રાજધાની પાટણ હતી જેના લિધે તેઓ પાટણ નરેશ કહેવાતા. પોતાના બાપ- દાદાના સમયની પાટણની રોનક બદલવા તેઓએ સુંદર બાંધકામો હાથ ધરેલ.
     આવાજ એક પ્રયત્નોમાં દુર્લભરાજાએ બંધાવેલ પરંતુ પાણીના અભાવે સદાય સુકાયેલા રહેતા તળાવને ફરીથી ખોદાવવા તેમણે માલદેવથી ઓડો, બનાસકાંઠા અને રાજસ્થાનના મજુરો બોલાવેલા. આ મજુરોમાંની એક સ્વરુપવાન સ્ત્રી “જસમા ઓડણ” પર તેઓ મોહી પડેલા.
જસમાને પોતાની રાણી બનાવવા અનેક વિનવણીઓ તેમણે કરી પરંતુ પોતાના પતિને તન- મનથી સમર્પિત જસમા રાજા સિધ્ધરાજ જયસિંહની રાણી બનવા રાજી ન થયા અને પાટણ છોડી પોતાના ગામ જવા રવાના થયા જ્યાં રસ્તામાં સિધ્ધરાજ જયસિંહના સૈનિકોએ જસમાના પતિને મારી નાખ્યા અને જસમાને પકડી રાજા સામે રજુ કર્યા.
      રાજા સામે હાજર થયેલ વિધવા જસમા ઓડણે પોતાના કપડામાં છુપાયેલ કટારી પોતાના પેટમા ઉતારી દીધી અને મારતાં મારતાં તેમણે રાજા સિધ્ધરાજ જયસિંહને શ્રાપ આપ્યો કે પાટણના દુર્લભ સરોવરમાં ક્યારેય પાણી નહિ આવે અને પાટણની પ્રજા પાણી વગર તરફડશે. સતી જસમા ઓડણના શ્રાપથી શિવભક્ત સિધ્ધરાજ જયસિંહ ઘણા વ્યથિત થઇ ગયાં અને પોતાના પાપના પ્રાયશ્ચિત રુપે સૌરાષ્ટ્ર અને ગુજરાતના અન્ય ભાગોમાં શિવમંદિરો બંધાવ્યા.
      તેવી જ રીતે દુર્લભ સરોવરને ખોદાવી ૧૦૦૦ શિવલિંગ ધરાવતુ અન ૫૦૦ માઇલના ઘેરાવાનુ “સહસ્ત્રલિંગ” તળાવ બનાવ્યુ અને તેમાં વચ્ચે મોટું રુદ્રેશ્વર મહાદેવનુ મંદિર પણ બંધાવ્યુ. વર્ષો સુધી આ મંદિર અને તળાવમાં દરરોજ સવાર સાંજ આરતી થાય ત્યારે ખુદ રાજા સિધ્ધરાજ જયસિંહ હાજર રહેતાં. પરંતુ સતિ જસમા ઓડાણના શ્રાપના પ્રભાવે સહસ્ત્રલિંગ તળાવમાં પાણી ન રહ્યુ. જેના લીધે પાણીની સમસ્યા વિકટ બની અને પાટણમાં લોકો પાણી વગર તરફડવા લાગ્યા.
       આ શ્રાપમાંથી મુકત થવા રાજા સિધ્ધરાજ જયસિંહએ પોતાના રાજ્યમંત્રી મુંજાલ દ્વારા અનેક ધર્મગુરુઓ, જ્યોતિષિઓ, બ્રાહ્મણોની સભા બોલાવી. જ્યાં પોથીઓ વંચાઇ, ઘણી ચર્ચા વિચારણાઓ થઇ, શાસ્ત્રોનો અભ્યાસ થયો અને અંતે ઉપાય જણાવાયો કે જસમા ઓડાણના શ્રાપથી મુકત થવા અને પાટણની પ્રજાને પાણીના વલખા મારતી અટકાવવા ઘરતી માતા બત્રીસ લક્ષણા જીવતા નરનુ બલિદાન માંગે છે! આ સાંભળી સભામાં સર્વે મહાનુભવો સ્તબ્ધ થઇ ગયા. રાજા સિધ્ધરાજ જયસિંહએ સભામાં હાજર લોકો સમક્ષ બલિદાન આપવા હાકલ કરી, પણ કોઇ રાજી ના થયુ.
      ત્યારબાદ બલિદાનની હાકલ કરવા ૭-૭ દિવસ રાજ્યભરમાં ઢંઢેરો પિટાવ્યો. પરંતુ બલિદાન આપવા કોઇ આગળ ન આવ્યુ કારણ કે સૌને પોતાનો જીવ વ્હાલો હતો. ત્યારે ઘોળકા પાસે રહેતો “વણકર” જ્ઞાતિનો વિરપુત્ર “માયો” પાટણના તરસ્યા માનવીઓ માટે બલિદાન આપવા તૈયાર થયો. નાનપણ માંજ પિતા ધરમશીના અવસાના બાદ દાદાની છત્રછાયામાં ઉછરેલ “માયો” માતા ગંગાબાઇ (ખેતીબાઇ) ના આશીર્વાદ સાથે પોતાના ઘર્મપત્ની હરખા (મરઘાબાઇ)ની રજા લઇ યજ્ઞની વેદીમાં હોમાવા તૈયાર થયો.
       ધોળકા વિસ્તારના સર્વજનો વાજતેગાજતે માયાને પાટણ ખાતે રાજા સિધ્ધરાજ જયસિંહના દરબારમાં લાવ્યા. દરબારમાં બેઠેલા રાજવીઓ, બ્રાહ્મણો અને અન્ય નગરજનો “મેઘમાયા” ને જોઇ ઉભા થઇ ગયા અને બોલ્યા “આ મેઘમાયો તો વણકર જ્ઞાતિનો અછુત છે, તેનુ બલિદાન ધરતી માતા નહિ સ્વિકારે!” આ સાંભળી રાજાએ સભામાં ઉપસ્થિત જ્યોતિષિઓ સામે જોયુ, જ્યોતિષિઓએ મેઘમાયા સામે જોયુ અને એક સ્વરે સભામાં જણાવ્યુ કે “હે રાજા! બિજાના માટે પ્રાણ ન્યોછાવર કરનાર મેઘમાયો અછુત નથી! એતો બ્રાહ્મણોનો પણ ગુરુ છે! બત્રીસ લક્ષણો વિર છે! આવા વિર નરનુ બલિદાન ઘરતી માતા જરુરથી સ્વિકારશે!” સિધ્ધરાજ જયસિંહએ મેઘમાયાને બલિદાન માટે પુછ્યુ ત્યારે માયાએ નિર્ભય, નિડર પરંતુ નમ્રતાથી જવાબ આપ્યો..
        “હે અન્નદાતા, મહારાજા, મારા બલિદાનથી જો પ્રજાજનોને પાણી મળે તો આ મસ્તક હાજર છે, પરંતુ આપને નત મસ્તકે એક અરજ છે.” રાજા બોલ્યા “બોલ વિર માયા બોલ, સંકોચ રાખ્યા વગર બોલ.” ત્યારે માયાએ શિશ ઝુકાવી અરજ કરી “મહારાજ! અમારી વણકર જ્ઞાતિ ભારે અધોગતિમાં છે. ગરીબ છે. પછાત છે. અસ્પૃશ્યતાનું કલંક લાગેલ છે તે દુર કરો. અમારા સમાજને જ્ઞાતિબંધનોમાંથી મુકત કરી નગર વચ્ચે નિવાસ, આંગણે તુલસીનો ક્યારો, પિપળાનો છાંયો, ઉત્તમ વસ્ત્રો પહેરવાની પરવાનગી, વેલ – વંશાવલી માટે વહિવંચા બારોટ સહિત સ્વાભીમાનથી જીવવા સમાન માનવીય અધિકારો આપો” જે સર્વ રાજા સિધ્ધરાજ જયસિંહ સોલંકિએ સ્વિકારી અને તેને પુર્ણ કરવાનુ વચન આપ્યુ. આમ ભારતના ઇતિહાસમાં દલિત સમાજને સમાન અધિકાર અપાવનાર વિર મેઘમાયા પ્રથમ મહામાનવ હતા.
        પરંતુ ઇતિહાસકારોના ચોપડે તેની કોઇ નોંધ નથી !! વિક્રમ સંવત ૧૧૭૨, મહાસુદ સાતમને શુક્રવારે વહેલી સવારે ઢોલ, શરણાઇ, ત્રાંસાની રમઝટ સાથે નગરજનોના અબીલ- ગુલાલ, અને પુષ્પવર્ષા વચ્ચે વિર મેઘમાયાની બલિદાન શોભાયાત્રા નીકળી. જેમાં રાજા સિધ્ધરાજ જયસિંહ, નગર શેઠ, ધર્મગુરુઓ, જ્યોતિષિઓ, બ્રાહ્મણો અને હજારો માનવ મેદનીના જય જય કાર સાથે, સતી જસમા ઓડાણના શ્રાપને મિટાવવા, પાટણના તરસ્યા માનવીઓના જીવ બચાવવા, શાસ્ત્ર મંત્રોચાર સાથે સહસ્ત્રલિંગ તળાવમાં પગ મુકતાવેંતજ આકાશમાંથી અમી છાંટણા થયા અને પાતાળમાથી ધસમસતા વેગથી જળધારાઓ ફુટી નિકળી અને પરોપકારી વીર મેઘમાયાએ જળ સમાધી લિધી..
     આજે પણ પાટણમાં આ ઐતિહાસિક તળાવ વિર મેઘમાયાના પરોપકારી બલિદાનની સાક્ષી પુરે છે. આમ લોક જીવનની રગેરગમાં વિર મેઘમાયાએ ચિરંજીવ સ્થાન પ્રાપ્ય કર્યુ. તે સંત શિરોમણી “મેઘમાયા” ને મેઘવાળ – વણકર સમાજ અતુટ શ્રધ્ધાથી પુજે છે. વિર મેઘમાયાના બલિદાનની ગૌરવ ગાથા કાયમી સ્મૃતિ તરીકે જળવાય તે માટે સિધ્ધપુર પાટણના ગુજરાત વણકર સમાજ સંલગ્ન “વીર માયા સ્મારક સમિતિ” ના પ્રયત્નોથી વિર માયાના બલિદાન સ્થળે ભવ્ય સ્મારક સંકુલ આકાર પામી રહ્યુ છે. જેના બાંધકામ માટે થઇ ગુજરાત સરકાર તરફથી ત્રણ કરોડ રુપીયા પણ ફાળવવામાં આવેલ છે. આ પ્રસ્તાવિત સંકુલમાં વીર માયા સ્મૃતિ મંદિર, સંશોધન કેન્દ્ર, ગ્રંથાલય, અતિથિભવન, બાલ ક્રિડાંગણ, ગુરુકુળ અને શ્રી વિરમાયાની યશોગાતા ગાતુ “Light & Sound Show” નુ પણ આયોજન કરવામાં આવનાર છે...

*વીર માયાને શત્ શત્ વંદન*

Saturday 7 April 2018

સંત પરંપરા

(૧)   અક્કલદાસ

રવિભાણ સંપ્રદાયના સંત કવિ. ભીમ સાહેબ (જન્મ ઇ.સ.૧૭૧૮)ના શિષ્ય. થાનગઢ (જિ. સુરેન્દ્રનગર)ના ગેડિયા બ્રાહ્મણ. ગુરુભાઈ : દાસી જીવણ. (ઇ.૧૭પ૦-૧૮રપ)

(ર)   અખો (ઇ.સ.૧૬૧પ-૧૬૭પ)

મધ્યકાલીન જ્ઞાનમાર્ગી વેદાન્તી કવિ. જન્મ જેતલપુર (જિ.અમદાવાદ)માં સોની જ્ઞાતિમાં.

(૩)   અખૈયો

સમર્થ જ્ઞાનમાર્ગી વાણીના સર્જક સંત કવિ. જેની ભજનવાણીમાં ગુરુમહિમા અને ભક્તિ જ્ઞાન ઉપાસનાનો સમન્વય થયો છે. ભૂતનાથ (ઇ.સ.૧૭૬ર)ના શિષ્ય. આદરિયાણા (તા.દસાડા કે પાટડી ? જિ.સુરેન્દ્રનગર.) ગામે ભાલિયા નાડોદા રાજપૂત જ્ઞાતિમાં જન્મ. ત્યાં અખૈયાની જાળનું વૃક્ષ અને ભૂતનાથનો ચોરો છે. જગ્યા છે. ગુરુ ભૂતપુરી મુંજપુરમાં રહેતા‚ અખૈયો રોજ ત્યાં જાય. વરસતા વરસાદે પહોંચ્યા. એક રબારી રોજ ભૂતનાથને દૂધ આપવા આવતો‚ એણે ગુરુએ આપેલ દૂધ ન પીધું‚ અખૈયાને પાયું ને એની ચેતના જાગૃત થઈ ગઇ.કેટલાક ભજનિકો ભૂતનાથને રામદેવપીરના ગુરુ બાળનાથના ગુરુ તરીકે પણ ઓળખાવે છે‚ એ મુજબ ભૂતનાથ શિષ્ય અખૈયો રામદેવપીરનો કાકાગુરુ થાય અને અખૈયાની દીકરી ડાલીબાઈ બહેન થાય… પણ આ વાતને કોઈ જ પ્રમાણ મળતાં નથી…

(૪)   અત્તરશાહ

સૂરજગરના શિષ્ય. જ્ઞાનમાર્ગી ભજન-વાણીના રચયિતા. સંત કવિ.

(પ)   અમરબાઈ

પરબના સંત દેવીદાસ (ઇ.સ.૧૭રપ-૧૮૦૦)નાં શિષ્યા સંત કવયિત્રી. પીઠડિયાના ડઉ શાખાના મછોયા આહિરનાં દીકરી. સાસરે જતાં રસ્તામાં પરબની જગ્યામાં રક્તપિત્તિયાઓની સેવા કરતા સંત દેવીદાસને જોઈને અંતરમાં ભક્તિભાવ જાગ્યો અને વૈરાગ્યવૃત્તિ પ્રબળ બનતાં સંસાર ત્યાગ કર્યો. એમના વિશે અનેક ચમત્કારો નોંધાયા છે. અનુમાને (ઇ.સ.૧૭પ૦-૬૦)માં અમરબાઈએ દીક્ષા લીધી હશે.

(૬)   અમરસંગ રાજા રાજ્યકાળ (ઇ.સ.૧૮૦૪ થી ૧૮૪૩)

સૌરાષ્ટ્રના  નાનકડા ધ્રાંગધ્રા રાજ્યના રાજવી ધ્રાંગધ્રામાં ‘રામ મહેલ’ નામે ઓળખાતું મંદિર બંધાવ્યું લોકો ભક્તરાજ તરીકે ઓળખતા‚ ભજનોની રચનાઓ  મળે છે.

(૭)   અરજણ (ઇ.સ.૧૯ મી સદી પૂર્વાર્ધ)

રવિ ભાણ સંપ્રદાયના સંતકવિ. દાસી જીવણ (ઇ.સ.૧૬રપ-૧૮પ૦)ના શિષ્ય. જામકંડોરણા પાસેના ભાદરા ગામના રાજપૂત. દીક્ષા ઇ.સ.૧૮૦૯-૧૦ માં કબીર પરંપરાની યોગ જ્ઞાનમાર્ગી ભજનવાણીના સર્જક. પ્રેમસાહેબ (ઇ.સ.૧૭૯ર ૧૮૬૩)ના ગુરુભાઈ.

(૮)   આનંદઘન (ઇ.સ.૧૬પ૦માં હયાત)

જૈન સંપ્રદાયના સાધુકવિ. મૂળ નામ લાભાનંદ. સિદ્ધ-અવધૂત પરંપરાના યોગી  પ્રેમી ભક્ત મહાપુરુષ.

(૯)   આંબાભગત આંબેવ (અવ. સં. ૧૯૩૦)

ચુડા (જિ. જુનાગઢ) ના કોળી પટેલ જ્ઞાતિમાં જન્મેલા ભક્તકવિ. ભીમગરજી મહારાજના શિષ્ય. પત્ની : મીણાંબાઈ‚ પુત્ર : હરજી‚ પૌત્ર : ડાયાભગત. ચુડામાં રામદેવજીનું મંદિર બંધાવ્યું. કેટલાક ભજનો પદોની રચના. શિષ્ય : ગોવિંદ ભગત. દાસી ભાવે પદોની રચના અવ.સં. ૧૯૩૦

(૧૦)  કચરો-મેઘ કચરો

હરિજન મેઘવાળ સમાજના‚ મહાપંથી સંતકવિ.

(૧૧)  કતીબશા

જેસલ તોરલ‚ રૂપાંદે માલદે (ઇ.સ.૧૩ર૬-૧૪૦૦)ના સમકાલીન રાજસ્થાની મહાપંથી સંતકવિ. જેમણે કદાચ કચ્છ સૌરાષ્ટ્રમાં પણ પરિભ્રમણ કર્યું હશે એમ એમની રાજસ્થાની મારવાડી ભાષામાં રચાયેલી ભજન રચનાઓની લોકપ્રિયતા અને ગુજરાતીકરણ પામેલાં ભજનો જોતાં લાગે છે.

(૧ર)  કનડપરી

દશનામી શૈવ પરંપરાના સંતકવિ.

(૧૩)  કબીર (ઇ.સ.૧૩૯૮-૧પ૧૮)

ભારતવર્ષના મુખ્ય સંત‚ સ્વામી રામાનંદના શિષ્ય‚ જન્મસ્થળ : કાશી‚  અવસાન : મગહર. રચના : સાખી‚ પદ‚ શબદી‚ રવૈણી આદિ. પ્રસિદ્ધ ગ્રંથ : ‘બીજક’.

(૧૪)  કરમણ (ઇ.સ. ૧૮રપમાં હયાત)

રવિ ભાણ સંપ્રદાયના હરિજન સંતકવિ. મોરાર સાહેબ (૧૭પ૮-૧૮૪૯)ના શિષ્ય. વાવડી (જિ.સુરેન્દ્રનગર‚ ધ્રાંગધ્રા નજીક)માં વણકર જ્ઞાતિમાં જન્મ. લખીરામના ગુરુ.

(૧પ) કલ્યાણ (ઇ.સ.૧૮ર૭માં હયાત)

ડાકોરના સાધુ કવિ. ‘ભક્તિ એવી રે ભાઈ એવી જેમ તરસ્યાંને પાણી જેવી…’ જેવાં ભજનોના રચયિતા.

(૧૬)  કાજી મામદશા

નાનકશાના પિતા. દીન દરવેશના શિષ્ય ભક્તિમાર્ગી અને જ્ઞાન-વૈરાગ્યલક્ષી ભજનોના રચિયતા. એમના વિશે નોંધાયેલી વિગતો મુજબ ખેડા જિલ્લાના બીરપુર ગામે ઇ.સ.૧૪૬૮માં જન્મ. પિતા : કાજી હમીદ જેઓ અમદાવાદના શાહ આલમના શિષ્ય તરીકે શાહ ચાલન્દા તરીકે પણ ઓળખાતા. કાજી મામદશાનું મૂળ નામ કાજી મહેમૂદ દરિયાઈ હતું. રાજસ્થાની સાહિત્યના ઈતિહાસમાં નોંધાયેલા સંત કવિ કાઝી મહમૂદ (૧પમી સદી)નાં ૪પ જેટલાં પદો વિવિધ હસ્તપ્રતોમાંથી મળે છે. જૂનામાં જૂની હસ્તપ્રત ઇ.સ.૧૬રપની સાલની છે. જ્યારે ઇ.સ. ૧પરપ માં સહજસુંદર નામના જૈન કવિએ ‘રત્નસાર ચોપાઈ’માં કાઝી મહમૂદના એક પદ ‘ભૂલા ભમરલા કાંઈ ભમઈ એ’ના ઢાળ મુજબ રચના કરી છે.

(૧૭)  કાપડી બાવો

કાપડી પંથના સંભવત : કચ્છના અજ્ઞાત સાધુકવિ.

(૧૮)  કાળાભગત (ઇ.સ.૧૮પ૪)

થોરખાણ (બાબરા પાસે)ના હરિજન ભક્ત કવિ. જન્મ વિ.સં.૧૯૧૦ ઇ.સ. ૧૮પ૪. ગુરુ : દેહાભગત રચના : ભજનો.

(૧૯)  કાળુજી (જન્મ ઇ.સ.૧૮૭૧‚ અવ. ઇ.સ. ૧૯૪૧)

મેઘપુર (ટંકારા પાસે‚ જિ. રાજકોટ)માં ઝાલા ગરાસિયા કુટુંબમાં સં. ૧૯ર૭ ચૈત્ર સુદ-૪ મંગળવારે જન્મ. પિતા : ખેંગારજી‚ માતા : ફઈબા. વિવાહ : કરણીબા સાથે (૧૯૪૬ માગશર સુદ ૧૦) ઇ.સ. ૧૮૯૦ ગુરુ : મંગળગરજી (મારવાડના બખશાજી મહારાજની પરંપરાના) પાસે ઇ.સ. ૧૮૯૩ સં. ૧૯૪૯ ભાદરવા સુદ ર ને દિવસે દીક્ષા લીધી. રચના : ભક્તિ‚ જ્ઞાન‚ યોગ અને ઉપદેશની ભજનવાણી જેમાં કીર્તન‚ કુંડળિયા‚ ભજન‚ પદ‚ બારમાસ‚ કાફી‚ સંધ્યા‚ પ્રભાતી‚ સાવળ‚ પ્યાલો‚ ઝીલણિયાં‚ ધોળ‚ સરવડાં‚ થાળ‚ અંતકાળિયાં‚ આરતી‚ સ્તુતિ‚ રાસ‚ રાસડા‚ તિથિ‚ વાર‚ મહિનો‚ પરજ અને સાખીયો જેવી રચનાઓ ઉપરાંત ૧૪૦ જેટલી પંક્તિઓમાં ‘ચિંતામણી’ ૧રપ જેટલી પંક્તિઓમાં ‘ક્કકા’ ૩૦ જેટલા ‘કુંડળિયા’ અને ૧પ૦ જેટલી સાખીઓ પ્રકાશિત થઈ છે. ખેંગારજી અવ.ઇ.સ.૧૯૧૩. માતા ફઈબા અવ.ઇ.સ.૧૯૧૯ પત્ની અવ.ઇ.સ. ૧૯ર૦

(ર૦)  કાયમદીન – પીર કાયમુદ્દીન ચિશ્તી (ઇ.સ.૧૬૯૦-૧૭૬૮)

ચિશ્તિયા સૂફી પરંપરાના સંતકવિ. જન્મ : મહેસાણા જિલ્લાના કડી ગામે‚ પિતા : સુફી સંત બદરૂદ્દીનસાહેબ. અવસાન મહારાષ્ટ્રના નંદરબાર નજીકના કોઈ ગામે‚ તેમના દેહને એકલબારા (તા.પાદરા‚ જિ.વડોદરા) ભૂમિદાહ અપાયો‚ અને દરગાહ બાંધી છે. શિષ્યા સંત કવયિત્રીઓ રતનબાઈ‚ દીવાળીબાઈ વગેરે…

(ર૧)  કેશવલાલ સાયલાકર (ઇ.સ.૧૮૯પ-૧૯૭ર)

અર્વાચીન સમયના આખ્યાનકાર-સંતસાહિત્ય સંશોધક અને કવિ ભજનિક. જેમણે ‘રામદેવ રામાયણ’ ગ્રંથ દ્વારા ગુજરાતમાં રામદેવપીરનો વિશેષ પ્રચાર-પ્રસાર કર્યો છે. ‘મહાત્મા મૂળદાસ’‚ ‘સતી લોયણ’‚ ‘સતી તોરલ’‚ ‘દેવાયત પંડિત’‚ ‘શેઠ સગાળશા’‚ ‘ગોરખ નાથ’‚ ‘ભતૃહરિ’‚ ‘ગંગાસતી’ વગેરે આખ્યાનો તથા કાવ્યસંગ્રહો ‘રામસાગર’‚ ‘કડવાભગતની વાણી’.

