Atul from

Thursday 12 October 2017

સૌરાષ્ટ્રના સંત -દાસી જીવણ

*સૌરાષ્ટ્રના સંત -દાસી જીવણ*

દાસી જીવણ / જીવણસાહેબ / જીવણદાસજી (ઇ.સ.૧૭પ૦-૧૮રપ)

રવિ-ભાણ સંપ્રદાયના તેજસ્વી સંત કવિ. ભીમસાહેબના શિષ્ય. જન્મ વિ.સં.૧૮૦૬ ઇ.સ. ૧૭પ૦માં ઘોઘાવદર (તા.ગોંડલ‚ જિ.રાજકોટ) ગામે હરિજન ચમાર કુટુંબમાં દાફડા શાખના જગાભગત સામબાઈને ત્યાં. દાસી ભાવે પરમાત્માની ઉપાસના કરનારા આ સંત કવિ લોકોમાં ‘રાધાનો અવતાર’ તરીકે ઓળખાય છે. નિર્ગુણ નિરાકારની સાથે સગુણ સાકારની ઉપાસનાનો સમન્વય કરી પ્રેમલક્ષણા દાસીભાવ‚ જ્ઞાન‚ યોગ‚ વૈરાગ્ય‚ ચેતવણી‚ બોધ ઉપદેશ ગુરુમહિમા એમ વિવિધ ભાવસૃષ્ટિ ધરાવતાં ભજનોના રચયિતા સંત કવિ તરીકે સૌરાષ્ટ્રના ભજનસાહિત્યમાં દાસી જીવણે મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. એમનાં પ્યાલો‚ કટારી‚ બંસરી‚ બંગલો‚ મોરલો‚ હાટડી‚ ઝાલરી વગેરે રૂપકાત્મક ભજનો ઉચ્ચ પ્રકારની સાહિત્યિક ગુણવત્તા ધરાવે છે. દાસી જીવણે સં. ૧૮૮૧ આસો વદી અમાસ-દીવાળીને દિવસે (ઇ.સ.૧૮રપ) ઘોઘાવદરમાં જ જીવતા સમાધિ લીધેલી. પત્ની : જાલુમા. પુત્ર : દેશળભગત. શિષ્યો : પ્રેમસાહેબ (કોટડા સાંગાણી)‚ અરજણ (ભાદરા).

દાસી જીવણ

ઓળખ:

જીવણ જગમાં જાગિયા,નર મટી થિયા નાર,
દાસી નામ દરસાવિયુ, એ રાધા અવતાર.’

કૃષ્ણ ભકત જીવણદાસ પુરુષ હોવા છતાં પોતાને રાધાનો અવતાર ગણાવતાં હોવાથી દાસી જીવણ તરીકે જાણીતા બન્યા હતા. દાસી જીવણ એ રવિભાણ સંપ્રદાયનાં ઓજસ્વી સંતકવિઓની વેલનું અમરફળ છે. રવિસાહેબ અને દાસી જીવણના પદોએ આટલાં વર્ષે પણ જનમાનસનાં હૈયામાં પોતાનું સ્થાન અણડોલ પણે જાળવી રાખ્યું છે. આમ તેમના ભજનને આત્મજ્ઞાનની અનુભવરૂપી વાણીનો જ એક પરિપાક ગણવામાં આવે છે. તેમણે દાસીભાવે અનેક પદો અને ભજનો રચ્યાં, જે આજેય લોકજીભે પ્રચલિત છે. વસ્ત્ર પરિધાનમાં પણ તેઓ ભારે વરણાગી ગણાતા. પોતાની જાતને ચૌદ ભુવનના સ્વામીનાં પટરાણી ગણી જાત ભાતના શણગારોથી સજાવતા. દાસી જીવણને સૌરાષ્ટ્રની મીરાં બાઈ પણ કહેવાય છે.

જન્મ અને બાળપણ:
દાસી જીવણનો જન્મ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યનાં રાજકોટ જિલ્લાનાં ગોંડલ તાલુકાનાં ઘોઘાવદર ગામમાં થયો હતો. જે સંવત ૧૮૦૬ માં આસો મહિનાની અમાસ એટલેકે દિવાળીના દિવસે મેધવાળ જ્ઞાતિનાં એક ગરીબ કુંટુંબમાં થયો હતો. તેમનું મુળનામ જીવણદાસ હતું. તેમનાં પિતાનું નામ જગા દાફડા અને માતાનું નામ સામબાઈ હતું. દાસી જીવણનાં પિતાનો વ્યવસાય તે સમયનાં ગોંડલ સ્ટેટનાં મરેલા પશુઓનાં ચામડાં ઉતારી તેને કેળવવાનો ઈજારો રાખવાનો હતો. ગોંડલ સ્ટેટનાં ચમારોમાં દાસી જીવણનાં પિતાનું બહુ મોટું નામ ગણાતુ હતું. વ્યવસાય પ્રમાણે કોઈ કોઈ માણસો તેને ચમાર જ્ઞાતિનાં પણ ગણે છે.

ધાર્મિક લાગણી અને ઈશ્વરી આસ્થા દાસી જીવણના કુંટુંબનું અંગ બની ગયા હતા. રાત પડે અને જગા દાફડાની ડેલીએ ભજનો શરૂ થાય. સાધુ-સંતો માટે તેમનું ઘર આશરો બની રહેતું. આવા વાતાવરણ વચ્ચે દાસી જીવણનો ઉછેર થતો હતો. દાસી જીવણ પોતાના પિતાનાં વ્યવસાય કરતાં કરતાં મન તો ભક્તિના રંગમાં ડુબેલું જ રાખતા. આમ સમય જતાં તે યુવાનાવસ્થામાં પહોંચ્યા.

લગ્નજીવન અને ગુરૂનો મેળાપ:
દાસી જીવણ યુવાન થતા તેમના પિતા અને માતાએ તેમના માટે સારી કન્યા ગોતવા માંડયા. લગ્ન માટે આમતો દાસી જીવણની ઈચ્છા ન હતી છતા પણ પોતાના માતાપિતાની આજ્ઞાને શિરે ધરી. સમય થતા જાલુમા નામની કન્યા સાથે તેમના લગ્ન થયા. પોતાનો સંસાર સમયનાં વહેણની સાથે ચાલવા લાગ્યો અને તેમને ત્યાં એક પુત્રનો જન્મ થયો. તેમનુ નામ દેશળ રાખવામાં આવ્યુ. સંસારની જવાબદારી વધવા છતા પણ તેમનો ભક્તિમાં લીન રહેવા લાગ્યા. તેઓ આજુબાજુના ગામમાં થતા ભજનમાં પણ જવા લાગ્યા. હવે તો પોતાનાં ઘરમાં પણ સાધુઓની અવર જવર વધવા લાગી. તેમના પિતાએ શરૂ કરેલ