(રર)  ખીમરો કોટવાળ

મહાપંથના સંત. નિજિયાપંથી‚ બીજમાર્ગી પાટપૂજાના સમયે કોટવાળ થવાની લાયકાત ધરાવનાર હરિજન (મેઘવાળ) ચમાર કે વણકર ભક્ત. મૂળ રાજસ્થાનના પોકરણ તરફના વતની ને પછી ઢેલડી (આજનું મોરબી કે એની પાસેનું કોઈ ગામ)માં નિવાસ. પત્ની : દાડલદે રાજા રાવત રણસિંહને સતધર્મનો ઉપદેશ આપી મહાપંથની દીક્ષા આપનાર સંતકવિ. એમની વાણીમાં મહાપંથની સાધના‚ તેના સિદ્ધાંતો અને સંતોની યાદી મળે છે. અધ્યાત્મબોધ‚ આગમ અને રૂપકાત્મક પદો ભજનોના રચયિતા. રાજસ્થાનમાં ખીંવણજી નામના એક સંત કવિની રચનાઓ ગવાય છે એ ખીંવણજી રાજસ્થાનના જૂની દૂધુ ગામે ભાટીવંશમાં થઈ ગયા. જે વિ.સં.૧રપ૦માં પીર શમસના શિષ્ય બનેલા.

(ર૩)  ખીમસાહેબ / ખેમદાસ / ખીમદાસ (ઇ.સ.૧૭૩૪-૧૮૦૧)

રવિભાણ સંપ્રદાયના તેજસ્વી સંતકવિ. સંપ્રદાયના આદ્યપુરુષ ભાણસાહેબના પુત્ર અને શિષ્ય. માતા ભાણબાઈ જ્ઞાતિએ લોહાણા. જન્મ : વારાહી (તા.સાંતલપુર‚ જિ.બનાસકાંઠા). ખીમસાહેબને આ સંપ્રદાયના અનુયાયીઓ ‘ખલક દરિયા ખીમ’ કે ‘દરિયાપીર’ તરીકે પણ ઓળખાવે છે. એમના જીવન વિશે અનેક ચમત્કારો આલેખાયા છે. કચ્છના ખારવાઓમાં એમણે ‘રામકબીરપંથ’નો પ્રચાર કરેલો. હરિજન જ્ઞાતિના ત્રિકમ ભગતને દીક્ષા આપીને એમણે ‘રવિ ભાણ સંપ્રદાય’માં વાડીના સાધુઓની તેજસ્વી સંત કવિઓની આખી પરંપરાના બીજ રોપ્યાં હતા. જેમાંથી ત્રિકમસાહેબ‚ ભીમસાહેબ‚ દાસી જીવણ જેવા સંત રત્નો મળ્યાં. ઇ.સ. ૧૭૭૧ માં રાપર (જિ. કચ્છ)માં ખીમસાહેબે જગ્યા બાંધી‚ એ જ સ્થળે ઇ.સ. ૧૮૦૧ માં જીવતાં સમાધિ લીધી. રચના : ‘ચિંતામણી’ / ખીમદાસ કૃત ‘ચેતામણી’ (હિન્દી રચના) ઉપરાંત કાફી‚ ગરબી‚ આરતી. અને વિવિધ પ્રકારનાં ભજનો. હિન્દી‚ ગુજરાતી અને કચ્છી બોલીમાં. રવિસાહેબ પાસેથી પણ સાધના માર્ગદર્શન મેળવેલું. સાખી ચોપાઈ બંધની પ૮ કડીની જ્ઞાનમાર્ગી હિન્દી ‘ચિંતામણી’ (ર.ઇ.સ.૧૭૭૦)

(ર૪) ગણપતરામ

નિરાંત (ઇ.સ.૧૭૪૭-૧૮પર) સંપ્રદાયના જ્ઞાનમાર્ગી કવિ‚ જન્મ અને વતન : ઝણોર  ભરૂચ જ્ઞાતિએ મેવાડા સુથાર… સમય : ઇ.સ.ની ઓગણીસમીનો પૂર્વાર્ધ‚ ગુરુમહિમા અને જ્ઞાનવૈરાગનાં પદો ભજનોના રચયિતા. બીજા ગણપતરામ પણ ભરૂચ જિલ્લાના સિસોદરા ગામના બ્રાહ્મણ કવિ હતા. જેના હિન્દી ગુજરાતી વેદાન્તી જ્ઞાનમાર્ગી પદો હસ્તપ્રતોમાં મળે છે.

(રપ) ગંગાદાસ – ગંગારામદાસબાપુ

કેશોદ તાલુકાનું ગેલાણા ગામ. મઢી-આશ્રમ. જન્મ : આગ્રાથી ૧ર માઈલ ઠકરઈ ગામે. ઇ.સ. ૧૮૯૦. આઠ વર્ષે ઘર છોડયું. ભરતપુરના રામભુષણદાસજી પાસે દીક્ષા. ૪૧ વર્ષ દેશાટન કર્યું. ઇ.સ.૧૯પ૩માં ગુરુનું અવસાન. ૮૭વર્ષે ૧૯૭૭ ફાગણ વદી પ ગુરુવારે દેહત્યાગ.

(ર૬)  ગંગાબાઈ – ગંગામાતા – ગંગાદાસજી

પરબના સંત‚ કાનદાસજીના અવ.સં.૧૯૬૧ પછી મહંત પદે. સં.ર૦૦ર શ્રાવણ વદી ૪ અવસાન. એ પહેલાં સં.૧૯૯ર આસો સુદ. ૧૦ રવિવારે બાળકદાસજીને મહંત પદે સ્થાપેલાં.

(ર૭) ગંગાસતી (સમાધિ : ઇ.સ. ૧૮૯૪)

સંત કવયિત્રી. સમઢિયાળા (જિ. ભાવનગર ધોળા જંકશન પાસે)ના કહળુભા/કસળસિંહ ગોહિલનાં પત્ની. ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકામાં આવેલ રાજપરા ગામે ક્ષત્રિય જ્ઞાતિમાં ભાઈજીભી સરવૈયા અને માતા રૂપાળીબાને ત્યાં જન્મ. લગ્નના દાયજામાં પઢીયાર શાખના હમીરભાઈ ખવાસની દીકરી પાનબાઈને સમઢીયાળા લઈ ગયેલ (વિ.સં. ૧૯ર૦). સંતાનો : પુત્રી-બાઈરાજબા (જન્મ સં. ૧૯રર)‚ હરિબા – (જન્મ સં. ૧૯ર૪). દેહત્યાગ વિ.સં. ૧૯પ૦‚ ફાગણ સુદ ૮‚ ગુરુવાર તા.૧પ-૩-૧૮૯૪ સમઢીયાળા ગામે. સંભવત : ભોજાભગતના ગુરુ રામેતવનનાં શિષ્યા. તેમના પતિએ પોતાની ભક્તિની કપરી કસોટી આપવાનો સમય આવ્યો ત્યારે થયેલા ચમત્કારને કારણે વ્યકિતપૂજાની બીકથી સમાધિ લેવાનો સંકલ્પ કર્યો એની સાથે ગંગાસતી સમાધિ લેવા તૈયાર થયાં પણ પતિ આજ્ઞાએ પાનબાઈને બાવન દિવસ સુધી રોજ ભજનવાણીની રચનાઓ કરીને મહામાર્ગનો પૂર્ણ ઉપદેશ આપ્યા બાદ સમાધિ લીધી. એમની ભજનવાણીમાં ‘નિજારપંથ’ ‘બીજમાર્ગે’‚ મહાપંથની સાધનાનું આલેખન થયું છે. શીલ‚ સત્સંગ‚ ગુરુઉપાસના‚ વૃત્તિવિરામ. મિતવ્યવહાર અને યોગક્રિયા ઇત્યાદિ પગલાંની બનેલી વિકટવાટનું સદષ્ટાંત દર્શન કરાવતાં તેમનાં ભજનો સૌરાષ્ટ્રની ‘સંતવાણી’ની આગવી મૂડી છે. કહળુભા અને ગંગાસતીની તથા પાનબાઈની સમાધિઓ સમઢિયાળા ગામે કાળુભાર નદીને કાંઠે આવેલી છે.

(ર૮)  ગંગેવ (કંથડનાથ શિષ્ય)

નાથ સંપ્રદાયના અનુયાયી સંતકવિ. સધુક્કડી ગુજરાતી હિન્દી ભાષામાં ભજનોના રચયિતા.

(ર૯)  ગંગેવ

પરબની જગ્યાના ભજનિક કવિ. મા હુરાંના શિષ્ય. રચના : ભજનો. સમાધિ : ધોરાજીમાં – માં હુરાંની સમાધિ પાસે. પરબની મોટી જગ્યા. કેટલાક ભજનિકો પરબના ગંગાબાઈ ગંગામાતાજીએ જ ગંગેવદાસી નામાચરણથી ભજનો ગાયાંછે એમ માને છે.

(૩૦)  ગેમલ (ઇ.સ.૧૮પ૦માં હયાત)

જ્ઞાનમાર્ગી કવિ. કૂકડ (જિ.ભાવનગર). તેમની સમાધિ કેવદ્રા (જિ.જૂનાગઢ) મુકામે તેમની દીકરીના ગામમાં આવેલી છે. રામનાથ (બીલખા‚ જૂનાગઢ)ના જેરામ ભારતી અને રામેતવન (‘ભારતી’ અને ‘વન’)ની દશનામી પરંપરાના હરિદાસ (ખદડપર)ના ઉપદેશથી જીવનપરિવર્તન‚ તેમના ઉપદેશનાં ભજનો ખૂબ લોકપ્રિય છે.

(૩૧)  ગોરખનાથ (ઇ.સ.૯૦૦ આસપાસ હયાત)

નવનાથમાંના એક‚ મત્સ્યેન  નાથના શિષ્ય‚ જન્મસ્થળ પેશાવર (વર્તમાન પાકિસ્તાન). સમય : ઇ.સ.ની નવમી સદી. યુવાવસ્થામાં ગૃહત્યાગ‚ ભારતભ્રમણ‚ નેપાળ અને સૌરાષ્ટ્ર ગિરનારમાં તપશ્વર્યા. ઉત્તરાવસ્થા અને અવસાન : ગોરખનાથમઢી‚ સોમનાથના દરિયાકિનારે. રચના : સંસ્કૃત‚ અપભ્રંશ અને હિન્દીમાં સાખી‚ આરતી‚ પદ શબદી‚ ગોષ્ઠી વગેરે.

(૩ર)  ગોવિંદ- ગોવિંદગર

આધ્યાત્મિક જ્ઞાન ભક્તિ વિષયક ભજનોના કર્તા. ઇ.સ.૧૯૦૦ ની હસ્તપ્રતમાં રચનાઓ. નરસંડા (તા.આણંદ) ગામના. સં.૧૯૪૧માં ચેતવણી. સાખી‚ જ્ઞાનમાર્ગી ભજનો…

(૩૩)  ગૌરીબાઈ (ઇ.સ.૧૭પ૯-૧૮૦૯)

જ્ઞાનમાર્ગી સંતકવયિત્રી‚ વડનગરા નાગર જ્ઞાતિમાં ડુંગરપુર ગામે જન્મ. છસો ઉપરાંત ગુજરાતી હિન્દી રાજસ્થાની પદો ભજનોના રચયિતા સાધ્વી.

(૩૪)  છોટમ (ઇ.સ.૧૮૧ર-૧૮૮પ)

છોટાલાલ કાળિદાસ ત્રિવેદી-ત્રવાડી. સાઠોદરા નાગર જ્ઞાતિમાં મલાતજ (તા.પેટલાદ‚ જિ.ખેડા) ગામે જન્મ. વ્રજલાલ કાળિદાસ શાસ્ત્રીના મોટાભાઇ. ગુજરાતી તથા વ્રજભાષામાં ચારસોથી વધુ પદો ભજનો કાવ્યોનું સર્જન.

(૩પ) જેઠીરામ (ઇ.સ.૧૮મી સદી ઉત્તરાર્ધ)

કચ્છ પ્રદેશના સંતકવિ. દેવા સાહેબના પટ્ટશિષ્ય. કચ્છના રાવ રાયઘણજી-૧ની પાંચમી પેઢીના સંતાન. જાડેજા રાજપૂત કુટુંબમાં સતાજી જાડેજાને ત્યાં જન્મ. જન્મનામ જેઠુજી દેવાસાહેબનું અવસાન થતાં હમલા (કચ્છ)ની ગાદી પોતે ન સંભાળતાં દેવાસાહેબના પૌત્ર રામસિંહજી ઉંમરલાયક થયા ત્યાં સુધી તેમના વતી વહીવટ કરેલો. અનેક ભાવવાહી ભજનો સંતવાણીની રચના. હિન્દીની છાંટવાળી ગુજરાતી ભાષામાં અને કચ્છી હિન્દી ભાષામાં રચાયેલાં આ ભજનો સૌરાષ્ટ્રના ભજનિકોમાં ખૂબ લોકપ્રિય છે. વિ.સં.૧૮૧૭ ઇ.સ. ૧૭૬૧ માં કચ્છ પડેલા દુષ્કાળ વખતે અન્નદાન ને લોકસેવા પણ તેમણે કરેલા.

(૩૬)  જેમલભારથી – સંભવત : જેમલજી (ઇ.સ.૧૮ર૦)

ધ્રાફાના જાડેજા રાજપુત કુટુંબમાં જન્મ. સંતકવિ. મૂળનામ : જાલમસિંહજી જાડેજા. રચના : ભજનો. ગુરુ : જમનાનંદજી બાપુ‚ ફુલઝર નદીને કાંઠે આવેલી ટેકરી પર દતાત્રેયના પગલાં પધરાવ્યાં ત્યાં જગ્યા આશ્રમ મોજુદ છે.

(૩૭)  જેસલ/જેસલપીર (ઇ.સ.૧૩૮૦માં હયાત)

કચ્છના આ સંતકવિનું ચરિત્ર જુદા જુદા પ્રકારે આલેખાયું છે. મહાપંથના બીજમાર્ગી નિજારી સંપ્રદાયના અનુયાયી જેસલનો જન્મ કચ્છના દેદા વંશના જાડેજા રાજપૂત ચાંદોજીને ત્યાં થયો હતો એમ નોંધાયું છે. જેસલનું પૂર્વજીવન રાજય સામે બહારવટે ચડેલા કાળજાળ લૂંટારા તરીકે સર્વત્ર આલેખાયું છે. સૌરાષ્ટ્રના સલડી/સરલી/વાંસાવડ ગામના સંત રાજવી સાંસતિયા કાઠીને ત્યાં તેની ઘોડી અને તલવાર ચોરવા જતાં પાટપૂજન વિધિ સમયે અચાનક સાંસતિયાની પત્ની તોરલને જોઇ. કુર અને પાપી જેસલના જીવનનો ઉદ્ધાર કરવાના આશયથી સાંસતિયાને પોતાની ઘોડી તલવાર સાથે તોરલ તોળીરાણી પણ જેસલને સોંપી દીધી. અનેક કસોટીઓની વચ્ચે તોરલે એનો બચાવ કર્યો અને ધીરે ધીરે જેસલનું હ્રદય પરિવર્તન થતાં મહામાર્ગમાં દીક્ષિત થયા પછી એણે ભજનવાણીની રચનાઓ કરી છે. જેમાં પોતાના પાપોનું પ્રાયશ્ચિત અને હ્રદયવ્યથાનું નિરૂપણ છે. અંજાર (કચ્છ)માં જીવતાં સમાધિ લઈ લેનાર જેસલ આજે ‘જેસલપીર’ તરીકે પુજાય છે. રાજસ્થાનના ભાટી ઉગમશીના શિષ્ય સંત માલદે રાવ મલ્લીનાથ (ઇ.સ.૧૩ર૮ અથવા ૧૩૩૧માં જન્મેલા અને ઇ.સ.૧૩૯૯માં જેમણે સજોડે જીવંત સમાધિ લીધી એવા મેઘ ધારૂનાં શિષ્યા સંત કવયિત્રી સતી રૂપાંદેના પતિ) સાથેની જેસલની મૈત્રી અને મેળાપના ઉલ્લેખો ધરાવતાં ભજનો મળે છે. જેસલની સમાધિ વખતે માલદેની હાજરી અંજારમાં છે. આ રીતે જેસલ-તોરલ અને રૂપાંદે-માલદે રામદેવપીર (ઇ.સ.૧૩પ૧-૧૪પ૯ વિ.સં.૧૪૦૭-૧પ૧પ)ના પૂરોગામી પાટ ઉપાસક મહાપંથી સાધકો છે. રામદેવપીર રચિત ‘ચૌબીસ પ્રમાણ’ કૃતિમાં જેસલ તોરલ‚ રૂપાંદે-માલદે‚ ભાટી ઉગમશી વગેરે ભક્તોનાં નામો પણ મળે છે.

(૩૮)  ડુંગરપૂરી

(ઇ.સ.૧૭૯૪માં હયાત) મારવાડ રાજસ્થાનના સંત કવિ. ભાવપૂરીના શિષ્ય. જોધપુર પાસેના ચીહઠણ ગામે તેમનો આશ્રમ છે. પૂર્વાશ્રમમાં તેઓ જેસલમેરના પુરોહિત બ્રાહ્મણ હતા તેવું મનાય છે‚ તો વિરમગામ તાલુકાના દેત્રોજ ગામના વણકર માવજી ભગત અને માતા રૂડીબાને ત્યાં જન્મેલા એવી દંતકથા પણ મળે છે. પાલનપુર તાલુકાના અમીરગઢમાં સમાધિ લીધેલી. રચના : હિન્દી‚ ગુજરાતી‚ મારવાડી ભજનો.

(૩૯)  તિલકદાસ (ઇ.સ.૧૮પ૯-૧૯૩ર)

કબીરપંથી રવિભાણ સંપ્રદાયના હરિજન સંત. જન્મ નામ : તેજાભાઇ. માનસદાસ   મહારાજ પાસે પુન : દીક્ષા-ગુરુમંત્ર. ૭પ વર્ષની વયે ઇ.સ.૧૯૩ર માં સમાધિસ્ત થયા. ભારાપર (કચ્છ)માં તેમની ગુફા છે. કચ્છના વિરાણી ગામે હરિજન કુટુંબમાં જન્મ નાની ઉમરે ઘર છોડી ભાગ્યા‚ ભાણસંપ્રદાયના સાધુ બાલકદાસજી પાસે દીક્ષા તેજાભાઈને બદલે તિલકદાસ નામ. જન્મ : વિ.સં.૧૯૧પ કારતક સુદ પૂનમ અને સોમવાર તથા દેહત્યાગ વિ.સં.૧૯૮૮ માગશર વદ આઠમ ને શુક્રવાર.

(૪૦) તુલસીદાસ

ગુજરાતમાં તુલસીદાસ નામના ત્રણ કવિઓ નોંધાયા છે. તુલસીદાસ ૧ (ઇ.સ.૧૬૭૬માં હયાત) ધોળકા પાસેના લીલાવતી લીલાપુરના વતની જ્ઞાતિએ રાયકવાળ બ્રાહ્મણ પિતા-મંગલ. ૧૧૪ અધ્યાયની ‘પાંડવાશ્વમેધ’ (ર.ઇ.સ.૧૬૭૬) તુલસીદાસ-ર‚ મધ્યકાલીન આખ્યાન કવિ. કુતિયાણા (જિ.જૂનાગઢ)ના સારસ્વત બ્રાહ્મણ કુટુંબમાં માધવ/માધવજીને ત્યાં જન્મ : રચના : ધ્રુવાખ્યાન‚ ઇ.સ.૧૬ર૮ થી પ૮ વચ્ચે હયાત હોવાનું નોંધાયું છે. આ રચના હાથપ્રતોમાં તેમના પુત્ર વૈકુંઠના નામે પણ મળે છે. તુલસીદાસ-૩‚લીલિયા (જિ. અમરેલી)ના મધ્યકાલીન સર્જક. રચના ‘અશ્વમેઘ’ પર્વ ઇ.સ. ૧૬૬૬. એ ઉપરાંત ‘રામ ચરિત માનસ’ના રચયિતા તુલસીદાસજીનાં કેટલાંક પદો ગુજરાતીકરણ પામીને પણ લોકભજનિકોમાં ગવાય છે.

(૪૧)  તોરલ તોળલ તોળાંદે તોળીરાણી (ઇ.સ.૧૩૮૦માં હયાત)

મહાપંથનાં સંત કવયિત્રી. ગુજરાતી ભાષાનાં આ કવયિત્રી. બીજમાર્ગી નિજારી પાટપૂજામાં ‘સતી’ તરીકેનું સ્થાન ધરાવનારાં‚ સૌરાષ્ટ્રના સરલી/સલડી કે વાંસાવડના સંત રાજવી સાંસતિયા કાઠીનાં પત્ની. જેમણે જેસલ જાડેજાને ‘જેસલ પીર’ બનાવ્યો. સમાધિ : કચ્છ-અંજાર. એમની ઘણી ભજનરચનાઓ અત્યંત લોકદાર પામી છે. ધારી પાસે સરસીયા ગામે તોરલ અને સાસતિયાની જગ્યા છે એમ કહેવાય છે. સાસતિયાની સમાધિ ભૂચરમોરીના સ્થાને. સધીર શેઠ વહાણિયાનું સ્થાન પણ સરસીયા ગામે હોવાનું કહેવાય છે. પરંતુ આ સ્થળો વિશે કોઈ ઐતિહાસિક પ્રમાણો સાંપડતાં નથી.

(૪ર) તોરલપુરી/તુડાપુરી/તુલાપુરી

ગિરનારી રૂખડિયા સંત કવિ. હિન્દી ગુજરાતી મિશ્ર ભાષામાં ગણપતિ સ્તુતિનાં અને અન્ય અધ્યાત્મ વિષયક ભજનો. આ ભજનોમાં પાઠાંતરે તોડાપુરી કે તોરલપરી નામ પણ મળે છે.

(૪૩)  ત્રિકમસાહેબ (ઇ.સ.૧૭ર૬-૧૮૦૧)

રવિ-ભાણ સંપ્રદાયના સંતકવિ. ખીમસાહેબના શિષ્ય. કચ્છમાં રામવાવ ગામે (તા. રાપર) હરિજન ગરોડા જ્ઞાતિમાં જન્મ‚ રામગિર નામના જોગી મહાત્માની પ્રેરણાથી ભાણસાહેબના પુત્ર ખીમસાહેબના નાદશિષ્ય બન્યા. કચ્છના વાગડ વિસ્તારમાં ચિત્રોડ ગામે ગાદીની  સ્થાપના કરી. ત્રિકમસાહેબના આગમનથી રવિ ભાણ સંપ્રદાયમાં હરિજનોને સ્થાન મળ્યું અને આગળ જતાં ‘વાડીના સાધુ’ તરીકે ઓળખાતા હરિજન સંત-ભક્તો-કવિઓની સમૃદ્ધ પરંપરા મળી. હિન્દી અને ગુજરાતી ભાષામાં રચાયેલી એમની ભજનવાણી ઉપર કબીરસાહેબની અને તેમની વાણીનો વ્યાપક પ્રભાવ પડયો છે. એમાં આધ્યાત્મિક ઉન્માદની લહેરો વ્યકત થઈ છે. શિષ્યો : ભીમસાહેબ (આમરણ) અને નથુરામ (રાધનપુર) સમાધિસ્થાન : રાપર ગામે.     (જન્મ તા.પ.૮.૧૭ર૬ શ્રાવર્ણવદ ૮ સોમવાર વિ.સં.૧૭૮ર‚ સમાધિ વિ.સં.૧૮પ૭ ચૈત્ર સુદ બીજઇ.સ.૧૮૦૧).

(૪૪) દયાનંદ/મુંડિયા સ્વામી (ઇ.સ.૧૮પર-૧૯ર૯)

ડમરાળા ગામે શ્રીગોડ માળવી બ્રાહ્મણ જ્ઞાતિમાં કાશીરામ અને પાનબાઈને ત્યાં ઇ.સ.૧૮પરમાં વિ.સં. ૧૯૦૮માં ભાદરવા સુદ ૧પ સોમ જન્મ. જામનગરના સાધુ બ્રહ્માનંદ પાસે ઇ.સ. ૧૮૮૬માં દીક્ષા. જૂનાગઢના રેવન્યુ ખાતામાં અથવા પોલીસ ખાતામાં નોકરી કરતા. એકવાર વિના કારણ નિરપરાધીને દંડ કર્યો‚ પાછળથી પશ્ચાતાપ થતાં રાજીનામું આપી સન્યસ્ત ધર્મ સ્વીકાર્યો. ઇ.સ.૧૯ર૯માં જામનગરમાં ગુરુ બ્રહ્માનંદની સમાધિ પાસે સમાધિ લીધી. રચના : ઉપદેશાત્મક જ્ઞાનમાર્ગી સંતવાણી ભજનો. અખાની પરંપરાની જ્ઞાનમાર્ગી કવિ.

(૪પ) દયારામ (ઇ.સ.૧૭૭૭-૧૮પ૩)

મધ્યકાળના અંતિમ સમયના ગણાતા‚ પ્રેમલક્ષણા ભક્તિધારાના પ્રમુખ ભક્તકવિ. વડોદરા જિલ્લાના ચાણોદના વતની. જન્મ : ચાણોદ અથવા મોસાળના ડભોઈ ગામે. સાઠોદરા નાગર જ્ઞાતિમાં પ્રભુરામ ભટ્ટ અને માતા રાજકોરબાને ત્યાં વિ.સં.૧૮૩૩ ભાદરવા સુદ ૧૧ શનિવારે‚ અવસાન : વિ.સં.૧૯૦૯ મહા વદ પ સોમવાર. ઈષ્ટદેવ હાટકેશ્વર‚ કુલધર્મ પુષ્ટિમાર્ગી વૈષ્ણવ.

(૪૬) દલુ વાણિયો

‘રામદેવપીરનો હેલો’ જેવી મારવાડી-ગુજરાતી ભાષાઓમાં ગવાતી અત્યંત લોકપ્રિય રચનાના રચયિતા ભક્તકવિ. સંભવત : રાજસ્થાન-મારવાડના વતની. ભાટી હરજી (ઇ.સ.૧૭૦૧-૧૭૮૧)ના સમકાલીન હોવાનો સંભવ છે.

(૪૭) દાસી જીવણ/જીવણસાહેબ/જીવણદાસજી (ઇ.સ.૧૭પ૦-૧૮રપ)

રવિ-ભાણ સંપ્રદાયના તેજસ્વી સંત કવિ. ભીમસાહેબના શિષ્ય. જન્મ વિ.સં.૧૮૦૬ ઇ.સ. ૧૭પ૦માં ઘોઘાવદર (તા.ગોંડલ‚ જિ.રાજકોટ) ગામે હરિજન ચમાર કુટુંબમાં દાફડા શાખના જગાભગત સામબાઈને ત્યાં. દાસી ભાવે પરમાત્માની ઉપાસના કરનારા આ સંત કવિ લોકોમાં ‘રાધાનો અવતાર’ તરીકે ઓળખાય છે. નિર્ગુણ નિરાકારની સાથે સગુણ સાકારની ઉપાસનાનો સમન્વય કરી પ્રેમલક્ષણા દાસીભાવ‚ જ્ઞાન‚ યોગ‚ વૈરાગ્ય‚ ચેતવણી‚ બોધ ઉપદેશ ગુરુમહિમા એમ વિવિધ ભાવસૃષ્ટિ ધરાવતાં ભજનોના રચયિતા સંત કવિ તરીકે સૌરાષ્ટ્રના ભજનસાહિત્યમાં દાસી જીવણે મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. એમનાં પ્યાલો‚ કટારી‚ બંસરી‚ બંગલો‚ મોરલો‚ હાટડી‚ ઝાલરી વગેરે રૂપકાત્મક ભજનો ઉચ્ચ પ્રકારની સાહિત્યિક ગુણવત્તા ધરાવે છે. દાસી જીવણે સં. ૧૮૮૧ આસો વદી અમાસ-દીવાળીને દિવસે (ઇ.સ.૧૮રપ) ઘોઘાવદરમાં જ જીવતા સમાધિ લીધેલી. પત્ની : જાલુમા. પુત્ર : દેશળભગત. શિષ્યો : પ્રેમસાહેબ (કોટડા સાંગાણી)‚ અરજણ (ભાદરા).

(૪૮) દેવળદે (ઇ.સ.૧૪૬૦ આસપાસ હયાત)

મહાપંથના અનુયાયી સંત કવયિત્રી. દેવાયત પંડિતનાં પત્ની. દેવાયત પંડિતના અવસાન સમયે રચાયેલું ગણાતું એક ભજન ‘હંસારાજા રહી જાઓ આજુ કેરી રાત…’ દેવળદેની રચના તરીકે‚ લોકભજનિકોમાં અત્યંત લોકપ્રિય ભજનવાણી તરીકે જાણીતું છે. જીવ જ્યારે કાયામાંથી વિદાય લે છે ત્યારે કાયાનો વિલાપ દર્શાવતું આ ભજન ઉચ્ચ સાહિત્યિક ગુણવત્તા ધરાવતું કરુણ પ્રશસ્તિ કાવ્ય છે. જન્મસ્થળ : બોખીરા (પોરબંદર). સમાધિસ્થળ : કોળિયાક (જિ.ભાવનગર). બોખીરા (પોરબંદર) નંદેશ્વરની જગ્યા જે દેવતણખીની જગ્યા તરીકે ઓળખાય છે.

(૪૯) દેવાયત પંડિત (ઇ.સ.૧૪૬૦ આસપાસ હયાત)

ગુજરાતી ભાષામાં ‘આગમ’ પ્રકારની ભજનવાણી રચનાર પ્રસિદ્ધ મહાપંથના સંત-કવિ. પત્ની : દેવળદે. ગુરુ : શોભાજી/સુબાજી કે શંભુજી (ઇ.સ.૧૪૩૦માં જેમની નિમણુંક ઉપદેશક તરીકે થયેલી એવા પીર સદરૂદ્દીન જેમણે શંભુજી કે સહદેવ જોશીના નામે‚ માલદે રચિત ભજનોમાં માત્ર નામાચરણો પોતાનાં મૂકીને ભજન રચનાઓ આપી છે.). દેવાયત  વિશે અનેક ચમત્કારમય દંતકથાઓ સાંપડે છે. કોઈ તેમને થાનના બ્રાહ્મણ‚ કોઈ બરડા  બીલેસર ના હરિજન બ્રાહ્મણ‚ કોઈ વંથલીના ઉદયશંકર ગોરના પુત્ર‚ તો કોઈ માલધારી જાતિના સંત તરીકે ઓળખાય છે. માર્ગીપંથના ખોજા કવિ કેશવની રચનાઓ પણ દેવાયતના નામે રચાયેલી હોવાનું નોંધાયું છે. અને દેવાયત  કૃત માર્ગીપંથના ભજનો તથા ‘મેદી પુરાણ’ જેવો ગ્રંથ એમણે રચ્યો હોવાની નોંધ ખોજા જ્ઞાતિના પુસ્તકોમાંથી મળી આવે છે. ‘મેંદીપુરાણ’‚ ‘દેલમી આરાધ’ વગેરે દેવાયત રચિત ઘણી કૃતિઓ ખોજા લોકોમાં પ્રચલિત છે. અમદાવાદ જિલ્લાના મોડાસર (તા.સાણંદ) ગામે વિ.સં.૧૮૬પનો પાળિયો દેવાયત પંડિતના પાળિયા તરીકે પ્રસિદ્ધ છે‚ તો ભાવનગર જિલ્લાના કોળિયાક ગામે નકળંકનો મેળો ભરાય છે. ત્યાં માલણ નદીને કાંઠે દેવાયત દેવલદે તથા સાલો અને સૂરોની સમાધિઓ હોવાનું સંભળાયું છે. ગુજરાતી ભજનસાહિત્યમાં એમનાં ‘આગમ’ પ્રકારનાં ભજનો અદ્વિતીય છે. પોતાની પત્ની દેવલદેને ઉદેશીને એમણે આ આગમોની રચના કરી છે. તેમના શિષ્ય મંડળમાં દેવતણખી લુહાર‚ લીરલબાઈ‚ રબારી ભક્ત હાલો‚ આહિર ભક્તસુરો અને કુંભાર ભક્તઢાંગો તથા વણવીરનો સમાવેશ થાય છે. રામદેવપીર કૃત ‘નિરંજનપ્રમાણ’ માં દેવાયત પંડિતનો ઉલ્લેખ મળે છે. જ્યારે  શ્રી નરોત્તમ પલાણના મત મુજબ  સમય : ઇ.સ.૧૬૧રમાં હયાત. અકબર પ્રણિત ‘દીન-એ-ઈલાહી’ (સ્થાપના : ઇ.સ.૧પ૮૧)માં જે મુખ્ય સહાયકો હતા‚ તેમાં શાહજી-શોભાજી નામના એક ખોજા ધર્મગુરુ હતા‚ જેમણે ૧૬૧રમાં કચ્છ સૌરાષ્ટ્રમાં ધર્મપ્રચારર્થ યાત્રા કર્યાના ઉલ્લેખો મળે છે. આ સમયે દેવાયત પંડિત સાથે એમની મુલાકાત થઈ છે.

(પ૦) દેવારામ (અવસાન ઇ.સ.૧૯૪૩)

રવિભાણ પરંપરાના સંતકવિ. રાપર (કચ્છ)ના જાનકીદાસજી રાવલ (સૌરાષ્ટ્ર)માં આવી જગ્યા બાંધે છે‚ તેની પરંપરાના રામગુરુના શિષ્ય. જન્મસ્થાન અને વતન : રાવલ (જિ.જામનગર) સમાધિ સ્થાન દેગામ (પોરબંદર). તેમના ગુરુ રામગુરુ પોરબંદર પાસેના રામવાવ આશ્રમના મહિલા સંત હતા‚ તેમની તથા દેવારામની સમાધિ હાલ પોરબંદર પાસે દેગામમાં આવેલી છે. દેગામના પાદરમાં દેવારામનો વિશાળ આશ્રમ પણ છે. રચના છૂટક ભજનો તેમ ગુરુમહિમાની સ્તુતિ. હસ્તપ્રત પ્રાપ્ત છે.

(પ૧) દેવીદાસ (ઇ.સ.૧૭રપ-૧૮૦૦)

પરબવાવડી (તા.ભેસાણ‚ જિ.જુનાગઢ)ની પ્રસિદ્ધ જગ્યાના સ્થાપક સંત કવિ. મુંજિયાસર ગામે રબારી જ્ઞાતિના જીવાભગત/પુંજાભગત અને માતા : સાજણબાઈને ત્યાં  એકાશીયા કાળ પછી જન્મ વિ.સં.૧૭૮૧ થી ૧૭૮પ લગ્ન સંસાર અને બે પુત્રોના જન્મ પછી સંસાર ત્યાગ. એમના ગુરુ તરીકે લોહલંગરી જીવણદાસજીના આદેશથી પરબની જગ્યા બાંધી હોવાના ઉલ્લેખો મળે છે. એ સિવાય ગુરુ તરીકે જેરામભારથી કે જયરામગિરિનાં નામો પણ નોંધાયા છે. એમના ઉપર નૂરશાહની અમીનજર હતી. જીવનભર રકતપિક્રિયાઓની સેવા. શિષ્યો : શાદુળભગત ખુમાણ અને આહિર કન્યા : અમરબાઇ.

(પર) ધનાભગત (અવસાન ઇ.સ.૧૭૭પ)

ધોળા જંકશન (તા.ઉમરાળા‚ જિ.ભાવનગર) ગામના કાકડિયા અટકના કણબી જ્ઞાતિના સંત કવિ. પિતાનું નામ કેશવ. સાધુ સંતોને અનાજ ખવરાવી ખેતરમાં વેળુ વાવી‚ પ્રભુકૃપાએ અનાજ મળ્યું એવી દંતકથા ધનાભગત વિશે નોંધાઈ છે. રચના : ભજન ‘રામબાણ વાગ્યાં રે હોય તે જાણે…’. પુત્ર દિયાળ બાપાએ ઇ.સ.૧૮૪પ વિ.સં.૧૯૦૧માં રામજીમંદિર ને ધનાભગતની ચરણપાદુકા પધરાવી. દિયાળભગત પછી તેની દીકરીનો પરિવાર કાળાભગતના ગોપાળ‚ જાદવ અને જાદવના પરશોત્તમ.

(પ૩) ધીરોભગત (અવસાન ઇ.સ.૧૮રપ)

મધ્યકાલીન જ્ઞાનમાર્ગી કવિ. ગોઠડા (સાવલી પાસે‚ જિ.વડોદરા) ગામે બ્રહ્મભટ્ટ બારોટ જ્ઞાતિમાં જન્મ. પોતાનાં જ્ઞાન-વૈરાગ્યનાં પદો વાંસની ભુંગળીમાં વહેતાં મૂકી દેનારા સંત. આયુષ્ય ૭ર વર્ષનું. શિષ્યો-બાપુસાહેબ ગાયકવાડ વગેરે…

(પ૪) નથુરામ

હરિજન બ્રાહ્મણ‚ ત્રિકમસાહેબના ભાણેજ તથા શિષ્ય. ભીમ સાહેબના ગુરુભાઈ‚ આશ્રમ રાધનપુર જિ.મહેસાણા માં ઇ.સ.૧૭૭પ આસપાસ હયાત. સમાધિ કારતક વદ ૮ ગુરુવાર તા.૧૮-૧૧-૧૮પર બાલકસાહેબના ગુરુ. રવિ ભાણ સંપ્રદાય.

(પપ) નરભેરામ (અવસાન ઇ.સ.૧૮પર)

પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. જન્મ : ચતુર્વેદી મોઢ બ્રાહ્મણ જ્ઞાતિમાં પીજ તા. પેટલાદ ગામે. પાછળથી જીવનના અંત સુધી અમદાવાદ રહ્યા હતા.

(પ૬) નરસિંહ મહેતા (ઇ.સ.૧૪૦૮-૧૪૮૦) (ઇ.સ.૧૪૧૪-૧૪૭૪)

ગુજરાતી મધ્યકાલીન સાહિત્યમાં આદિ કવિનું બિરુદ મેળવનારા સંત-ભક્ત-કવિ. તળાજામાં વડનગરા નાગર જ્ઞાતિના કૃષ્ણદાસ મહેતાને ત્યાં જન્મ. માતા : દયાકુંવર‚ પત્ની : માણેકબાઇ. સંતાનો : શામળદાસ‚ કુંવરબાઇ. ગૃહત્યાગ પછી ગોપનાથની કૃપાથી રાસલીલાનું દર્શન. અનેકવાર ભક્તિની આકરી કસોટી તાવણીમાંથી પાર ઊતર્યા. પુત્ર વિવાહ‚ પિતાનું શ્રાદ્ધ‚ પુત્રીનું મામેરું‚ હુંડી ને હારમાળા જેવા પ્રસંગોએ ઈશ્વરી સહાય મળતી રહી. જીવનની અંતિમ અવસ્થા એણે માંગરોળમાં ગાળી હોવાની સંભાવના થઈ છે. જીવનકાળ દરમ્યાન નિવાસ જૂનાગઢમાં. રચના : ‘સુદામા ચરિત્ર’‚ ‘દાણલીલા’‚ ‘ચાતુરીઓ’‚ ‘વિવાહ’‚ ‘મામેરૂં’‚ ‘હૂંડી’‚ ‘હારમાળા’‚ ‘ઝારીનાં પદ’ અને ભક્તિ શૃંગારનાં તથા જ્ઞાનનાં પદો જેમાં ‘રાસ સહસ પદી’ અને ‘શૃંગારમાળા’‚ વગેરે રચનાઓ.

(પ૭) નાનકસાહેબ (ઇ.સ.૧૭૯૪-૧૯૦૧)

રવિ ભાણ સંપ્રદાયના ગંગસાહેબના શિષ્ય. ભજનિક કવિ. સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના દીગસર ગામે ગરો જ્ઞાતિમાં જન્મ. વિ.સં. ૧૮પ૦ માગશર સુદ ૭‚ સોમવાર. પિતા : કૃષ્ણદાસ‚ માતા અમૃતબાઇ.  પત્ની : ગૌરી‚ પુત્ર : ખીમદાસ. ૩૦૦ જેટલાં ભજનોની રચના.૧૦૭ વર્ષનું આયુષ્ય ભોગવીને અવસાન વિ.સં. ૧૯પ૭‚ આસો સુદ  ૧૧.

(પ૮) નારાયણદાસજી (ઇ.સ.૧૮ર૬-૧૯૦૧) વિ.સં.૧૮૮ર અષાડ સુદ-૧૧.

ભજનિક સંત કવિ. વિ.સં.૧૮૮ર શેત્રુંજી કાંઠે ભડકલા ગામે જન્મ. બાલ્યાવસ્થામાં માતા પિતાનું અવસાન થતાં કાકાએ ઉછેર્યા. વીસ વર્ષની વયે કનેસરા (તા.જસદણ‚ જિ. રાજકોટ) રહેવા ગયા. ત્યાં રામજી મંદિરની સ્થાપના કરી. પુત્ર : ધર્મદાસ‚ રચના : ભજનો ગ્રંથ : ‘નારાયણ ભજન સાગર’. ગુરુ : લાલદાસજી. કેટલાક ભજન સંગ્રહોમાં નારાયણદાસજીનાં ભજનો સાથે ‘મોતીદાસ’ અને ‘ઉગમ’ એવા ગુરુનામો પણ મળે છે.

(પ૯) નિરાંત (ઇ.સ.૧૭૪૭-૧૮પર)

જ્ઞાનમાર્ગી સંત કવિ. દેથાણ (તા.કરજણ‚ જિ.ભરૂચ)માં ગોહિલ રાજપુત જ્ઞાતિમાં જન્મ. પિતા ઉમેદસિંહ‚ માતા હેતાબા. પ્રથમ દીક્ષા કણઝટના રામાનંદી સાધુ ગોકળદાસ પાસે. ત્યારબાદ સચ્ચિદાનંદ પરિવ્રાજક દંડીસ્વામી‚ અમનસાહેબ વગેરેસંતો સૂફીઓ પાસેથી નિર્ગુણ ઉપાસનાધારામાં આગળ વધેલા. એમના નામ સાથે જોડાયેલો ‘નિરાંત સંપ્રદાય’ ખૂબ જ વિસ્તર્યો છે.

(૬૦)  નિષ્કુલાનંદ સ્વામી (ઇ.સ.૧૭૬૬-૧૮૪૮)

સ્વામિનારાયણ સંપ્રદાયના સંત કવિ. ગુર્જર સુતાર જ્ઞાતિમાં શેખપાટ ગામે જન્મ. પિતા : રામજીભાઈ‚ માતા : અમૃતબા. પૂવાશ્રમનું નામ : લાલજી. પોતાની અનિચ્છા છતાં આઘોઈ ગામના કંકુબાઈ સાથે કુટુંબના આગ્રહથી લગ્ન કર્યા. સંતાન : માધવજી‚ કાનજી‚ ઇ.સ.૧૮૦૪માં સહજાનંદ સ્વામી પાસે દીક્ષા. અવ. ધોલેરામાં ઇ.સ.૧૮૪૮. રચના : ર૩ જેટલી નાની મોટી કૃતિઓ અને ૩૦૦ જેટલાં પદો.

(૬૧)  નૂર સતાગર (ઇ.સ.૧૪પર-૧પ૧૩)

નિઝારી ઈસ્માઈલી સંત. વિશેષ માહિતી : ગુજરાતી સાહિત્યકોશ (મધ્યકાળ) બીજા  સૂફી સંત સાંઈ નૂરશા  બિલખા નવાગામ પાસે જગ્યા.

(૬ર)  પદમપરી

ભજનિક ભક્ત કવિ.

(૬૩)  પાલણશી

ભજનિક ભક્ત કવિ.

(૬૪) પુરુષોત્તમ

અર્વાચીન સમયના ભક્ત કવિ. પોરબંદરમાં વાંજા-દરજી જ્ઞાતિમાં જન્મ. એમના ‘પુરૂષોત્તમવાણી’ ગ્રંથમાં અપાયેલી ભજન રચનાઓ લોકભજનિકોમાં ખૂબ જ ગવાય છે.

(૬પ) પૂનાદે

બરડા પ્રદેશના ચારણ કવયિત્રી. એમની એક પ્રભાતી ભજન રચના ‘ભણતી સાં કાનજી કાળા રે… માવા મીઠી મોરલી વાળા…’ (પ્રભાતીયું) અત્યંત લોકપ્રિય થઈ છે.

(૬૬)  પીઠો (ઇ.સ.૧૮૪૦-૧૮૮૯)

રવિ ભાણ સંપ્રદાયના હરિજન સંત કવિ. બાલકસાહેબના શિષ્ય. વાણવી શાખની મેઘવાળ જ્ઞાતિમાં‚ વિ.સં. ૧૮૯૬ માં ડેડરવા વંથલી (જિ.જૂનાગઢ) ગામે જન્મ. એ સમયના બહારવટિયા જમિયતશાની સાથે રહીને બાર વર્ષ સુધી બહારવટું ખેડેલું‚ એ પછી બાલક સાહેબનો ભેટો થતાં દીક્ષા લીધી એમ કહેવાય છે. વિવાહ : ખજુરા ખાટલી ગામે. પાંચ દીકરા હતા તેમાંથી ચારની વંશ પરંપરા ચાલુ છે. રચના : ભજનો. જેમાં : યોગસાધના. ગુરુ મહિમા‚ બોધ-ઉપદેશ અને ભક્તિનું આલેખન. અવસાન વિ.સં.૧૯૪પ વંથલી.

(૬૭) પ્રાચીન –

લોકકંઠે સચવાતી આવેલી અને જેના સર્જકો કોઈ અનામી કવિઓ હશે. જેમાં ધ્રુવ અને પ્રહલાદ‚ રાજા ધરમ‚ ગોપીચંદ ભરથરી‚ સહદેવ જોષી‚ મારકુંડ ઋષિ વગેરે નામાચરણો ધરાવતા ભજનોનાં રચયિતાઓ ને પ્રાચીનમાં મુકી શકાય.

(૬૮)  પ્રાણનાથસ્વામી (ઇ.સ.૧૬૧૮-૧૬૯પ)

પ્રણામી નિજાનંદ સંપ્રદાયના આ સ્થાપક દેવચંદ્રજીના શિષ્ય. જ્ઞાની વિદ્વાન કવિ.   મનગરમાં લોહાણા જ્ઞાતિના કેશવજી ઠક્કર અને માતા ધનબાઈને ત્યાં જન્મ. દીક્ષા. ૧૬૩૧. જન્મનામ : મહેરાજ. દીક્ષાનામ : પ્રાણનાથ. કેટલીક રચનાઓ ‘ઈન્દ્રાવતી’ને નામે. હિન્દી‚ ઉર્દૂ‚ સિંધી અને ગુજરાતી ભાષામાં મોટી સંખ્યામાં પદો કીર્તનો ઉપરાંત ‘બારમાસી’‚ ‘ષડઋતુ’ અને ‘તારતમ સાગર/શ્રીજી મુખવાણી’ ગ્રંથ. બુંદેલ ખંડના પન્ના ગામે જીવતાં સમાધિ.

(૬૯)  પ્રીતમ-પ્રીતમદાસ (ઇ.સ.૧૭૧૮-૧૭૯૮)

જ્ઞાનમાર્ગી ભક્ત કવિ. સૌરાષ્ટ્રના ચૂડા (રાણપુર) ગામે બારોટ જ્ઞાતિમાં પિતા પ્રતાપસિંહ અને માતા જેકુંવરબાઈને ત્યાં જન્મ. નાની ઉંમરે ગૃહત્યાગ કરી ચૂડાના રઘુનાથ  ના મંદિરમાં રામાનંદી સંપ્રદાયના સંત ભાઈદાસજી પાસે સાધુ દીક્ષા લીધી. ઇ.સ.૧૭૬૧થી ચરોતરના સંદેસર ગામે નિવાસ કર્યો. અને સંપૂર્ણ જીવન ત્યાં જ ગાળ્યું. તેઓ સૂરદાસ અંધ હતા એમ મનાય છે. હિન્દી-ગુજરાતી ભાષામાં પાંચસોથી વધુ પદો અને કેટલાક દીર્ઘ ગ્રંથોનું એમણે સર્જન કર્યું છે.

(૭૦) પ્રેમસખી પ્રેમાનંદ (ઇ.સ.૧૭૮૪-૧૮પપ)

સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુકવિ. ગાંધર્વ-ગવૈયા જ્ઞાતિમાં જન્મ. સહજાનંદ સ્વામીના શિષ્ય. ગુરુએ એમને સંગીત વિદ્યા શીખવા બુરહાનપુર સુધી મોકલ્યા હતા. દીક્ષાનામ નિજબોધાનંદ હતું. હિન્દી ગુજરાતી ભાષામાં આશરે ચાર હજારથી વધુ પદોની રચના. જીવનનો બહોળો સમય ગઢડા ગામે ગાળેલો.

(૭૧)  પ્રેમસાહેબ (ઇ.સ.૧૭૯ર-૧૮૬૩)

રવિ ભાણ સંપ્રદાયના સંત કવિ. દાસી જીવણના શિષ્ય. કોટડાસાંગાણી  જિ. રાજકોટ  ગામે કડિયા જ્ઞાતિમાં વિ.સં.૧૮૪૮ પોષ વદી ર પિતા : પદમાજી અને માતા : સુંદરબાઈને ત્યાં જન્મ. પત્ની : મલુબાઈ‚ પુત્ર : વિશ્રામસાહેબ. બુંદશિષ્ય પરંપરા : વિશ્રામસાહેબ-માધવસાહેબ-પુરુષોત્તમદાસજી-પ્રેમવંશ ગુરુચરણદાસજી.

(૭ર) બાપુસાહેબ ગાયકવાડ (ઇ.સ.૧૭૭૭/૭૯-૧૮૯૯)

જ્ઞાનમાર્ગી સંતકવિ. મરાઠા રાજપુત જ્ઞાતિમાં વડોદરામાં જન્મ. ગોઠડાના ધીરાભક્તનો સંસર્ગ થતાં અધ્યાત્મસાધનાના માર્ગે‚ પછી નિરાંતનો સંપર્ક અને કાવ્યો ભજનોનું સર્જન. હિન્દુ મુસ્લિમ એકતાના હિમાયતી સંત. અવસાન : વિ.સં.૧૮૯૯‚આસો સુદ ૧૧‚બુધવાર.

(૭૩)  બ્રહ્માનંદ સ્વામી (ઇ.સ.૧૭૭ર-૧૮૩ર)

સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુકવિ. ચારણ ગઢવી જ્ઞાતિમાં રાજસ્થાનના શિરોહી રાજ્યના ખાંણ ગામે જન્મ. ભૂજની વ્રજભાષા કાવ્ય પાઠશાળામાં અભ્યાસ કર્યો. ઇ.સ.૧૮૦પ માં સહજાનંદ સ્વામીના શિષ્ય થયા. જન્મ નામ લાડુદાનજી. દીક્ષાનામ રંગદાસજી હતું. હિન્દી ગુજરાતી ભાષામાં આશરે ચાર હજાર પદોની રચના. જીવનનો અંતિમ સમય મૂળી ગામે ગાળેલો.

(૭૪) ભવાનીદાસ (ઇ.સ.૧૭૭પ આસપાસ)

ભજનિક સંત-કવિ. જોધાભક્તના શિષ્ય ગુરુમહિમા‚ બોધ ઉપદેશ અને ભક્તિ વૈરાગ્યનાં ભજનોના રચયિતા. જન્મ : વણકર જ્ઞાતિમાં પિતા નારણ ચૌહાણ અને માતા લખમીબાઈને ત્યાં ઘોળકા ગામે. ગુરુમહિમા અને જ્ઞાનવૈરાગ્યની ભજનરચનાઓ.

(૭પ) ભાખર

રામગરી તથા પ્રભાતી પ્રકારનાં ભજનોના રચયિતા ભક્ત કવિ. કચ્છી સંત ભાકરશાહની રચનાઓ કદાચ ગુજરાતીકરણ પામી હોવાનો સંભવ છે. જીવન વિષયક કશીજ વિગતો પ્રાપ્ય નથી.

(૭૬) ભાણદાસ (ઇ.સ.૧૬પ૦માં હયાત)

જ્ઞાનમાર્ગી  ભક્ત અને આખ્યાન કવિ. ગુરુ : કૃષ્ણપુરી.

(૭૭) ભાણસાહેબ (ઇ.સ.૧૬૯૮-૧૭પપ)

રવિ ભાણ સંપ્રદાયના આ પુરુષ. રામ કબીર પંથી સંત કવિ. કનખિલોડ (ચરોતર પ્રદેશ) ગામે લોહાણા જ્ઞાતિમાં પિતા : કલ્યાણદાસજી ઠક્કર અને માતા : અંબાબાઈને ત્યાં જન્મ. ષષ્ટમદાસજીના શિષ્ય. રવિસાહેબના ગુરુ‚ ખીમસાહેબના પિતા. કમીજડા (તા. : વિરમગામ) ગામે જીવતાં સમાધિ. કબીરસાહેબની જ્ઞાનમાર્ગી સંતવાણી પરંપરાનાં ગુરુમહિમા‚ અધ્યાત્મબોધ‚ ઉપદેશ‚ વૈરાગ્ય અને યોગસાધના વિષયક ભજનોના રચયિતા.

(૭૮) ભાલણ (ઇ.સ.૧૪૩૪-૧પ૧૪ આશરે)

આખ્યાનકવિ‚ પદકવિ અને સંસ્કૃતમાંથી ‘કાદંબરી’નો ગુજરાતીમાં અનુવાદ કરનારા વિદ્વાન ભક્ત કવિ. કૃષ્ણભક્તિ અને રામભક્તિનાં તથા વાત્સલ્ય રસનાં શ્રેષ્ઠ પદોના રચયિતા.

(૭૯) ભીમસાહેબ (ઇ.સ.૧૭૧૮-૧૮૮૧)

રવિ-ભાણ સંપ્રદાયના સંત કવિ. ત્રિકમસાહેબના શિષ્ય. દાસી જીવણના ગુરુ. આમરણ (જિ.જામનગર) ગામે મેઘવાળના બ્રાહ્મણ (ગરૂડા) જ્ઞાતિમાં જન્મ. મોરબી પાસેના કુતાસી ગામે મોંઘીબાઈ નામે કન્યા સાથે વિવાહ. જન્મ વિ.સં. ૧૭૭૪ ચૈત્ર સુદ ૯‚ બુધવાર. આમરણમાં સમાધિ : વિ.સં. ૧૮૮૧ ચૈત્ર વદિ ૧૩‚ તા.૧૭-૦૩-૧૮રપ બુધવાર રચના : યોગમાર્ગી ભજનવાણી. શિષ્ય : ૧.અક્કલદાસ‚ ર.દાસી જીવણ.

(૮૦)  ભોજલરામ (ઇ.સ.૧૭૮પ-૧૮પ૦)

જ્ઞાની ઉપદેશક સંતકવિ. ગિરનારી સાધુ રામેતવનના શિષ્ય. દેવકીગાલોળ (તા.જેતપુર‚ જિ. રાજકોટ) ગામે લેઉવા કણબી જ્ઞાતિમાં જન્મ. પિતા : કરસનદાસ‚ માતા : ગંગાબાઈ‚ અવટંકે : સાવલિયા. પોતાના બે ભાઈઓ કરમણ અને જસા સાથે અમરેલી પાસેના ચક્કરગઢ ગામે ખેતી કરવા ગયા‚ અને ફતેહપુર ગામ વસાવ્યું. અમરેલીના ગાયકવાડી સૂબા વિઠ્ઠલરાવને ઉપદેશ આપવા ‘ચાબખા’ પ્રકારનાં ભજનોની રચના કરેલી. શિષ્યો : ૧. જલારામ (વીરપુર)‚ ર. વાલમરામ (ગારિયાધાર)‚ ૩. જીવણરામ (ફતેપુર). શિષ્ય જલારામને ત્યાં વીરપુર ગામે સમાધિ લીધી. રચના : ‘ચેલૈયા આખ્યાન’‚ વાર તિથિ‚ મહિના સરવડાં‚ ‘ભક્તમાળ’ કાફી‚ હોરી‚ કક્કો બાવનાક્ષરી અને ચાબખા. સમાધિ ફતેપુર (અમરેલી)

(૮૧)  ભૈરવપરી

દશનામી સાધુ પરંપરામાં નાથ સંપ્રદાયની સાધના પ્રણાલી સાથે જોડાયેલા સંતકવિ.

(૮ર)  મછંદરનાથ (ઇ.સ.૮૦૦માં હયાત)

નાથ સંપ્રદાયના અતિ મહત્વના યોગી સિદ્ધપુરુષ. આદિનાથના શિષ્ય. ગોરખનાથના ગુરુ. જાલંધરનાથના ગુરુભાઇ.

(૮૩)  મામદશાનો બાલકો

અજ્ઞાત ભજનિક ભક્ત કવિ.

(૮૪) મામંદ (જન્મ : ઇ.સ.૧૮૮૧ અવ.-)

મુસ્લિમ સંત કવિ. સંધી જ્ઞાતિમાં નાના લિલિયા ગામે મનુભા જાડેજાને ત્યા વિ.સં. ૧૯૩૭ ચૈત્ર સુદ ૮ સોમવારે જન્મ. પૂર્વાવસ્થામાં શિકારી‚ નાના લીલિયા (જિ. અમરેલી)ના  સૂફી સંત ઓલિયા અશરફમિયા બાપુમિયાં (જન્મ : વિ.સં.૧૯૧૭)ના ઉપદેશથી ભક્તિ ઉપાસના કરી. ‘મામંદ મુક્તમણિ’નામે ભજનસંગ્રહ પ્રકાશિત કર્યો છે. જેમાં ચારસો જેટલી ભજન‚ ધોળ‚ પદ‚ રસ‚ કાફી‚ પ્રભાતિયાં પ્રકારની રચનાઓ છે.

(૮પ) મીઠો-ઢાઢી (ઇ.સ.૧૭૯૪-૧૮૭ર)

લીંબડી ગામના મુસ્લિમ સંત કવિ. વતન : લીંબડી‚ મુસ્લિમ ઢાઢી જ્ઞાતિમાં પિતા : સાહેબાને ત્યાં જન્મ. રચના : અધ્યાત્મ વૈરાગ્ય બોધની અને શ્રીકૃષ્ણ વિષયક બંસરી રચનાઓ તથા પદ‚ ગરબી‚ રાસ વગેરે જુદાં જુદાં સ્વરૂપો ધરાવતાં ભજનો કીર્તનો. રવિસાહેબનો સમકાલીન ! (રવિસાહેબ ઇ.સ.૧૭ર૭-૧૮૦૪)‚ રવિસાહેબ ૬૭ વર્ષના થયા ત્યારે મીઠાનો જન્મ. રવિનું આયુષ્ય‚ ૭૭ વર્ષનું . રવિના અવસાન પછી મીઠો ૬૮ વર્ષ જીવ્યો. રવિ સાહેબનું અવસાન થયું ત્યારે મીઠાની ઉંમર ૧૦ વર્ષની હોય તો મીઠો રવિસાહેબને ‘બંસરી વાગી રે‚ આ બનમાં…’ ભજન ગાઈને યાત્રાએ જતાં પાછા વાળે એ ઘટનાનો તાળો મળતો નથી. કદાચ મીઠાના નોંધાયેલા અને સ્વીકારાયેલા સમયમાં કશી ભૂલ હોવા સંભવ છે.

(૮૬)  મીરાંબાઈ (ઇ.સ.૧૪૯૮-૧પ૬પ આશરે)

પ્રેમલક્ષણા ભક્તિ પરંપરાનાં સંત કવયિત્રી. મેડતા (રાજસ્થાન)નાં રાજકુંવરી. મેવાડના રાણા ભોજરાજ સાથે વિવાહ. ઇ.સ.૧પર૧માં વૈધવ્ય પ્રાપ્ત થયા બાદસાધુ સંતોની સેવામાં જીવન વિતાવ્યું. વૃંદાવનમાં અને દ્વારકામાં નિવાસ. ગુજરાતી‚ રાજસ્થાની‚ હિન્દી અને વ્રજભાષામાં અનેક પદોની રચના.

(૮૭) મુક્તાનંદ સ્વામી (ઇ.સ.૧૭પ૮-૧૮૩૦)

સ્વામિનારાયણ સંપ્રદાયના સંત કવિ. અમરેલીમાં સરવરીઆ બ્રાહ્મણ આનંદરામ અને વીતરાગી રતનબાઈની પુત્રી રાધાબાઈના કૂખે જન્મ વિ.સં.૧૮૧૪. પૂર્વાશ્રમનું નામ : મુકુન્દદાસ. મૂળદાસજીના શિષ્ય શીલદાસ પાસેથી જ્ઞાનપ્રાપ્તિ કરેલી. માતપિતાના આગ્રહથી લગ્ન કર્યા પણ વૈરાગ્યભાવ પ્રબળ હોવાથી ગૃહત્યાગ. ધ્રાંગધ્રાના દ્વારકાદાસજી‚ વાંકાનેરના કલ્યાણદાસજી અને સરધારના તુલસીદાસજી નામના સાધુઓ પાસે રહેલા. સરધારમાં મહંતપદે હતા ત્યાં રામાનંદસ્વામીનો મેળાપ થયો અને ઇ.સ. ૧૭૮૬માં દીક્ષા લીધી. પાછળથી સહજાનંદ સ્વામીની અન્નય નિષ્ઠાથી સેવા કરી. અવસાન : ગઢડા સ્વામિ મંદિરમાં‚ રચના : ‘ઉદ્ધવગીતા’‚ ‘સતીગીતા’‚ ‘રુકિમણી વિવાહ’‚ ‘મુકુન્દ બાવની’‚ ‘અવધૂત ગીત’‚ ‘ગુરુ ચોવીશી’‚ ‘ગુણ વિભાગ’ અને ૯૦૦૦ જેટલાં પદો. વિ.સં.૧૮૮૬ અષાડ વદી ૧૧ ના રોજ સ્વધામગમન.

(૮૮)  મૂળદાસ (ઇ.સ.૧૬પપ-૧૭૭૯)

ભજનિક સંત કવિ. આમોદરા (જિ.જૂનાગઢ) ગામે સોરઠિયા લુહાર જ્ઞાતિમાં કૃષ્ણ   ગંગાબાઈને ત્યાં જન્મ.વિ. સં.૧૭૩૧ કારતક સુદ ૧૧ સોમવાર. જીવણદાસ લોહલંગરી (ગોંડલ)ના શિષ્ય. જગ્યા : અમરેલી ગામે. શિષ્યો : શીલદાસ‚ હાથીરામ અને જદુરામ. જ્ઞાનમાર્ગી વૈરાગ્ય પ્રેરક વાણીના રચયિતા. એ સિવાય હિન્દી ભાષામાં ‘ચોવીસ ગુરુદત્તલીલા’ અને કેટલાંક પદો તથા ‘બારમાસી’‚ ‘હરિનામલીલા’ ‘ગુરુગીતા’ ‘સાસુવહુનો સંવાદ’ સમસ્યાઓ‚ મર્કટીનું આખ્યાન‚ ‘ભગવદ્દગીતાનો અનુવાદ’ ‘ભાગવત બીજો સ્કંધ’ વગેરે રચનાઓ. જેમાં મહાપંથની અસરો દેખાડતી ભજનવાણી ‘ચૂંદડી’‚ રૂપકગર્ભ પદો અત્યંત લોકપ્રિય થયાં છે. જીવતાં સમાધિ : સં. ૧૮૩પ‚ ચૈત્ર સુદ ૯ ને દિવસે અમરેલી મુકામે. પત્ની વેલુબાઈ અવસાન સં.૧૭૭ર ઇ.સ.૧૭૧૬ વેલુબાઈ પાછળ ભંડારો કર્યો. પછી આશ્રમનો વહીવટ શીલદાસ નામના શિષ્યને સોંપી  દ્વારકાની યાત્રાએ નીકળ્યા.

(૮૯)  મેકરણ ડાડા (ઇ.સ. ૧૬૬૯-૧૭૩૦)

કચ્છ પ્રદેશના સુપ્રસિદ્ધ સંત કવિ. કાપડી પંથના સાધુ. જન્મ : વિ.સં.૧૭રપ. કચ્છના નાની ખોંભડી ગામે. ભટ્ટી રજપૂત હરધોળજીને ત્યાં પબાબાઈની કૂખે. મોટાભાઈ : પતોજી. ગુરુ : ગાંગોજી કાપડી. સૌરાષ્ટ્રના શરભંગઋષિના આશ્રમ (પરબ)નો ધૂણો ચેતાવ્યો. ધ્રંગ- લોડાઈ (કચ્છ) ગામે આશાપુરાનું સ્થાનક કર્યું . લીરબાઈ નામે આહિર કન્યાને દીક્ષા. ગરવા હરિજન સહિત ૧૧ ભક્તો સાથે સં. ૧૭૮૬‚ આસો વદ ૧૪ શનિવારના દિવસે જીવતાં સમાધિ લીધી. રચના : કચ્છી બોલીમાં ભજનવાણી‚ સાખીઓ.

(૯૦) મોરારસાહેબ (ઇ.સ.૧૭પ૮-૧૮૪૯)

રવિ ભાણ સંપ્રદાયના સંતકવિ. રવિ સાહેબના શિષ્ય. થરાદ (બનાસકાંઠા)માં વાઘેલા રાજપૂત જ્ઞાતિમાં જન્મ. જન્મનામ : માનસિંહજી. વૈરાગ્યભાવ જાગૃત થતાં ગૃહત્યાગ કરી રવિસાહેબ પાસે દીક્ષા. ઇ.સ. ૧૭૮૬  વિ.સં.૧૮૪રમાં ખંભાલીડા (જિ. જામનગર) ગામે ગુરુગાદીની સ્થાપના. ત્યાં જ જીવતાં સમાધિ લીધેલી. શિષ્ય : હોથી. રચનાઓ : ‘બારમાસી’‚ ‘ચિંતમાણી’‚ જ્ઞાનવૈરાગ્ય પ્રેરક કુંડળિયા અને શ્રીકૃષ્ણ‚ શિવ‚ રામ વગેરે દેવતાઓની સ્તુતિ કરતાં પદો ઉપરાંત યોગ‚ બોધ ઉપદેશ‚ વૈરાગ્ય અને વિરહભાવ વર્ણવતાં પ્રેમલક્ષણા ભક્તિનાં ભજનો. એમાં ‘પરજ’ પ્રકારનાં ભજનો શ્રેષ્ઠ કોટિનાં છે. અન્ય શિષ્યો : ચરણ સાહેબ‚ દલુરામ‚ દુલ ભરામ‚ કરમણ‚ જીવાભગત ખત્રી‚ ધરમશી ભગત.

(૯૧)  રતનદાસ (ઇ.સ.૧૮૦૪માં હયાત)

રવિ-ભાણ સંપ્રદાયના સંત-કવિ. ભાણસાહેબના શિષ્ય. વાંકાનેર (જિ. રાજકોટ) ગામે રાજપૂત જ્ઞાતિમાં જન્મ. વાંકાનેરમાં ‘રવિસાહેબની જગ્યા’ તરીકે ઓળખાંતુ સ્થાન રતનદાસની જગ્યા હોવા સંભવ છે. હિન્દી ગુજરાતી ભાષામાં પદો ભજનોના રચયિતા. રવિસાહેબ પોતાના શિષ્ય મોરારસાહેબને ત્યાં આપેલા વચન મુજબ સમાધિ લેવા માટે જવા નીકળ્યા ત્યારે રસ્તામાં બીમારીને કારણે વાંકાનેરમાં રતનદાસની જગ્યામાં તેમનું અવસાન થયું ત્યારબાદ તેમના દેહને ખંભાલીડા લઈ જવામાં આવેલો એવા ઉલ્લેખ મળે છે. રચના : ચેલૈયાનું ચરિત્ર / સગાળશા આખ્યાન કેલૈયાનો શલોકો ઉપરાંત ગુરુમહિમા‚ આત્મજ્ઞાન‚ આત્મબોધ અને ઉપદેશનાં ભજનો.

(૯ર)  રતનબાઈ (અવ. ઇ.સ.૧૯ર૦)

કચ્છ પ્રદેશના સંત કવયિત્રી. અબડાસા તાલુકાના ભડલી ગામે ખોજા જ્ઞાતિમાં. જન્મ. સૂફી સંત ભાકરશાહ (નાડાપા ગામના સૈયદ-પીર) પાસે ગુરુ દીક્ષા લીધેલી. ગૃહસ્થ જીવનમાં એક પુત્ર થયો અને યુવાવસ્થામાં જ એનું અવસાન થતાં તીવ્ર વૈરાગ્ય. અવસાન : વિ.સં. ૧૯૭૬માં‚ પ્રેમલક્ષણા ભક્તિનાં ભજનો‚ કચ્છી ગુજરાતી ભાષામાં વૈરાગ્યનાં પદોની રચનાઓ મળે છે. તેરા (કચ્છ-અબડાસા)માં તેમની જગ્યા આવેલી છે. જગ્યામાં રતનબાઈની તથા તેમની પૌત્રી સોનલબાઈની કબરો છે.

(૯૩)  રણછોડ (જન્મ ઇ.સ.૧૮૦૪)

કેટલીક અત્યંત લોકપ્રિય ભજન રચનાઓ સરખા જ નામ ધરાવતા બે કવિઓને નામે ચડી જતી હોય છે. ‘દિલમાં દીવો કરો..’ એ રચના બે જુદા જુદા  કવિ ભક્ત રણછોડના નામે નોંધાઈ છે. જેમાં એક છે ખેડા જિલ્લાના ખડાલ ગામના ખડાયતા વૈષ્ણવ કવિ. પિતા : નરસિંહદાસ મહેતા. તોરણા ગામમાં વસવાટ કરેલો. દર પૂનમે ડાકોર દર્શને જતા. એમના નામે હસ્તપ્રતોમાંથી ઇ.સ.૧૭૧૭ થી ઇ.સ.૧૭૩પમાં સજાયેલી કૃતિઓ મળે છે.  જ્યારે બીજા કવિ રણછોડ ઉત્તર ગુજરાતના વિજાપુર તાલુકાના આગલોડ ગામેઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિમાં પિતા અનુપમરામ જોશી અને માતા કુંવરબાઈને ત્યાં ઇ.સ. ૧૮૦૪ માં જન્મેલા. શિક્ષક હતા‚ ગુરુ રામચંદદાસ મહારાજ પાસે દીક્ષા લઈ ઇ.સ.૧૮રરમાં સંસારત્યાગ કરેલો. ભજન મંડળી સ્થાપી ગામેગામ ફરતા.

(૯૪) રવિસાહેબ (ઇ.સ.૧૭ર૭-૧૮૦૪)

રવિભાણ સંપ્રદાયના સ્થાપક સંત કવિ. કબીરપંથી ભાણસાહેબના શિષ્ય. જન્મ : વીસા શ્રીમાળી વણિક જ્ઞાતિમાં મંછારામ ઇચ્છાબાઈને ત્યાં તણછા (તા.આમોદ‚ જિ.ભરૂચ) ગામે  વિ.સં.૧૭૮૩ મહાસુદ ૧પ ગુરુવાર તા.૦૬-૧ર-૧૭ર૭. ઇ.સ. ૧૮પ૩માં ભાણસાહેબ પાસે દીક્ષા લીધી. શિષ્યો : મોરાર‚ ગંગ‚ લાલ‚ દયાળ વગેરે ૧૯ જેટલા તેજસ્વી શિષ્યો‚ અવસાન ઇ.સ. ૧૮૦૪માં રતનદાસની જગ્યા વાંકાનેર ખાતે‚ સમાધિઃ મોરારસાહેબના ખંભાલીડા (જિ.જામનગર) ગામે. રામકબીર સંપ્રદાયની સાધના અને સિદ્ધાંતો પ્રમાણે યોગસાધના અને તત્વજ્ઞાન વર્ણવતાં ભજનો તથા વૈરાગ્યજ્ઞાન‚ બોધ ઉપદેશ‚ ગુરુમહિમા અને ભક્તિશૃંગાર વર્ણવતા ગુજરાતી‚ હિન્દી અને હિન્દી ગુજરાતી મિશ્ર ભાષામાં અનેક ભજનોની રચના તેમણે કરી છે. આધ્યાત્મિક અનુભૂતિના મર્મપુર્ણ આલેખનમાં અને પ્રેમની મસ્તીમાં આ સંતકવિનાં અપાર શક્તિ-સામર્થ્ય પ્રગટ થયાં છે. તો ‘ભાણગીતા’‚ ‘મનઃસંયમ’‚ ‘બારમાસી’‚ ‘બોધ ચિંતામણિ’‚ ‘રામગુંજાર ચિંતામણિ’‚ ‘ખીમ કવિ પ્રશ્નોતરી’‚ ‘સિદ્ધાંત-કક્કો’‚ ‘ગુરુમહિમા’‚ ઉપરાંત આરતી‚ કટારી‚ પદ‚ રેખતા‚ હોરી છપ્પા અને સાખી જેવા પ્રકારોમાં વિપુલ પ્રમાણમાં સાહિત્ય સર્જન એમણે કર્યું  છે.

(૯પ) રાજે (ઇ.સ.૧૬પ૦-૧૭ર૦)

પ્રેમ લક્ષણા ભક્તિ પરંપરાના જ્ઞાની કવિ. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કેરવાડા ગામે મોલેસલામ મુસ્લિમ જ્ઞાતિમાં જન્મ. કૃષ્ણ ચરિત્રનાં વિવિધ રાગ ઢાળમાં  અદ્દભુત પદો એમણે રચ્યાં છે.

(૯૬)  રાઠો ભગત

ભજનિક સંતકવિ. જેમના વિશે કશી જ માહિતિ ઉપલબ્ધ નથી.

(૯૭) રામદે પીર (ઇ.સ.૧૩પ૧-૧૪પ૯)

રાજસ્થાનના પ્રમુખ લોકદેવતા‚ બાળનાથના શિષ્ય‚ મહાપંથના પ્રવર્તક… રાજસ્થાન પોકરણ પાસે રામદેવરામાં સમાધિ. ‘ચૌબીસ પ્રમાણ’ મુખ્ય રચના. ‘પ્રમાણ’ના અમુક ભાગ સ્વતંત્ર પદ‚ ભજન‚ આખ્યાન રૂપે રૂપાંતરિત થયા છે.

(૯૮)  રાવત રણશી (ઇ.સ.૧૪પ૦ આસપાસ)

મહાપંથના સંત ભક્ત. ભજનિક કવિ ઢેલડીનગર મોરબીના રાજવી. ખીમરા કોટવાળ  દાડલદેના શિષ્ય.

(૯૯) રૂખડિયો

આજ્ઞત ગિરનારી ભજનિક સંતકવિ.

(૧૦૦) રૂપાંદે (ઇ.સ.૧૩૮૦માં હયાત)

રાજસ્થાનના ભાટી ઉગમશીના શિષ્ય સંત માલદે-રાવ મલ્લીનાથ (ઇ.સ.૧૩ર૮ અથવા ૧૩૩૧માં જન્મ)નાં પત્ની મેઘ ધારૂનાં શિષ્યા સંત કવયિત્રી સતી રૂપાંદે.  ઇ.સ.૧૩૯૯માં જેમણે  સજોડે જીવંત સમાધિ લીધી હતી. એમની સાથેની જેસલ-તોરલની મૈત્રી અને મેળાપના ઉલ્લેખો ધરાવતાં ભજનો મળે છે.

(૧૦૧) લખમો માળી (ઇ.સ.૧૭૩૯-૧૮૧૩)

ભજનિક સંત કવિ. રાજસ્થાન પ્રદેશના મહાપંથના અનુયાયી. જન્મ નાગોર પરગણાના ચેનાર (બડકી બસ્તી) ગામે. સંત ખિંયારામ ખીંવણજી ભાટીના શિષ્ય. રાજસ્થાનમાં ‘લિખમા માલી’ની ભજન રચનાઓ ખૂબ જ પ્રસિદ્ધ હોવાનું નોંધાયું છે. એમની મારવાડી રચનાઓનું ગુજરાતીકરણ થયું છે. સમાધિ ઇ.સ.૧૮૪૧ વિ.સં.૧૮૬૯માં નાગોર મારવાડ ના અમરપુરા ગામે.

(૧૦ર) લખીરામ (ઇ.સ.૧૮૦૦માં હયાત)

રવિભાણ સંપ્રદાયના હરિજન સંત કવિ.ગુરુ : મોરારશિષ્ય કરમણભગત. ઇંગોરાળા (જિ.ભાવનગર) ગામે મેઘવાળના સાધુ જ્ઞાતિમાં જન્મ. અટક : સાગઠિયા ગુરુ : કરમણભગત મેઘવાળ વાવડી ગામના. લખીરામની સમાધિ લુવારા ગામે.

(૧૦૩) લીરલબાઈ-૧ (મજેવડી ઇ.સ.૧૬૦૦)

મહાપંથી સંત કવયિત્રી મજેવડી (જિ. જૂનાગઢ) ગામે લુહાર જ્ઞાતિના વીરાજી આંબાજી પીઠવા નામના ભક્ત દેવતણખીને ત્યાં જન્મ. દેવાયત પંડિતનાં શિષ્યા : રચના : યૌગિક પરિભાષામાં ગણપતિ મહિમા તથા મહાપંથી યોગ-વૈરાગ્ય-ઉપદેશપ્રધાન ભજનવાણી. લીળલબાઈ-ર (ઇ.સ.૧પપ૦ આસપાસ) મહાપંથી સંત કવયિત્રી ભજનોમાંથી મળતા ઉલ્લેખો મુજબ ઇંદોરગઢના રાજવી કુંભારાણાનાં પત્ની. ઉગમશી ભાટીના શિષ્યા. કેટલાક ભજનિકો તેમને મીરાંના ભત્રીજી અને બુંદી કોટાના રાજા જેમલ રાઠોડની દીકરી તરીકે તથા વાસુકી લોબડિયાનાં શિષ્યા તરીકે પણ ઓળખાવે છે. રચના : ‘લીળલબાઈના સપના’ તરીકે ઓળખાતી આગમવાણી ભજનો. જેમાં ‘રાઠોડુંના કુળમાં લીળલબાઈ બોલ્યા…’ એવો ઉલ્લેખ મળે છે.

(૧૦૪) લીરબાઈ-૩ (અવ. ઇ.સ.૧૮૭૬)

મહાપંથના સંત કવયિત્રી. પરબના સંત દેવીદાસશિષ્ય જીવણદાસજીનાં શિષ્યા‚ અથવા જીવણદાસજી મારફત દેવીદાસજીનાં શિષ્યા. મોઢવાડા (તા.પોરબંદર) ગામે મેર જ્ઞાતિમાં લુણા મોઢવડિયાને ત્યાં જન્મ. માતા : લાખીબાઇ. નજીકના જ કેશવ ગામે કેશવાળા મેર વજસી સાથે પરણાવેલાં. ક્રૂર અને શિકારી સ્વભાવના પતિએ ત્રાસ આપતાં મોઢવાડા ગામે રહેતા. પરબના સંત જીવણદાસજી અને તેમનાં પત્ની સોનબાઈમાને આગ્રહ કરીને મોઢવાડા ગામે રોકી રાખી જગ્યા બાંધી આપેલી તેમના સત્સંગે દેવીદાસજીનો પરિચય થયો અને મહાપંથી દીક્ષા સ્વીકારી. ત્રણ સંતાન : પુંજો‚ પોતો અને પુતીબાઈ જગ્યાઓ : કેશવ‚ મોઢવાડા‚ ગોસા‚ કંડોરણા. કોઠડી અને સીસલી ગામોએ ઇ.સ. ૧૮૭૬‚ વિ.સં. ૧૯૩ર મહા સુદ ર ને દિવસે કંડોરણા ગામે લીરબાઈ માતાએ જીવતાં સમાધિ લીધી. એ પછી એ ઇ.સ. ૧૮૭૮માં તેમના પુત્ર પુંજો ભગતે પણ માતાની સમાતના પગથિયા નીચે સમાધિ લીધી. લીરબાઈ માતાના પંથ તરીકે ઓળખાતા તેમના અનુયાયીઓના સંપ્રદાયમાં ઝીણાં સફેદ મોતીની માળા પહેરવામાં આવે છે‚ નાત-જાતના ભેદભાવ વિના મહાધર્મ-નિજીયા પંથનાં સાધના સિદ્ધાંતોને અનુસરતા ભક્તજનો દર અષાઢી બીજનો મહોત્સવ ઉજવે છે રચના : મહાપંથી ઉપદેશપ ધાન ભજનવાણી.

(૧૦પ) લોયણ (ઇ.સ.૧૭પ૦ આસપાસ)

મહાપંથના સંત-કવયિત્રી. શેલર્ષિ-શેલણશી-શીલદાસ-સાંઈ શેલાણીનાં શિષ્યા. લુહાર જ્ઞાતિમાં વીરાભગતને ત્યાં કીડી (તા. બાબરા‚ જિ. અમરેલી) ગામે જન્મ. આટકોટનો રાજવી લાખો સ્વાભાવે લંપટ અને વિલાસી હતો‚ તે લોયણના સ્વરૂપ પાછળ અંધ બનેલો. લોયણને સ્પર્શ કરવા જતાં તે કોઢિયો થયો અને લોયણના ગુરુ શેલર્ષિની કૃપાથી પશ્ચાત્તાપના અગ્નિમાં બળતા લાખાને સારું થયું. એ વખતે લોયણે ૮૪ જેટલાં ભજનો લાખાને અને તેની રાણીને ઉદેશીને ગાયેલા. ઊંચી કોટિનું તત્વજ્ઞાન અને મહાપંથના સાધના સિદ્ધાંતો વર્ણવતાં આ ભજનોમાં ઉત્તરોત્તર રીતે ક્રમશઃ સાધનાનું માર્ગદર્શન અપાયું છે. એક પછી એક ક્રમમાં નિજિયા પંથની ઓળખ‚ ગુરુ‚ અને ગુરુગમ‚ શિષ્યના લાયાકાત મનની શુધ્ધિ‚ યોગની બાર ક્રિયાઓ રહેણી અને કરણી‚ સહજ સાધના‚ બ્રહ્માંડનું અને બ્રહ્મનું રહસ્ય‚ વૃત્તિ‚ રસ‚ સત્સંગ‚ દેહ‚ માયા‚ જ્ઞાન અને ભક્તિ દ્વારા પરમતત્વની પ્રાપ્તિ… એમ વિવિધ વિષય પર જાગરણ ઉપદેશ‚ તત્વ‚ સાધના‚ પરિચય અને પ્રેમ પ્રાપ્તિ. એ રીતે ગૂઢ રહસ્યવાણી આલેખાઈ છે. પ્રત્યક્ષ કથન શૈલીમાં‚ સીધા સાદા સરળ શબ્દોમાં અપાયેલું ગહન ચિંતન આ ભજનોને ઉચ્ચ ભૂમિકાએ પહોંચાડે છે.

(૧૦૬) વિશ્રામસાહેબ (ઇ.સ.૧૮ર૬-૧૮૭૭)

રવિભાણ સંપ્રદાયના અનુયાયી. દાસી જીવણ શિષ્ય. પ્રેમસાહેબના બુંદ શિષ્ય. પિતા : પ્રેમસાહેબ (કડિયા) માતા : મલુબાઇ. જન્મ. વિ.સં. ૧૮૮ર. પત્ની : આદિબાઇ. અવસાન : વિ.સં. ૧૯૩૩ માગશર સુદી બીજ ને શુક્રવારે‚ બુંદ શિષ્ય : માધવરામ. જગ્યા : ગોંડલ તાલુકાના કોટડા સાંગાણી ગામે. રચના : સંતવાણી.

(૧૦૭) શાદુળપીર (ઇ.સ.૧૭પ૦-૧૮ર૦)

પરબના સંત દેવીદાસજીના શિષ્ય સંત. ભજનિક કવિ. ખુમાણ શાખાની કાઠી જ્ઞાતિમાં જન્મ. આપા દાના (ઇ.સ.૧૭ર૮-૧૮રર)ના સમકાલીન. પિતા : આલા ખુમાણ‚ ભેસાંણના. શિષ્યો : ચરણદાસજી‚ ગરીબદાસજી‚ જીવણદાસજી‚ માંડણભગત‚ રૂડા ભગત‚ કરમણ ભગત‚ ઉકરડો‚ વજસી‚ રામવાળા‚ માંગલબાઈ‚ ખીમણબાઈ વગેરે.

(૧૦૮) શીલદાસ (ઇ.સ.૧૬૮૦-૧૭૭૦)

મહાપંથી સંતવાણીના સર્જક. મૂળદાસજી (અમરેલી)ના શિષ્ય. ઇ.સ.૧૭૬૧માં મૂળદાસજીએ અમરેલીના પોતાના આશ્રમનો વહીવટ સોંપી દ્વારકાની યાત્રા કરેલી. અમરેલીના સુબાએ મૂળદાસજીને હેરાન કરેલા ત્યારે આશ્રમ સદાવ્રતને મળતી સહાય બંધ થઈ એટલે મૂળદાસજીએ શીલદાસ સહિત તમામ શિષ્યોને વાવડી ગામે મોકલ્યા હતા‚ ત્યાં ઝૂંપડી બાંધી રહેતા. પાછળથી અમરેલી જગ્યામાં સમાધિ. રચના : ભજનવાણી.

(૧૦૯) સદરદીન પીર (ઇ.સ.૧૪૩૦માં હયાત)

પીર સદરદીને રાવ માલદેનાં ભજનોમાં છેલ્લે થોડો ફેરફાર કરી પોતાના નામથી ‘ગીનાન’ તરીકે પ્રસિદ્ધ કર્યા છે. તેઓ નુર સતાગરના અનુયાયી હતા એવું જાણવા મળે છે. ઇ.સ.૧૪૩૦માં તેની નિમણૂંક ઘેલમી ઉપદેશક તરીકે થયેલી. મહાપંથના પ્રચાર પ્રસાર સામે પોતાની રીતે એમણે ધર્મયુદ્ધ આરંભેલું અને નિજાર માર્ગી તમામ ક્રિયાઓ-સાધનાઓ- માન્યતાઓને સ્વીકારીને હિન્દુ જનસમાજને મુસ્લિમ સંસ્કૃતિ તરફ વાળવાનો પ્રયાસ કરેલો. પીર શમસુદ્દેનના પુત્ર. એમણે ‘સહદેવ’ તથા ‘હરિશ્વંદ્ર’ નામથી ભજનોની રચના કરેલી. પીર સદરૂદીન પછીની પરંપરામાં હસન કબીરૂદીન‚ તેમના ભાઈ તાજદીન (જેણે પ્રહલાદ નામે રચનાઓ આપી છે. એનું અવસાન ઇ.સ.૧૪પર પૂર્વે થયું) અને હસન કબીરૂ-દીનના સૌથી નાના પુત્ર ઈમામુદીન અબ્દુર રહીમ અથવા ઈમામશાહ (જ.ઇ.સ.૧૪પર અવ.ઇ.સ.૧પ૧૩) જે મહમદ બેગડાના સમયમાં (ઇ.સ.૧૪પ૮-૧પ૧૧) ગુજરાતમાં આવેલા. તેમણે આ પરંપરા (નુર સતાગરના ઉપદેશ પ્રમાણેની) ચાલુ રાખેલી‚ તથા સત્પંથ નામે સંપ્રદાય વિકસાવ્યો. ઈમામશાહે અમદાવાદથી આઠેક કિલોમીટર દૂર આવેલા ગિરમથા ગામે સ્થાયી વસવાટ કર્યો. જે ગામ આજે ‘પીરાણા’ તરીકે પ્રસિદ્ધ થયું છે.

(૧૧૦) સવા ભગત (અવ. ઇ.સ.૧૯૬૧)

ભક્ત કવિ. સ્વામી ફૂલગરજીના શિષ્ય. સુરેન્દ્રનગરના જિલ્લાના પીંપળી ગામે પ્રજાપતિ કુંભાર જ્ઞાતિમાં કરસનભગત અને માતા કાશીબાને ત્યાં જન્મ. પત્ની : જમનાબાઈ‚ ઇ.સ. ૧૯૧૩માં સદાવ્રત શરૂ કર્યું. ઇ.સ. ૧૯૧૬માં રામદેવપીરનું ભવ્ય મંદિર બંધાવ્યું. વિરમગામ તાલુકાના માંડલ ગામના ભક્ત નારી ઝબુબાએ એમનું શિષ્યત્વ સ્વીકારેલું‚ એમનાં પણ ભજનો મળે છે. પુત્રો : નાનજી અને હરજીવનદાસ. સવાભગતનું અવસાન : ઇ.સ. ૧૯૬૧ વૈશાખ વદી અગિયારસ. જગ્યાના ગાદીપતિ હરજીવનદાસના પુત્ર : બળદેવદાસજી.

(૧૧૧) સાંઈ વલી

ગુજરાતમાં પ્રસરેલી દીન દરવેશ શાખાના મુસ્લિમ કવિ. સંભવત : ઇ.સ.૧૮પ૦માં હયાત. કચ્છના સૂફીકવિ ભાકરશાહ સાથેની તેની ચમત્કાર કથાઓ પ્રચલિત છે.

(૧૧ર) સુખરામ (ઇ.સ.૧૮૭૦-૧૯૪૧)

ભજનિક સૂફી સંતકવિ. ભાવનગર જિલ્લાના સાવરકુંડલા તાલુકાના છાપરી ગામે  મુસલમાન સંધી જ્ઞાતિમાં વિક્રમ સંવત ૧૯ર૬ ઇ.સ.૧૮૭૦માં સુખરામબાપુનો જનમ થયો. માત પિતાનું અવસાન થતાં ગારિયાધાર તાલુકાના ભંડારિયા ગામે  રહેતા એમના મામાને ઘેર થોડો સમય રહ્યા ને પછી ભમોદરા ગામના કાઠી આપા ગોલણબાપુને ત્યાં ગાયો ચરાવવા રહ્યા. અમરેલીના વાંઝા જ્ઞાતિના ભજનિક ઓધાભગતે ગિરનારી ઓલિયા સિદ્ધ પુરૂષ બુદ્ધગરબાપુનો ભેટો કરાવ્યો. બુધગરબાપુની કૃપા દષ્ટિ થઈ ને સુખરામબાપુના અંતરમાં અજવાળું થઈ ગ્યું. ગુરુ આજ્ઞાથી પાછા ભમોદ્રા રહ્યા અને જગ્યા બાંધી લોકસેવા કરતા રહ્યા. વિ.સં.૧૯૯૭ ઇ.સ.૧૯૪૧ના અષાડ વદી ૪ ને શનિવારે સુખરામબાપુએ આ જગતમાંથી વિદાય લીધી. ને ભમોદરાની ગાદીએ તેમના મુખ્ય શિષ્ય ઉકારામબાપુ બિરાજ્યા.

(૧૧૩) સામત બારોટ

ભજનિક ભક્ત કવિ.

(૧૧૪) હમીરો

(૧) હરિજન ભક્ત કવિ. ધણફુલિયા (જિ. જૂનાગઢ) ગામે ભંગી જ્ઞાતિમાં જન્મ. (ર) જામનગરના ભક્ત હમીર કુંભાર શૈલાણીના શિષ્ય. પરબવાવડીના સંત દેવીદાસના અનુયાયી ‘સેલાનીને ચરણે બોલ્યા હમીરો મુંને લાગી લગનિયાની લે‚ પરબુંના પીરને કોઈ સમજાવી કે જો…’ ભજનના રચયિતા.

(૧૧પ) હરજી ભાટી (૧૭૦૧-૧૭૮૧)

રાજસ્થાની ભક્ત કવિ. રામદેવપીના સંપ્રદાયના અનુયાયી. જોધપુરના ઓસિયાં સ્ટેશન પાસે આવેલ ‘પંડિત રી ઢાણી’ ગામે એમનું સમાધિસ્થાન છે. રામદેવપીરની સમાધિ બાદ ર૮૩ વરસે વિ.સં.૧૭૯૮-ઇ.સ.૧૭૪રમાં સાધુવેશે હરજીભાટીને રામદેવપીર મળેલા એવું હરજી ભાટીની રચનાઓમાં આલેખન જોવા મળે છે.

(૧૧૬) હિરસાગરસાહેબ

જે રવિ ભાણ સંપ્રદાયના સંત   શ્રી કરમશીસાહેબ (વાંકાનેર) ના શિષ્ય પત્નિ પાલુમાં, માતા રાજીમાં ને ગૌરીમાં તથા પિતા અમરાબાપા અટક રાઠોડ કુળમાં જ્ઞાતિએ વણકર મેઘવાળ ગામ રાજકોટના સમાધિષ્ઠ તા.૧૭-૦૯-૧૯૩૦ બુધવાર ને ભાદરવા વદ નોમ, વિ. સ. ૧૯૮૬ રાજકોટમાં સમાધીસ્થાનક આવેલ છે.

(૧૧૭) હોથી (અવ.ઇ.સ.૧૮૪૯)

રવિ ભાણ સંપ્રદાયના સંત-કવિ. મોરારસાહેબના શિષ્ય. મોરબી પાસેના નેકનામ ગામે સુમરા કોમમાં મુસ્લિમ જ્ઞાતિમાં જન્મ. પિતા : સિકંદર. અવસાન બાલંભા અને ખંભાલીડા (જિ.જામનગર-ધ્રોલ પાસે) વચ્ચે અફીણ ખાઈને. મોરારસાહેબે તે જગ્યાએ સમાધિ બનાવેલી.  બાલંભાપાસે દરગાહ‚ પીર તરીકે પણ પૂજાય છે. રચના : ભજનવાણી.

ગુજરાતી તળપદા શબ્દો

*આપણી ગુજરાતી ભાષામાં વપરાતા ગ્રામ્ય રહેણી કરણીના ખાસ શબ્દો જેમાના કેટલાક નવી પેઢીને જાણમા પણ નહી હોય... જેવા કે...

૧.● દોરી - કપડાં સૂકવવા કે કઈ બાંધવા માટે

૨.●વળગણી-કપડા સુકવવા બાંધેલી દોરી કે લાકડા ની વળી ને વળગણી કહેતા

૩.● જાળી - ભમરડો ફેરવવા માટે

૪.● રાશ - બળદને કન્ટ્રોલ કરવાની લગામ

૫.●અછોડો:-રાશથી નાનોને ઢોરને ખીલે બાધવા વપરાતો દોરડાનો ટુકડો

૬.● વરત - પાણી કાઢવાના કોસ માટે વપરાતું જાડુ દોરડું

૭.● વરતડી - પાણી કાઢવાના કોસ માટે વપરાતું પાતળું દોરડું

૮.●વરેડુ-ગાડામા પુળા કે ઘાસ ભર્યા પછી તેને ગાડાની આકડીઓ સાથે બાધવાનુ મોટુ દોરડુ

૯.● નાથ - બળદના નાકમાં પરોવી તેને કન્ટ્રોલ કરવા વપરાતી દોરી

૧૦.●છીકલુ:-દોરીની ગુથેલી જાળી જે બળદને પહેરાવાતી હતી જેથી ચાલુ કામે ખાઈ ન શકે

૧૧.● રાંઢવુ - જુદા જુદા કામ માટે વપરાતી જાડી મજબુત જાડી દોરી

૧૨.● નાડી - ચોરણી કે પાયજામાંં કમરે બાંધવાની પાતળી દોરી

૧૩.● નોંજણું - ગાયને દોહતી વખતે પાછળના બે પગ અને પુંછડાને સાથે બાંધી ગાયની હલચલ ને રોકવા માટે વપરાતી દોરી.

૧૪.● ડામણ - ઘોડા કે ગધેડાને છુટ્ટા ચરવા છોડવામાં આવે ત્યારે તેના એક આગળનો પગ અને એક પાછળના પગને સાથે દોરીથી બાંધવામાં આવે છે જેથી તે બહુ ઝડપથી દોડી શકે નહિ અને તરત જ પકડાઈ જાય. આ દોરીને ડામણ કહે છે.

૧૫.●ડેરો:-ભેસને બે પગ વચ્ચે રહે તે બંધાતુ લાકડુ જેથી તે દોડી ન શકે.

૧૬.● જોતર - બળદને ગાડા સાથે જોડવામાં વપરાતી દોરીનું સાધન

૧૭.● નેતર - છાશ કરવા માટે વલોણાને ફેરવવા વપરાતી દોરી

૧૮.●નેણ:-ગાડા સાથે ઘુસરી બાધવા માટેની ચામડાનુ દોરડુ...

૧૯.● આ ઉપરાંત દોરીના મટિરિયલને લીધે જુદા નામો છે દા. ત.

૨૦.● શીંદરી-  કાપડની ચીદડીમાંથી બનાવેલી દોરી.

૨૧.● સૂતળી - શણમાં થી બનાવેલી દોરી

૨૨.● વાણ- જંગલી વેલા વિગરે વનસ્પતિમાંથી બનાવેલી દોરી

૨૩.● કાથી - નાળિયેરના છોતરામાંથી બનાવેલી દોરી

...તે જ રીતે કપડાના જુદા જુદા આકારના જુદા જુદા કામ માટે વપરાતા ટુકડાના જુદા જુદા નામ છે. જેમ કે,

૨૪.● ચાકળો- સુતરાઉ કાપડનો ચોરસ ટુકડો, જેમાં ભાત કરી દીવાલ પર ટીંગાડી શકાય.

૨૫.● પછેડી- માથે બાંધવા અથવા ખભા પર રાખવા વપરાતો કાપડનો ટુકડો.

૨૬.●ફાટ-કાલા કે ખેતીની પેદાશ છોડ પરથી વીણી કમરે બાધેલા કપડામા ભેગી થાય તે

૨૭.● ચોફાળ -(ચલાકો) પછેડી કરતા મોટા કાપડનો ટુકડો જે ખાસ કરીને ગાંસડી બાંધવા વપરાય છે.

૨૮.● બુંગણ - ચોફાળ કરતા પણ મોટો જાડા કાપડનો ભાગ જે જુદા જુદા ખેતીના કામ માટે વપરાય છે.

૨૯.● ફાળિયું- માથે બાંધવા માટે પાતળો કાપડનો ટુકડો

૩૦.● પનિયું- કમરે બાંધવાનું કાપડ

૩૧.● ગુમછો- આછું,પાતળુ લાલ કાપડ

૩૨.● ઓછાડ- ગાદલાને કવર કરવા વપરાતું કાપડ.

૩૩.● કામળી- ઉનનું વસ્ત્ર જે ખભા પર રાખવામાં તથા ઓઢવામાં વપરાય છે.

૩૪.● મસોતું- રસોડામાં વપરાતું હાથ લુંછવા માટે તથા વાસણ લુસવા માટે વપરાતો કાપડનો ટુકડો.

૩૫.● પંચિયું- શરીર લુચવા માટે અને કમર નીચે બાંધવા માટે વપરાતો કાપડનો ટુકડો.

૩૬.● અબોટિયું - પૂજા અથવા અન્ય ર્ધાિમક વિધિ કરતી વખતે પહેરવામાં આવતું ધોતી જેવું કાપડ.

૩૭.● લુગડું - સાડીને લુગડું પણ કહે છે.

ગ્રામ્ય પ્રદેશમાં વપરાતા ઓજારો:-

૩૮.● પરોણો - બળદને હાંકવા માટેની લાકડી

૩૯.● કળીયુ - ખેતી માટેનું સાધન

૪૦.● બેલી- બે ભાગમાં વહેંચાયેલું લોખંડના સળીયાને ટીપીને બનાવેલું ખેતરમાં ઘાસ કાઢવાનું સાધન.

૪૧.● ફાળ - હળનો નીચેનો ભાગ

૪૨.● કોશ - ખોદવા માટે વપરાતો સીધો લોખંડનો સળિયો

૪૩.● કોસ (ઉ. કોહ) - કુવામાંથી બળદ વડે પાણી કાઢવાનું સાધન

૪૪.● સુંઢ - કોસનો ચામડાનો ભાગ

૪૫.● ગરેડી - કોસને ઉપર ખેંચવા માટે વપરાતુ ચક્ર

૪૬.● પાડો - બળદગાડીના પૈડામાંથી પસાર થતી એક્સલને જેમાંથી પસાર કરવામાં આવે છે તે મજબુત મોટું લાકડું

૪૭.● તરેલું - કોસમાં બળદને જોડવાનું સાધન

૪૮.● ધોંસરુ - ગાડી કે હળને બળદ સાથે જોડવાનું સાધન

૪૯.● પાટ - ખેડયા પછી જમીનના ઢેફા ભાંગી જમીન સપાટ કરવા વપરાતુ મોટું લાકડું

૫૦.● ઈસ - ખાટલામાં વપરાતા બે લાંબા લાકડા

૫૧.● ઉપલું - ખાટલામાં વપરાતા બે ટુંકા લાકડા

૫૨.● પાંગથ - ખાટલાના એક છેડે ખાટલાના ભરેલા દોરડાઓ ને સખત રાખવા વપરાતું જાડું દોરડું

૫૩.● તગારું - સીધી ધારવાળું નાની સાઈઝનું પતરાનું માલ ભરવાનું સાધન

૫૪.● ઘમેલું - કાંઠાને ગોળ વાખેલું તગારા કરતા મોટું સાધન

૫૫.● બકડીયું - તગારાને બે બાજુ કડીથી ઉપાડી શકાય તેવું સાધન

૫૬.● સૂયો - કોથળાને શીવવા માટે વપરાતી જાડી સોય

૫૭.● રાંપ - ખેડેલી જમીનને સાફ કરવા વપરાતું સાધન

૫૮.●દંતારી-ઘાસ,પાદડી તુટે નહી તે રીતે ભેગુ કરવાનુ સાધન

૫૯.●પાસી-વાડ કરવા માટે થોર કાપવાનુ દાતાવાળુ સાધન

૬૦.● રંધો - સૂતારનું પાટિયા વગેરેને લીસા કરવાનું સાધન

૬૧.● નેવા - છાપરામાંથી પાણી પડવાના ભાગ

૬૨.● મોભ - છાપરાના મધ્યમાં આવેલ મજબુત ટેકો જેના તરફથી બંને બાજુ ઢાળ હોય

૬૩.● વળી - મોભ અને દિવાલ પર રાખેલ પાતળું લાકડું જેના પર નળીયા ગોઠવી શકાય.

૬૪.● સાલ - ખાટલામાં ઈસ કે ઉપળાંને બંને છેડે અણી કાઢી તેને પાયામાં બંધ બેસતા કરવામાં આવે છે આવા લાકડાને સાલ કહે છે.

૬૫.● વિંધ - સાલ જેમાં નાખવામાં આવે છે તે કાણાવાળા પોલાણને વિંધ કહે છે.

૬૬.● પાયો - ખાટલાના ઉભા લાકડા જે વિંધમાં સાલ બેસે તે લાકડાના ભાગને પાયા કહે છે

૬૭.● ઢોલિયો - મજબુત અને મોટા અને શણગારેલા ખાટલાને ઢોલિયો કહે છે.

૬૮.●ઢોલડી-નાના ખાટલાને ઢોલડી કહે છે.

૬૯● નીક - ખેતરમાં પાણી લઇ જવા બનાવેલ વ્યવસ્થા ને નીક કહે છે.

૭૦.● ધોરિયો - મોટી નીક ને ધોરિયો કહે છે.

૭૧.●ઉદરિયુ-રેતાળ જમીનમા પિયત વેળા ઉદરના દર વડે પાણી બીજે ફુટે તે

૭૩.● છીંડું - વાડમાં બાકોરું હોય તો તેને છીંડું કહે છે.

૭૪.●ગાડાવાટ:-પાછળ આવેલા ખેતરમા ગાડુ લયી જવા ખુલ્લી મુકાતી જગ્યા

૭૫.● ખળું - અનાજના ડુંડાને સુકવી તેને પીસીને દાણા છુટા પાડવા માટે વપરાતી જગ્યા

૭૬.● કેડો - રસ્તો

૭૭.● કેડી - પગ રસ્તો

૭૮.● વંડી - દિવાલ

૭૯.● કમાડ - મોટું બારણું

૮૦.● ડેલો - મોટા કમાડવાળું બારણું

Monday 19 March 2018

લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ

સવાસો વરસ પહેલાંનું ગામડાનું લોકજીવન

ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છની ધરતીના ગામડાંઓનું લોકજીવન આજે ઝડપી વિકાસના કેડે ચડીને યંત્રયુગની આંધિમાં ઉડાઉડ કરી રહ્યું છે. જૂના કાળે ભાંડ, ભવાયા, વાદી- મદારી, નટ- બજાણિયા, રાવણહથ્થાવાળા અને રામલીલા ભજવનારાઓ ગ્રામપ્રજાનું મનોરંજન કરાવી બાર મહિનાનું પેટિયું (રોટલો) રળી લેતા. આજે ટી.વી. ચેનલો, મોબાઇલ આવતાં મદારીની મોરલી, ભવાયાની ભૂંગળો અને તૂરી, બારોટના રાવણહથ્થા મૂંગામંતર બની ગયાં. ગ્રામ સંસ્કૃતિમાંથી ગાડાં, વેલડાં ને માફાની સાથે કાંકરેજી, વઢિયારા નાગોરી અને ગીર ગાયના દેશી બળદો ગયા. યુદ્ધ, ધીંગાણા ને મુસાફરીના ખપમાં લેવાતાં પાણીપંથા કાઠિયાવાડી દેવતાઇ અશ્વોનો આખો યુગ આથમી ગયો. જાનનાં ગાડાં વેલડાં અને લગ્નગીતોનાં ઝકોળાય ગયા. એની જગ્યાએ મોટરો, ટ્રેકટરો અને મોટર સાઇકલોએ બઘડાટી બોલાવવા માંડી. આથી અમારો લોકકવિ નિઃસાસો નાખતા કહે છે.

ગયા ઘોડા ગઇ હાવળ્યો, ગયાં સોનેરી સાજ,
મોટર-ખટારા માંડવે, કરતાં ભૂ ભૂ અવાજ

ગામડાંનાં સાત્વિક અને બળપ્રદ ખાનપાન- બાજરાના રોટલા, ઘી, દૂધ, માખણ, લાપશી અને લાડવા ગયા, ને પાંવ-ભાજી, ભેળપુરી અને કચ્છી દાબેલીએ ગ્રામ રસોડામાં રાજ કરવા માંડયું.અને પછી શું આવ્યું ખબર્ય છે?

ઘરેણામાં ઘડિયાળ, ને સરભરામાં ચા,
પે’રવામાં લૂગડાં (ટાપટીપ) ને ખાવામાં વા.

જૂના કાળે ગુજરાતનું ગામડું કેવું હતું, એ ગામડામાં પોતે કેવો રસાનંદ માણ્યો હતો તેનું રસપ્રદ આલેખન ઇ.સ. ૧૮૯૨માં જન્મેલા પંડિતવર્ય પ્રભુદાસ બેચરદાસ પારેખે ‘ત્રિકાળદર્શી આયનામાં ભારતનું અર્થદર્શન’ નામના મહાનિબંધમાં રસપૂર્વક કર્યું છે. એ પછી એમાંથી પ્રાચીન ગામડાની સંસ્કૃતિનો ચિતાર આપતી નાનકડી પુસ્તિકા ‘આપણું ગામ- ગોકુળ ગામ’ સને ૧૯૫૨માં પ્રગટ થઇ હતી. એના આધારે આજે વાચકોને સવાસો વર્ષ પૂર્વેની ગામડાની સંસ્કૃતિની સફરે લઇ જવા છે.

ભારતની ધરતી પર આઝાદીનું અજવાળું પથરાઇ ચૂક્યું હતું. ગામડાંઓમાં નવસર્જનની યોજનાઓનો પ્રવેશ હજુ બહુ જ ઝાંખો જોવામાં આવતો હતો. જોકે ગામડાંઓમાંથી મળતા રાજ્ય ભાગની મિલ્કતનો પ્રવાહ રાજાઓ, ગરાસદારો અને શેઠિયાઓ મારફત આઘુનિકતાની ખીલવણી તરફ ધીમે ધીમે વળતો હતો. છતાં ગામડાંઓ પોતાની મૂળ સ્થિતિમાં ટકેલાં હતાં. શ્રી પ્રભુદાસભાઇ લખે છે કે અમારે એક ઘર હતું. અને તેમાં રહીએ ત્યાં સુધી અમને તેમાંથી કોઇ કાઢી શકે તેવો કાયદો ન હતો. અમારે માત્ર દર વરસે ભાયાતી દરબારને વેરાના રૂા. ૨ ભરવાના હતા. બાકી કોઇ પંચાયત નહોતી. જમીનનો માલિકી હક્ક કોઇનો નહોતો. જમીન પ્રજાની હતી એ તેનો ભાવ હતો.

એ કાળે અમારે ઘર બનાવવાનું હતું. ઘર ચણતી વખતે અમે ચાર પાંચ દિવસ ‘લાહવા’ કર્યા હતા. લાહવા એટલે ગામના પટેલિયા, સુથાર, ચણતરનું કામ જાણનાર, કોઇ કણબી- પટેલ કે કોળી પટેલ હોય તે. અને પથ્થરો ઉપાડવામાં, માટીના તગારાં આપવામાં અમે સૌ ઘરના બૈરાં- છોકરાંઓ કામ કરીએ તે સૌ એક ટંક શીરો, લાપસી જમીએ. આ તલધારી લાપસી ઘઉંના ફાડામાંથી બનતી. લાપસી તૈયાર થયે ઉપર ઘીની વાટ દઇએ એટલે ચાલે. સાંજે તો સૌ પોતપોતાના ઘેર વાળું કરે. માત્ર બપોરે ‘લાહવા’ જમે. મોટું ઘર હોય તો સાત આઠ દિવસમાં ચણાઇ જાય. નાનું હોય તો ત્રણ ચાર દિવસમાં પૂરું થઇ જાય, જરૂર પડે તો દાડિયા રાખીને પણ કામ કરાવતા.

ઘર ચણાઇ જાય પછી ઘરનાં બૈરાંઓ માટી અને છાણના સૂંડલા ભરી લાવી ગારિયું નાખતાં. ગારિયું ચડે પછી દીવાલે ગાર્ય કરી ઉપર ઓળપ કરવામાં આવતો. બૈરાં બે ચાર દિવસમાં આ કામ કરી નાખતાં. અમારા ગામની બાજુમાં ધોળી ખડી બે ત્રણ પૈસામાં મળી રહેતી. રાવળ ગધેડા ઉપર છાલકું મૂકીને ખડી આપી જતાં. એનાથી ઓરડા અને ઓસરી ધોળવામાં આવતાં. છાપરાં માટે સીમમાંથી મોટા લાકડાં આવી જતાં. એ વખતે જંગલ સંરક્ષણનો કાયદો અમલમાં આવ્યો નહોતો. જંગલમાંથી જરૂરી લાકડાં કાપી લાવતાં એવી જ રીતે એરંડાના કે એવા લાંબા લાકડા વાંસ, વળી તરીકે કામમાં આવે. થોડાક વાંસડા શહેરમાંથી લાવીએ પણ ખરા. વાંસડાની ચીપોની વંજી તેના ઉપર આવે, અને તે ન નાખવી હોય તો ગામના પટેલિયાઓ સાંઠીના મોટામોટા કડાં ગૂંથી આપે, તે માળખ પણ ગોઠવાઇ જાય. ગામના કુંભારે નદી કાંઠે નળિયાં બનાવ્યાં હોય તે આવીને નાખી જાય. અમારા વડીલો બે દિવસની મહેનત કરીને ઘરના નળિયાં હાથે ચાળી લેતાં, એટલે વરસાદમાં મુશ્કેલી પડતી નહીં. આમ મજાનું છાપરું તૈયાર થઇ જાય. તેમાં વળી ધોળા રંગના અને લાલ રંગના નળિયાનું મિશ્રણ કરીને અમારા દાદા નવ કુકરીનું ભરત ગોઠવીને તેમાં બહારથી કળા પણ દેખાય તેમ ઉપસાવતા. આમ અમારા નિવાસસ્થાનનો ઉકેલ આવી જતો.

ખડીથી ધોળેલી ઘરની દીવાલો પર મારી બા મોર, ઘહુંલી એવા કંકુથી આળેખો દોરતાં. તેમાં સાથિયા, દેરડી, ત્રિશૂળ વગેરે આવે. ઘરને વાર તહેવારે ચાકળા ચંદરવાથી શોભાવવામાં આવતું. અમારું ફળિયું લાંબુ એટલે ઉનાળામાં ફળિયામાં ખાટલા નાખીને વાહરવા સૂઇએ. દિવસે બહુ ગરમી લાગે તો શેરી વચ્ચે કે બજાર વચ્ચે ખાટલા નાખીને સૂઇએ એટલે પવન ફર્યફર્ય આવ્યા કરે. ઘરનો ઉપયોગ શિયાળા ને ચોમાસા પૂરતો જ કે થોડી ઘરવખરી સાચવવા પૂરતો રહે. બાકી આખો દિવસ કામ કામ ને કામ. સૂઇ રહેવાની કે બેસવાની નવરાશ જ કોને મળે. સવારના સાડા ચારથી રાતના નવ દસ વાગ્યા સુધી કામ ચાલ્યા કરે. આજના જેવી હેલ્થક્લબો કે લાફિંગ ક્લબોની જરૂર નહોતી પડતી.

અમારા ગામને પાદર આજી નદી બારે માસ વહેતી રહેતી. મારી બા રોજ સાત બેડાં ધમકારાબંધ ભરી લાવતી. વોટરવર્કસને એક પાઇ પણ ટેક્સ ચૂકવવાનો નહોતો. અમારે ન્હાવું – ધોવું હોય, તો નદીએ કે પટેલની વાડીએ પતાવી આવીએ. હાથે લૂગડા ધોતા આવીએ. કદાચ સાબુ દેવો હોય તો વઢવાણના સાબુની એક પૈસાની ગોટી શહેરમાંથી લઇ આવેલા હોઇએ તે વાપરીએ. બનતા સુધી તો ધોળી ઘૂળ, ભૂતડો ને ખારાનો જ ઉપયોગ કરતા. અમારા જેવા સુખી ઘરમાં કે દરબાર સાહેબને ત્યાં કોઇ દિવસ એક પૈસાની એક સાબુની ગોટીનાં દર્શન થાય. ટૂંકમાં જ્યાં કપડાં જ ઓછાં પહેરવાના હોય ત્યાં મેલા થાય જ શાના? ગામ ગામતરે કે સગાવહાલામાં જવું હોય કે વાર-તહેવાર હોય ત્યારે નવા લૂગડાં પહેરવાના હોય. બાકી તો થાપણાંના કપડાં માટીના કોઠલામાં કે લાકડાના મજૂસમાં એકાદ બચકડીમાં બાંઘ્યા પડ્યા હોય.

સગાસબંધીઓમાં લગ્ન પ્રસંગે કે કાણે-મોકાણે જવાનું હોય તો ચાલીને અમે જતા. ઘરમાં બાર મહિનાનું અનાજ આવે તેને ઠારવું, રખેળવું, સૂંડલે ભરીને કોઠારમાં નાખવું એ બઘું કામ અમે બાળકો હોંશભેર કરતાં. ઉનાળામાં નદીનો પ્રવાહ સુકાઇ જાય ત્યારે ગામના લોકો ભેગા મળીને નદી વચ્ચે નાની કૂઇ જેવો વીરડો બનાવી લેતાં. સુથાર માવજીબાપા તેના ઉપર આડા અવળાં લાકડા મૂકીને ભેખડ ધસી ન પડે અને કોઇ તેમાં પડી ન જાય તેવી રીતે કઠેડા જેવું બનાવી આપે. નદીમાં પુર આવે ત્યારે ચોમાસામાં બઘું જ તણાઇ જાય.

અમારે ગામમાં કરિયાણાની દુકાન. દુકાનનું કામ પતાવીને આજુબાજુના ગામોમાં ઉઘરાણી કરવા પગે ચાલીને જતા. ત્યાંથી ઉઘરાણીમાં આવતાં અનાજ વગેરે વસ્તુઓ તથા દુકાનમાં વેચવા માટેની વસ્તુઓ ખભે ઉપાડીને ઘેર લાવતા. મજૂર મળે જ નહીં. મજૂરની જરૂર પણ નહીં. વધારે ભાર હોય તો સંબંધી પટેલોના ગાડામાં મોલ લવાય. ભાડું દેવાનું નહીં. પટેલને લગન બગનનું કામ હોય ત્યારે શેઠ સાથે જઇને બધો માલ રીતસર ખરીદાવી આપે. એમ સહકારથી વગર પૈસે પરસ્પરના કામો સંતોષકારક રીતે ઉકેલાઇ જતાં.

વેપારીને તો થોડીઘણી ઉઘરાણી હોય એટલે તે પેટે બાર મહિનાનું અનાજ ઘરમાં દરેક મોસમે આવી જ જાય. તેમાંથી મારી બા સૂપડે ચડાવીને તથા બીજી રીતે મોટા મોટા દાણાનું અનાજ સારી રીતે તારવી લે ને કોઠીમાં ભરે. દાણા રાખમાં રખેળાય. તેના ઉપર ભાર મુકાય. છાણાંની રાખ તો ઘરમાંથી જ મળે. તે લેવા જવી જ ન પડે. જરૂર પડે તો અડોશીપડોશી પાસેથી પરસ્પર લેવાય ને દેવાય. બારેય માસ દાણા સડયા વિનાના રહે.

ઘરમાં રોજેરોજનો લોટ ઘંટી વડે દળીને તૈયાર કરાતો. અને સવારના સૂતા હોઇએ ત્યારે ઘરનાં બૈરાંઓ વહેલાં પરોઢિયે ઊઠીને દળવા બેસી જાય. પ્રભાતિયાં ગાતાં જાય. ઘંટીના ઘરરર ઘરરર અવાજમાં અમને નીંદર પણ મીઠી આવે. આમ એક તરફ દળવાનું ચાલે. ત્યારે બીજી તરફ ઘરરડઘમ વલોણું શરૂ થાય. સવારમાં ઉઠીએ ત્યારે અમને છાશ પીવા મળે. દૂધ તો પીવું ગમે જ નહીં. મોળું મોળું લાગે ને ભાવે પણ નહીં. મા આગ્રહ કરીને મંઇ સાકાર નાખે તો ગટગટાવીએ પણ ખરા. ઘરમાં લોટ તૈયાર જ હોય એટલે રોટલા-રોટલી ઘરના ચૂલે બૈરાં બનાવી નાખે.

ખાવામાં દાળભાત માય ફરે. ગામમાં કમોદ થાય તેની મગની દાળ સાથે મીણ જેવી ખીચડી થાય. તેમાં ઘી નાખીને ખવાય. તે પણ મોટે ભાગે સાંજે વાળુમાં. જમણમાં તો ચૂરમાના લાડુ, અડદની દાળ અને ખીચડી જ હોય. દાળભાતનાં દર્શન તો ૧૪ વર્ષની ઉંમરે ગુજરાતમાં આવ્યા પછી કર્યાં. લીલાં શાક ગામની વાડીઓમાંથી સહેજે આવી જાય. દેવીપૂજક (વાઘરી) બાઇઓ સૂંડલા લઇને ગામમાં શાકબકાલું વેચવા આવે. એની પાસેથી લઇ લઇએ.

ઘરની છાશની કઢી ઘણીવાર થાય. કોઇવાર મગ, મગની દાળ, આખા અડદ, અડદની દાળ, મઠ-ચણા, ચણાની દાળ અને કળથી વગેરે કઠોળનાં શાક ફરતાં ફરતાં થાય. રોટલી ને શાક પછી બાજરીના રોટલા ને તાંસળી ભરીને રેડા જેવી છાશ પીવાની હોય. ખેડૂતોના ખેતરમાં ઘઉં, બાજરી, મગ, અડદ, ચણા, મઠ, કળથી, ડાંગર, બંટી ને કાંગ જ વવાય. જુવાર તો કોઇવાર જ વાપરીએ. જુવારનું ધાન છાશમાં રાંધે તથા ગોત્રદેવીના નિવેજ હોય ત્યારે જુવારનો ખીચડો રંધાય. અમારે અનાજ બહારથી લાવવું પડતું નહીં. અનાજ લેવાતું કઢારો એટલે જેટલું અનાજ ઉછીનું લાવીએ તેનાથી સવાયું દોઢું અનાજની મોસમમાં પાછું આપવું પડે. ઉછીનું પણ કહેવાય.

જૂના સમયમાં ગામડામાં ઘરોઘર દુઝાણું તો હોય જ. સૌરાષ્ટ્રનાં ગામડાંઓમાં ગિર ગાયોનો ઉછેર કરવામાં આવતો. ખેડૂતોનાં આંગણાં ગાય અને અશ્વથી અરધી ઉઠતાં. ઘરની બાજુમાં કોઢ રહેતી. તેમાં ગમાણ રહેતી. ત્યાં ગાયો બંધાતી. સવારના પહોરે પ્રહરિક ચારો ચરાવવા પુરુષો વહેલા ઊઠી જતા. ચોમાસાની મોસમમાં બૈરાં અને આદમી સીમમાં જઈ ખડ વાઢી લાવીને સૂકવતાં, જે ઉનાળામાં ઢોરને ખવરાવાતું. ગોવાળ ગામનું ખાડું લઈને ગૌચરોમાં ચરાવવા જતો. ગોંદરે ગામની ગાયો, ભેંસોનું ખાડું દિ’ઊગ્યામાં ભેગું થતું. ગામમાં કપાસ થાય તેને લોઢાવીને, વેપારી કપાસિયા દુકાને રાખતા. તે ઢોરોને ખવરાવાતાં. ઢોર માંદાં થાય ત્યારે તેને સારાં કરવા માટે ઉપચારો તો ઘરના માણસો પણ જાણતા હોય. ઢોર વિયાય ત્યારે ગામનો ગોવાળ વાછરું-પાડરું તાણી આપતા.

તાંબા-પિત્તળનાં વાસણોનો વપરાશ જૂજજાઝ. દૂધ દોહવાના દોણાં, દૂધ મેળવવાના દોણાં, છાશની ગોળી કુંભાર બનાવીને આપી જતાં. દોરડાં ઘરમાં હોય. રવૈયો, ડેર વગેરે ઉપકરણો સુથારે બનાવી આપ્યાં હોય, એટલે ઘી, દૂધ, દહીં, છાશ, માખણ, દૂધપાક, ખીરની ખૂબ છૂટ રહેતી. ઘરેઘરે ઢોરો એટલે દૂધ વેચવાનો રિવાજ જ ન મળે. તે દિ’ દૂધ વેચવું એ પાપ ગણાતું.

શ્રી પ્રભુદાસભાઈ પારેખ એ જમાનાને યાદ કરીને લખે છે કે અમારા ઘરમાં સોમવારનું દૂધ વાપરી નાખવાનો રિવાજ વડવાથી ચાલ્યો આવે. તે દિવસે દૂધ મેળવાય નહીં. દૂધ ખાવામાં, ને ખીર-દૂધપાક બનાવવામાં વપરાઈ જાય. સગાં, સહોદર ને સ્વજનોને ઘેર દૂધ મોકલાય. ખાસ જરૂરના પ્રસંગે તેમને ત્યાંથી લેવાય. આમ આપ-લે ચાલે પણ વેચવાનું નહીં એ વણલખ્યો નિયમ. ઘી ઘેર જ બનતું એટલે મહેમાન આવે ત્યારે ઘી લેવા દોડવાનું નહીં. ઘરમાં લગ્ન કે દાદાનું કારજ આવે તેને માટે તાવણોમાં અમુક રોજનું વધતું ઘી ગાળીને કુરિયા જેવું ભરી રાખ્યું હોય તે વપરાય. તેમ છતાં ઘી વેચાતું લાવવું પડે તો એક રૂપિયાનું ત્રણ શેર ઘી છૂટથી મળી રહેતું. તે દિ’ ખાંડ, સાકરનો વપરાશ જૂજ હતો. માંગલિક પ્રસંગે સારા ઘરોમાં સાકર વપરાતી. બાકી ગોળધાણાથી ચાલતું. ગામના પટેલો શેરડીના વાઢ કરતા. ચિચોડો મંડાતો. શેરડી ભરડાતી ને તેના રસને ઉકાળીને દેશી ગોળની ભેલીઓ બનાવાતી. ગામ આખું ચિચોડે શેરડી ખાવા, શેરડીનો રસ પીવા અને તાવડાનો ગરમ ગરમ ગોળ ખાવા જતું. જેને જેટલું ખાવું હોય તેટલું ધરાઈને ખાય. પાઈ પૈસો આપવાનો નહીં. ખેડૂતોના મન બહુ મોટાં હતાં. ખવરાવવામાં એમને આનંદ આવતો. તેઓ કહેતા કે ખવરાવ્યે કોઈનું ખૂટી જતું નથી. ગામ લોકો આ વાઢનો ગોળ ખરીદીને ગજાપ્રમાણે લોઢાની કોઠીઓમાં ભરી રાખતા, જે બાર મહિના સુધી ચાલતો.

જમતી વખતે, મહેમાન આવે ત્યારે, બપોરે ભૂખ લાગે ત્યારે ગોળના દડબાં ને દડબાં છોકરાઓ ખાય. ગોળ શક્તિવર્ધક ગણાતો. ગોળની લાપશી, શીરો, ચૂરમાના લાડું, ગોળપાપડી, તલધારી લાપસી, છુટ્ટી લાપશી, ગળ્યાં ઢેબરાં, ગળ્યાં પૂડલા, ગળમાણું વગેરે ગોળમાંથી જ થાય. મોટા મરણના દહાડામાં ગોળ-પાપડી, ગાંઠિયા ને ચણા ગોળનું જમણ થાય. ગોળપાપડીના ઘાણના ઘાણ ઊતરે અને સાત સાત થર ઉપરાઉપર નાખે. ચોસલા ઉખડે ત્યારે પાતળા પાતળા સાત થર તેમાંથી નીકળે. દહાડામાં જમવા જઈએ ત્યારે ગોળપાપડી, ગાંઠિયા ને ચણા આવે. પાછળથી છાશ પીવાની આવે.

અમને ચણા ગાંઠિયા વધારે ભાવે. ગોળપાપડી બહુ ના ખાઈએ એટલે વડીલો ડોળા કાઢીને અમને તતડાવે ઃ ‘નમાલાઓ, તમને ખાતાં આવડે છે કે નંઈ? ગાંઠિયા ચણામાં શું ખાવાનું છે? માલ માલ ખાઓ ને!’ એમ કહેતાં તેઓ પાંચ પંદર ચોસલા ઝાપટી જાય. ઘી, દૂધ અને ગોળના ખોરાકને કારણે એ કાળે લોકોનાં શરીર પથ્થર જેવા મજબૂત રહેતા. પાંચ પાંચ મણ ભાર માથે ઉપાડીને બે ગાઉ ચાલી નાખતા. બબ્બે મણ ભારની તો પાંચ પાંચ ગાઉ માથે લાવ લઈ જાવ કરવી રમત વાત હતી. અમારા ગામનો એક વાણિયો નાનકડો ત્રાંસ ભરીને લાપસી ખાઈ જતો. એકવાર એના ઉપર ૧૬ માણસ ભરેલી એક મોટર ચાલી ગઈ છતાં ઊભો થઈ લાકડીના ટેકે ટેકે ઘરે પહોંચી ગયો. અઠવાડિયું શીરો ખાઈને માથે દોઢ દોઢ મણ ભાર ઉપાડીને ચાલતો થઈ ગયો.

તે દિ’ અનાજ સંઘરવા માટે આજના જેવા ગોડાઉનો નહોતાં. ઘરનાં બૈરાંઓ અને કુંભારની બાઈઓ અનાજ ભરવા માટીની મોટી કોઠીઓ, કઠોળ રાખવાના કોઠલા અને દૂધ દહીંના ગોરહડાં રાખવા મજૂસડાં બનાવી આપતી. ૫૦-૫૦ મણ અનાજ ભરેલી કોઠીઓમાં નીચેના ભાગમાં સાણું-કાણું હોય. તેને કપડાનો ડાટો માર્યો હોય. ડાટો ખેંચી કાઢો એટલે ખરરર કરતું અનાજ બહાર સૂંડલામાં કે સૂપડામાં આવી જાય.

બાર મહિનાનું ઘરવપરાશનું અનાજ કોઠીઓમાં સંગ્રહી રાખવામાં આવતું. પણ મેઘરાજા રૂઠે ને કાળ-દુકાળ પડે તો શું કરવું? એને માટે કોઠાસૂઝ ધરાવતા કુટુંબના વડિલો ફળીમાં મોટી ખાણ ખોદાવતા. તેમાં નીચે રાડાં, બાજરીના ઢુંસા વગેરે નાખે. તેમાં જુવાર બાજરો મોટા પ્રમાણમાં ભરે. પછી એવી જ વિધિથી તેને ઢાંકી દે. ત્રણ ચાર વર્ષ કોઈ એનું નામ ન લે. ચોમાસાને કારણે તેમાં ભેજ લાગીને થોડો બાટ પણ લાગે. છતાં કાળ-દુકાળે લોકો આનંદથી ખાતાં.

ઢેબરા, શાક, પુરીઓ માટે તેલની જરૂરત રહેતી. એ વખતે ખેડૂતો પુરબિયા અને શરદિયા નામના મીઠા અને કંઈક કડછા તલ અને તલી વાવતા. એ તલ લઈ અમે ગામના નથુ ઘાંચી પાસે જઈ ઘાણીમાં તેલ કઢાવી આવીએ. તેને કુડલામાં ભરીને ઘરમાં રાખી દઈએ.

થોડાં વસ્ત્રોથી અમે ચલાવી લેતાં. ગામમાં કપાસ થાય તે ખરીદી ચરખામાં રૂ ને કપાસિયા કઢાવીએ. પીંજારો રૂની પુણીઓ કરી આપે. ઘરોઘર રેંટિયા હતા એટલે બાઈઓ નવરી પડે ત્યારે કાંતવા બેસી જતી. તેજો મેતર અને સામંત મેતર તેના વેજા વણી આપે. બેચર મેરાઈ પાસે તેના પહેરણ સિવડાવીને પહેરીએ. લાલ સુતર નાખીને કિનાર કાઢેલાં પોતિયાં પહેરીએ. ગામના પટેલિયાઓ તો તેના ચોરણા, પછેડી, બુંગણ વાપરે. વાંકાનેરના મુમના લોકોએ હાથેકાંતેલ સુતરના ફાળિયાં વણ્યા હોય તેના મોટા મોટા ફીંડલા પટેલિયા પાઘડી તરીકે પહેરતા. માથે તલવાર કે લાકડીનો ઘા વાગે તો ય માથાને ઈજા ન થાય. આ માથાબંધણાને પટેલિયાઓ મોળિયાં કહેતા. અમે તો એ વખતે શહેરની છીંટના ફેંટા બાંધતા. ગાદલા, ગોદડા, ઓછાડ (ચાદણ) ચોફાળ, પછેડીઓ હાથવણાટની જ વપરાતી. આમ ખાવુંપીવું, પહેરવું ઓઢવું અને રહેવું એનો ઉકેલ ગામડામાં જ આવી જતો. ગામડામાં ઘણે ભાગે એક સુથાર, એક લુહાર, એક દરજી, એક કુંભાર, એક વાળંદ, એક બ્રાહ્મણ, એક બાવાજી, એ અતીત, બે પાંચ રાજપૂત દરબારો, કોળી, ઠાકોર, હરિજન, વણકર, ચમારના ઘર રહેતાં.

સુથાર સુથારીકામ કરી આપે. લુહાર કોશ, કોદાળી, ગાડાંના પૈડાના પાટા, તવી, તાવડાને દાતરડાં બનાવી આપે. એમને બાર મહિને આળત અને અવસરે દાણા-પૈસા અપાય. સુથાર સુથારી કામ કરી આપે. સોની રૂપાના દાગીના, કંઠી, સીસાની કાનમાં પહેરવાની ચીજો બનાવી આપે. કુંભાર ઇંટો, નળિયાં ને માટીના વાસણો પુરાં પાડે. મહેમાન આવે ત્યારે કે લગ્ન પ્રસંગે સામટું પાણી ભરી લાવવાની જરૂર પડે ત્યારે પાણી ભરી લાવીને પૂરું પાડે. જન્મ, અઘરણી, આણું, બાળકનું નિશાળ-ગરણું, લગ્ન મરણ વગેરે જીવનના સોળ સંસ્કારો બ્રાહ્મણો કરાવતા. વણકર પાણકોરાં વણી આપે. ગોવાળ ગાયો ચારે, દરજી બારે માસ કપડાં સીવી આપે. વાળંદ બારે માસ વતું કરે. મહેમાનો આવે ત્યારે પગચંપી કરે. લગ્નમાં પીઠી ચોળે, કોળી ઠાકોરો પસાયતું રાખે ને ચોકી કરે. રાજપૂત દરબારો ગામનું, ગાયોનું અને નારીઓના શિયળની રક્ષા માટે યુઘ્ધ ધીંગાણું કરે. સાઘુ-બાવા ઠાકરદુવારે કે ગામના ચોરે રામજી મંદિરની પૂજા આરતી કરે. ચોરે બેસીને તુલસીકૃત રામાયણનું વાચન કરે. અતિત બાવા શંકરની પૂજા કરે. હરિજન લગ્ન પ્રસંગે ઢોલ વગાડવા આવે.

નોરતાંમાં ગરબા અને ગરબીઓની રમઝટ બોલે. ગામડાની હાડબળુંકી બાઈઓ નવા લૂગડાં પહેરીને ચોકમાં ગરબાની બઘડાટી બોલાવે ત્યારે કોઈ જુવાનિયો એની હડફેટે ચડી જાય તો બિચારો ગોઠીંબડા જ ખાઈ જાય. કોઈ બાઈની કોણી વાગી ગઈ હોય તો એવી કળ વળી જાય કે એને ઊભા થવાનું આકરું બની જાય.

હોળી ઘૂળેટી એટલે ગામડામાં આનંદનો ઉત્સવ. યૌવન હિલોળે ચડે. ઘૂળેટી અને પડવાને દિવસે ગામના જુવાનિયાઓ એકબીજા ઉપર છાણાંના છૂટા ઘા કરીને રમે. પછેડીઓની ઢાલ મોઢા આડે રાખીને બચાવ કરે, અને હરીફ સામે આખું છાણું જોરથી ફેંકે. કદાચ વાગી જાય તો ઘેર જઈને હળદર મીઠું ચોપડે એટલે પત્યું. આમાંથી લડાયક તાલિમ અને નિર્ભયતા કેળવાતી. રામોદ અને ગોંડલના લોકો ટેકરી પાસે નાના નાના ગરગડિયા પાણકા ભેગા કરી ઘૂળેટીના દિવસે સામસામા ફેંકીને રમે અને હાથમાં ઢાલો લઈ બચાવ કરે. આ જોવા બંનેય બાજુ ઠાકોરો અને મહાજનના શેઠિયા હાજર રહે. બપોર સુધી આ ધમાલ ચાલે. પછી નદીએ જઈ નહાઈને ગોઠના ખજૂર ટોપરાં ખાઈ સૌ સૌને ઘેર જાય.

ચોરામાં શંકરના મંદિરે તથા બીજા મંદિરે લોકો ધર્મબુઘ્ધિથી જાય અને ભક્તિભાવથી નમન કરે. પુરુષોત્તમ માસમાં પુરૂષોત્તમ માસની કથા થાય. સત્યનારાયણની કથા ઘેર વંચાય. તેના મારફતે ધાર્મિક અને નીતિનો બોધ પ્રજાને મળતો. સૌ સોના બારોટો અને વહિવંચાઓ આવે, વાર્તાઓ માંડે, વડવાઓના પરાક્રમો કહી સંભળાવે. નવા જન્મેલા દીકરા-દીકરિયુંના નામ ચોપડામાં માંડે ને દાપું લઈ જાય. બાવાઓ, સંન્યાસીઓ આવે ને ઉપદેશ આપે. બાવાઓની જમાતો આવે. તેઓને સીધાં અપાય. લગ્ન પ્રસંગે જાન આવે. બંદૂકોના ભડાકા કરી નિશાન પાડવામાં આવે. ગાડાની મુસાફરી તથા બળદો દોડાવવાની હરીફાઈઓ થાય.

તે દિ’ ગામડાના રક્ષણ માટે હાથિયા થોરની દસદસ ફૂટ જાડી અને ઊંચી વાડો કિલ્લાનું કામ કરે. પગી લોકો ચોર પકડી આપે. પગેરું કાઢીને જે ગામમાં જાય ત્યાંના પગીની ચોર સોંપવાની જવાબદારી. ન સોંપે તો જે ગામમાં ચોરી થઈ હોય તેના ચોકીદાર કોળી ઠાકોરોનું તેની સામે બહારવટું થાય. ત્યાંના ગામમાંથી ચોરી કરી લાવે. પરિણામે લડાઈ થાય. પણ બ્રાહ્મણ, અતીત-બાવા, સંન્યાસી, ગુરુ વચ્ચે પડે એટલે સમાધાન થાય. કસૂંબા થાય ને બધી પતાવટ થાય.

ગામડામાં એકબીજાને ત્યાં ચાંલ્લા, હુતાસણીના હારડા, પ્રસૂતાંજલીના શ્રીફળની લેવડદેવડનો રિવાજ. મુસલમાન હોય, ખોજા હોય કે વાણિયા, પટેલ; દરેકને ત્યાં અરસપરસના વ્યવહાર. મુસલમાન સંબંધીને ત્યાં તેના દીકરાના લગ્ન પ્રસંગે બ્રાહ્મણને બોલાવીને રસોઈ કરાવાય, અને સંબંધી હિંદુઓ તેને ત્યાં જમવા જાય. હિંદુ મુસલમાનની જમવાની પંગતો જુદી પણ સૌના દિલ એક. સૌના દિલ નેક. આજે હિંદુ મુસલમાનની પંગત એક થવા માંડી છે પણ દિલ શંકિત અને જુદાં થઈ ગયાં છે. તે સમયે એવું ન હતું.

એ કાળે, તાર, ટપાલ, રેલ્વે કે યાંત્રિક વાહનો નહોતાં. પોતાના ગામની આજુબાજુ સગાવહાલા, બહેન, દીકરી, ફોઈ, મામા રહેતા હોય. કદાચ થોડું દુર હોય તો ગાડાં, ઘોડા, સીગરામના સાધનો હતાં. જાત્રાએ જવું હોય તો સંઘ નીકળતા. દૂર જાત્રાએ જનાર યાત્રાળુઓના ગામોગામ સામૈયાં, સત્કાર, ઉતારા, ખાનપાન વગેરેની વ્યવસ્થા થતી. જ્યાં પડાવ પડે ત્યાં તે તે ગામના દરબાર, પટેલ, મહાજનના શેઠિયા વગેરે સામૈયું કરે. પાણી, બળતણ વગેરે પૂરાં પાડે.

બ્રાહ્મણના જુવાનો સગાવહાલાને ત્યાંથી લખવાનું જ્યોતિષ, પરણ અને મરણના વિધિવિધાનો શીખી લાવતા. એ વખતના દરબારો ભણ્યા નહોતા પણ બેરિસ્ટરો કહેવાતા. કામદારોનેય કાન પકડાવતા અને ડહાપણથી તોડ કાઢતા. ગામના પાદરેથી કોઈ નાતીલા જમવાના ટાણે પસાર થાય તો જમાડ્યા વિના જાવા ન દે, એવો વણલખ્યો નિયમ. જનારને ઉતાવળે ક્યાંક પહોંચવું હોય તો છાનોમાનો ગામના પાદરમાં થઈને પસાર થઈ જાય. આવું હતું ગઈકાલનું સૌરાષ્ટ્રનું ગામડું. આવું હતું ત્યાંનું લોકજીવન.

લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ

Tuesday 13 February 2018

12 જ્યોતિર્લિંગ

(૧) સૌરાષ્ટ્રમાં સોમેશ્વર/સોમનાથ
સોમનાથ એટલે ચંદ્રના સ્વામી, અમૃતની વર્ષા કરનાર, શીતલતા પ્રદાન કરનાર ભગવાન શિવ જે સૌરાષ્ટ્રમાં છે. સૃષ્ટિના સર્જન વખતે ચંદ્ર અતિસ્વરૂપમાન હતો. રાજા દક્ષ પ્રજાપતિ એ પોતાની સુપુત્રીઓમાંથી 27 સુપુત્રીઓના લગ્ન ચંદ્ર સાથે કર્યા હતા. ચંદ્રને પોતાના સૌંદર્ય અને સ્વરૂપનું વધુ ગર્વ હતો. 27 પત્નીઓમાંથી રોહિણી ચંદ્રને વધુ પ્રિય હતી. શરૂઆતમાં રોહિણી સિવાયની બાકીની 26 પત્નીઓ અપમાનીત થઈને પોતાના પિતાશ્રી દક્ષ પ્રજાપતિ પાસે પહોંચી ત્યારે દક્ષ પ્રજાપતિ બહુ જ ક્રોધિત થયા અને ચંદ્રને શ્રાપ આપ્યો કે હે ચંદ્ર, તમને તમારા સૌદંર્ય, તેજ અને કાંતિનું જે ગર્વ છે તેનાથી તાત્કાલિક વંચિત થાવ અને તમને ક્ષય નામનો મહારોગ લાગુ પડે.આ શ્રાપને કારણે ચંદ્રની ધીમે ધીમે સુંદરતા ઘટવા લાગી. ઈન્દ્રાદિ દેવો ભગવાન બ્રહ્માજી પાસે ગયા અને શ્રાપના નિવારણ માટે ઉપાય જાણવા નિવેદન કર્યુ ત્યારે ભગવાન બ્રહ્માજી એ દેવોના દેવ મહાદેવના મહામૃત્યુજંય મંત્રનું અનુષ્ઠાન કરી શિવપૂજન અને આરાધના કરવાનું સૂચવ્યું. ચંદ્રએ શિવલિંગની સ્થાપના કરી તપ કરવાનું શરૂ કર્યું.
પૂજા કરી તેનાથી ભગવાન શિવ પ્રસન્ન થયા અને વરદાન માંગવા કહ્યું. ત્યારે ચંદ્રએ વિનંતી સાથે જણાવ્યું કે, હે ભગવાન મહાદેવ મને આ ક્ષય રોગથી મુક્ત કરો. અને ફરી તેજસ્વી બનાવો. શ્રાપના પ્રભાવને હળવું કરતાં ભગવાન શિવે કહ્યું કે મહિનાના કૃષ્ણપક્ષમાં તમારી કલા ક્ષીણ થશે અને શુકલ પક્ષમાં તમારી કલા વૃદ્ધિ પામશે અને પૂર્ણિમાના દિવસે પૂર્ણ તેજસ્વી બની આકાશમાં વિચરણ કરી શકશો. તેજ વખતે ભગવાન શિવ આર્શીવાદ આપી ત્યાંજ જ્યોતિર્લિંગ સ્વરૂપે સ્થાપિત થયાં. ચંદ્રમાની ઉપાસનાથી ભગવાન શિવ પ્રસન્ન થયા તે હેતુથી આ જ્યોતિર્લિંગનું નામ સોમનાથ પડ્યું. પ્રભાસપાટણમાં ભગવાન સોમનાથનું મંદિર છે. એમની પૂજા, અર્ચના કરવાથી ચામડીના રોગ, ક્ષય રોગ, હૃદય ફેફસાં સંબંધી રોગો નાશ પામે છે. મસ્તિષ્ક પર ચંદ્રમય ભગવાન શિવશંકરનું ધ્યાન કરતાં આજ્ઞાચક્ર અને સહસ્ત્રાર ચક્ર તેજસ્વી, ગતિમાન થાય છે અને શરીરમાં મસ્તિષ્ક અને ગળામાંથી વિશેષ પ્રકારના રસો ઝરતાં મનુષ્યોના અસાધ્ય રોગો દૂર થાય છે. શરીરની ગરમી, શરીરમાં પ્રસરી ગયેલા વિષાણુઓના કારણે તન-મનની ગરમી વધી હોય તો તે શાંત થાય છે.

(૨) શ્રી શૈલ પર મલ્લિકાર્જુન
કાર્તિકેય અને ગણપતિ ભગવાન સદાશિવના કહેવાથી પૃથ્વીની પરિક્રમા કરવા નીકળ્યા. પરિક્રમા કરીને જ્યારે કૈલાસ પર આવ્યાં ત્યારે ગણપતિના વિવાહની વાત નક્કી થતાં કાર્તિકેય ધર્મપ્રચાર અર્થે શૈલ પર્વત પર ગયાં એથી વ્યથિત શિવ-પાર્વતીએ કાર્તિકેયને મનાવવા માટે દેવર્ષિઓને મોકલ્યા અંતે શિવ-પાર્વતી શૈલ પર્વત પર ગયાં અને ત્યાં જ્યોર્તિમય સ્વરૂપ ધારણ કરી સ્થાપિત થયાં. મલ્લિકાર્જુન ભગવાન શિવશંકરનું જ્યોતિર્લિંગ તામિલનાડુમાં કૃષ્ણાનદીના કિનારે શૈલ પર્વત પર છે. ભગવાન મલ્લિકાર્જુનની પૂજા અર્ચન કરવાથી, દર્શન કરવા માત્રથી જીવનની અનેક મહત્ત્વાકાંક્ષાઓ પૂર્ણ થાય છે અને ભક્ત-સાધકનું હંમેશાં કલ્યાણ થાય છે. શરીરમાં વિશેષ પ્રકારની શક્તિ વધે છે. તેનાથી વ્યક્તિ બળવાન બને છે.

(૩) ઉજ્જૈનમાં મહાકાલેશ્વર
આયુષ્યની વૃદ્ધિ, સંપૂર્ણ સ્વાસ્થય રક્ષા આધ્યાત્મની દૃષ્ટિએ કાલ પર વિજય મેળવવાની દૃષ્ટિએ એમની પૂજા અર્ચનાનું બહુ જ મહત્ત્વ છે. મધ્યપ્રદેશમાં ક્ષીપ્રા નદીના તટ પર ઉજ્જૈન શહેર છે. પવિત્ર સાતપુરીઓમાં ઉજ્જૈનીની ગણના થાય છે. અહીંયા ભગવાન શિવશંકરનું સ્વયંભૂ પ્રાગટ્ય ભયંકર હુંકાર સાથે થયો હોવાથી એને મહાકાલ કહેવામાં આવ્યા. શાસ્ત્રોમાં એવી કથા છે કે ઉજ્જૈનમાં વેદપ્રિય નામનો એક બ્રાહ્મણ હતો જે હંમેશા શિવપૂજામાં જ તલ્લીન રહેતો હતો. એ બ્રાહ્મણના સમયકાળમાં જ બ્રહ્મા પાસેથી વરદાન પ્રાપ્ત કરી દુષણ નામનો એક રાક્ષસ ત્યાં આવ્યો હતો અને વેદ, ધર્મોનો નાશ કરતો હતો. બ્રાહ્મણોને પજવતો હતો. વેદપ્રિય બ્રાહ્મણના ચારેય પુત્રો પણ જ્યારે શિવલિંગની પૂજા કરતાં હતાં તે વખતે દુષણ નામનો રાક્ષસ પોતાની સેનાની સાથે ત્યાં આવ્યો. એ બ્રાહ્મણ પુત્રોને પજવે તે પહેલા જ પાર્થિવ શિવલિંગમાંથી એક ભયંકર પ્રચંડ ધડાકો થયો અને ત્યાં એક મોટો ખાડો થઈ ગયો. એ ખાડામાંથી ભગવાન મહાકાળ પ્રગટ થયાં અને એમણે દુષણ નામના દૈત્યનો તેમજ એમની સેનાનો સંહાર કર્યો. ભગવાન મહાકાળની પૂજા, અર્ચના કરવાથી અનેક અસાધારણ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. કાળ પર પણ (મૃત્યુ પર પણ) વિજય મેળવી શકાય છે.

(૪) વિધ્યાંચલમાં ઓમકારેશ્વર/ મમલેશ્વર
નર્મદા નદીના કિનારે મધ્યપ્રદેશમાં ઓમકારેશ્વર અને મમલેશ્વર જ્યોતિર્લિંગ છે. વિધ્યાંચલે પાર્થિવ લિંગ બનાવી ભગવાન શિવશંકરની પૂજા આરાધના સાથે છ મહિના તપશ્ચર્યા કરી ત્યારે બુદ્ધિ માંગી, ભગવાન શિવશંકરે ‘તથાસ્તુ’ કહ્યું. ઓમકારનું જે શિવલિંગ હતું તેના બે સ્વરૂપ થઈ ગયાં. એક ઓમ – ઓમકાર સ્વરૂપે ભગવાન શિવ ત્યાં પ્રગટ થયાં. ઓમકારનો અર્થ છે પૂર્ણ પવિત્ર પદ. જે વેદાંધ્યાનમાં પૂર્વ અને અંતમાં બોલવામા આવે છે. સમગ્ર સૃષ્ટિ અને બ્રહ્મનું સંપૂર્ણ પદ છે. ઓમ ભગવાન શિવશંકર સમગ્ર બ્રહ્માંડમાં ઓમકાર સ્વરૂપમાં શબ્દ, અક્ષર, ધ્વનિ, અણુ, પરમાણુમાં વ્યાપત છે. તેમની પૂજા, અર્ચનાથી વ્યક્તિ યોગ વિદ્યામાં નિષ્ણાત અને અનેક વિદ્યાઓનો જ્ઞાતા બને છે. વ્યક્તિ સમ્માનિત અને શ્રેષ્ઠ બને છે.

(૫) હિમાલય પર કેદારનાથ
કેદારેશ્વર જ્યોતિર્લિંગ મંદાકિની નદીના તટે આવેલું છે. અહી શિવલિંગ શીલારૂપે છે. કેદારેશ્વર જ્યોતિર્લિંગ ના મહાત્મ્યના વર્ણનમાં લખ્યું છે કે ભગવાન વિષ્ણુના બે અવતાર થયાં, નર અને નારાયણ. એમણે બદ્રિકાશ્રમમાં તપ કરી ભગવાન શિવને પ્રસન્ન કર્યા. ભગવાન શિવને પ્રસન્ન કર્યા પછી એમણે પ્રાર્થના કરી કે જો ખરેખર તમે પ્રસન્ન થયાં હોવ તો અહીંયા જ વાસ કરો એટલે શિવજી ભગવાન બરફના સ્થાનરૂપ કેદાર ક્ષેત્રમાં જ્યોતિર્લિંગ સ્વરૂપે સ્થિત થયાં. હિમાલય કેદારસ્થિત ભગવાન કેદારનાથની જે નર-નારાયણના રૂપમાં પૂજા, અર્ચના કરે છે, તેમના જીવનની પ્રગતિમાં આવતી અનેક વિઘ્ન-બાધાઓ દૂર થાય છે. સર્વત્ર સફળતા માટે અનુકૂળતા સર્જાય છે.

(૬) ડાકિનીમાં ભીમશંકર
પ્રતિકૂળ, ભયાનક સ્થિતિમાં મનોબળ, આત્મબળ અને અનેક પ્રકારની શક્તિનું નિર્માણ કરતાં ભીમશંકર જ્યોતિર્લિંગનું સ્થાન સહ્યાદ્રી પર્વતોની હારમાળામાં ભીમા નદીના મૂળ પાસે સ્થિત છે. ભગવાન શિવજી એ ત્રિપુરાશુરનો વધ કરી અહીં સહેજ વિરામ લીધો હતો. તે વખતે ભીમક નામનો રાજા અહીંયા તપશ્ચર્યા કરતો હતો. તેનાથી પ્રસન્ન થઈને તેની ઇચ્છા મુજબ શિવશંકર જ્યોતિર્લિંગ સ્વરૂપે અહીંયા સ્થિત થયાં. એમની પૂજા, અર્ચનાથી આકાશતત્ત્વ વધતાં યોગમાર્ગમાં વ્યક્તિ વધુ શ્રેષ્ઠ પ્રગતિ કરી શકે છે. શરીરમાં એક વિશિષ્ટ પ્રકારનો ઉત્સાહ વધે છે. કાયમી સ્ફૂર્તિ જળવાય રહે છે અને હંમેશાં માટે શત્રુભય તથા પ્રતિકૂળ વાતાવરણ નું શમન થાય અને આત્મવિશ્વાસ વધતાં અનેક પ્રકારે વિજય મળે છે.

(૭) કાશીમાં વિશ્વનાથ
ચૌદ લોક સમસ્ત બ્રહ્માંડના સ્વામી જે કાશીમાં છે. આદિકાળમાં કાશી શિવજીનું ગોપનીય સ્થાન ગણવામાં આવતું હતું. એમની પૂજા, અર્ચના કરવાથી આત્મજ્ઞાન થતાં વ્યક્તિ કર્મબંધનથી મુક્ત બને છે. ત્રિકાળજ્ઞાની બને છે અને અંતે જ્ઞાની બનવાથી સંસારના બંધનમાંથી મુક્ત થઈ મોક્ષ પ્રાપ્ત કરે છે. શાસ્ત્રોમાં મુક્તિ માટે કાશીમરણનું પણ ખૂબ જ મહત્ત્વ છે. મુક્તિપુરી-કાશીને ભગવાન શિવની નગરી પણ કહેવામાં આવે છે.

(૮) ગોમતી તટ પર ત્રંબકેશ્વર
ત્રંબકેશ્વર નામમાં બહુ જ રહસ્ય છપાયેલું છે. (૧) ભગવાન શિવશંકર અહીંયા ત્રણ લિંગોમાં વિદ્યમાન છે. જે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના પ્રતિક ગણાય છે. (૨) ત્રિકાળ પર વિજય મેળવવા માટે ત્રિકાળજ્ઞ બનવા માટે, મા શક્તિ અંબિકાની (મહાકાળી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી) અનુકંપા મેળવવા, શક્તિમય વાતાવરણ સર્જવા, શિવશંકરના ત્રંબકેશ્વર તીર્થ પાસે બ્રહ્મગીરી પર્વત છે. ઉત્તરમાં ભગીરથ નામના રાજાએ મા ગંગાનું અવતરણ કર્યું હતું. અહીંયા ભગવાન શિવજી ગંગાને ધારણ કરી રહ્યા હતાં. એજ ગંગા ગોમતી કહેવાયા. શરીરમાં જ્યારે ત્રિદોષ (વાત, પિત્ત, કફ) અસંતુલિત થાય છે ત્યારે ભગવાન ત્રંબકેશ્વર શિવના ચિંતન ધ્યાન માત્રથી સ્વસ્થ બની શકે છે. અને ભક્તની મનોકામનાઓની પૂર્તિ થાય છે.

(૯) અયોધ્યાપુરી (દારૂકવન)માં નાગેશ્વર
દ્વારકાથી બેટના રસ્તે જતાં શ્રી નાગેશ્વર મંદિર આવે છે. નાગેશ્વર ભગવાન શિવના પૂજન અર્ચનથી શરીરમાં તેમજ સંસારમાં ફેલાયેલા અનેક વિષોનું શમન થાય છે. શરીરમાં અગ્નિતત્ત્વ સંતુલિત થાય છે. નાગવાયુથી (શરીરમાં પાંચ વાયુમાંનો એક વાયુ જેના વડે ઓડકાર આવે છે) અગ્નિતત્ત્વ સંતુલિત થતાં પાચનક્રિયા શ્રેષ્ઠ બને છે. નાગવાયુ અને પાચનક્રિયા-પાચનતંત્રનો પૂર્ણ સંબંધ છે. ભગવાન નાગેશ્વરની પૂજાથી વ્યથિત વ્યક્તિ શક્તિશાળી અને પુરુષાર્થયુક્ત બને છે. પ્રાચીન કથા મુજબ સુપ્રિય નામનો એક વૈશ્ય ભક્ત હતો. તેમણે ભગવાન શિવશંકરની પૂજા, અર્ચન કરી ભગવાનને પ્રસન્ન કર્યા. ભગવાનને એણે પ્રાર્થના કરી કે હે, મહાદેવ, દારૂક નામના દૈત્યથી મારી રક્ષા કરો. જેથી ભગવાન જમીનના પોલાણમાંથી ચાર દ્વારવાળા ભવ્ય મંદિર સાથે પ્રગટ થયાં અને નાગેશ્વર નામથી પ્રસિદ્ધ થયાં. એમની સાથે જે પાર્વતી સ્વરૂપમાં ભગવતી હતાં તે પણ નાગેશ્વરી નામથી પ્રસિદ્ધ થયાં.

(૧૦) ચિંતાભૂમીમાં વૈદ્યનાથ-બૈજનાથ
મૃત્યુ અને રોગથી વ્યક્તિ હંમેશા ભયભીત રહે છે. પ્રતિકૂળ સંજોગોમાં, અતિચિંતામય વાતાવરણમાં ભગવાન શિવશંકરને સમર્પિત થઈને વૈદ્યનાથ જ્યોતિર્લિંગની પૂજા કરે છે ત્યારે સુખ-સમૃદ્ધિ માટે, અનુકૂળ વાતાવરણ સર્જાય છે. પ્રાચીન ગ્રંથોમાં વૈદ્યનાથ જ્યોતિર્લિંગના માહાત્મ્યમાં લખ્યું છે કે રાવણે જ્યારે કઠોર તપ કરી ભગવાન શિવશંકરને પ્રસન્ન કર્યા અને ભગવાનને કહ્યું કે હે ભગવાન મારે આપને લંકા લઈ જવા છે. ત્યારે ભગવાન શંકરે ફકત સ્મિત જ આપ્યું ત્યાર બાદ રાવણ શિવલીંગ ને લઈને લંકા જવા રવાના થયો. માર્ગમાં તેને લઘુશંકા ની ઇચ્છા થઈ તેને એક સહાયકને શિવલિંગ આપ્યું તે શિવલિંગના ભારથી અકળાઈ ઊઠ્યો અને તેણે શિવલીંગ ને ત્યાં જ જમીન પર મૂકી દીધું. આથી શિવલિંગ તેજ જગ્યાએ સ્થિર થઈ ગયું. રાવણે આવીને એ શિવલિંગ ને ઉપાડવા પ્રયત્ન કર્યો પણ તે ઉપાડી ન શકયો, વૈદ્યનાથ ભગવાનના જ્યોતિર્લિંગના આ સ્વરૂપની જે પૂજા અર્ચના કરે છે તે વ્યક્તિ સ્થિર વિચારશીલ, ધીરગંભીર, દૃઢ મનોબળવાળી બને છે.

(૧૧) સેતુબંધમાં રામેશ્વર
બાર જ્યોતિર્લિંગમાં રામેશ્વર જ્યોતિર્લિંગનું મહત્ત્વ પણ અદ્ભુત છે. ભગવાન શ્રી રામે રેતીનું શિવલિંગ બનાવી શિવ અર્ચના કરી હતી. ભગવાન શિવજીએ લંકા વિજય માટે વરદાન આપ્યું હતું. રામેશ્વર ભગવાન શિવની પૂજન, અર્ચના કરવાથી વ્યક્તિ શારીરિક, માનસિક, તેમજ બ્રાહ્ય શત્રુ પર વિજય મેળવી શકે છે. શત્રુઓ ઉપર વિજય મેળવવા માટે અનુકૂળ વાતાવરણ સર્જાય તેમજ યોગ્ય સહયોગ મળી રહે. ભગવાન શ્રી રામચંદ્રજીની પ્રાર્થનાથી શિવજી ત્યાં જ જ્યોતિર્લિંગ સ્વરૂપે સ્થિર થયા જેથી આ સ્થાનનું નામ રામેશ્વર જ્યોતિર્લિંગ રાખવામાં આવ્યું.

(૧૨)  દેવ સરોવર શિવાલયમાં ઘુશ્મેશ્વર
ઘુશ્મેશ્વર જ્યોતિર્લિંગના પૂજન, અર્ચનથી વ્યક્તિ સંસારના તમામ સુખ-વૈભવ-સમૃદ્ધિ ભોગવી અંતે મોક્ષ પ્રાપ્ત કરે છે. એવું શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે. પ્રાચીન શાસ્ત્રો પ્રમાણે ‘સુશર્મા’ નામનો એક બ્રાહ્મણ હતો. સુશર્માની પત્ની ‘સુદેહા’ ને સંતાન ન હતા. નિ:સંતાન પણાના દુ:ખને દૂર કરવા સુદેહાની સંમતિથી સુશર્માએ પોતાની સાળી ‘ઘુશ્મા’ સાથે લગ્ન કર્યા. શિવકૃપાથી ઘુશ્માને ત્યાં પુત્ર જન્મ થયો. સુદેહાએ ઈર્ષાને લીધે પોતાની જ બહેનના (આમ, તો પોતાના જ) પુત્રને મારી નાંખ્યો. ત્યારે ઘુશ્માએ ભગવાન શિવની અખંડ આરાધના કરી અને ભગવાન શિવે પુત્રને ફરી જીવિત કર્યો. ઘુશ્માની પ્રાર્થનાથી શિવશંકરે ત્યાં નિવાસ કર્યો. જેથી જ ઘુશ્મેશ્વર બારમા જ્યોતિર્લિંગના નામથી પ્રસિદ્ધ થયું.
ભગવાન શિવની કાયિક વાચિક અને માનસિક રીતે પણ પૂજા થઈ શકે. શિવપંચાયત અને દેવનું પૂજન કરી સૃષ્ટિના તમામ દેવોને વંદન કરી મહાશિવરાત્રિના દિવસે જ્યોતિર્લિંગની પૂજા કરવામાં આવે અથવા કોઈપણ શિવલિંગ પર વિધિવત્ પૂજન, અર્ચન કરવામાં આવે તો ભગવાન સદાશિવ પ્રસન્ન થાય છે અને વ્યક્તિને અનેક કષ્ટોમાંથી મુક્ત કરે છે.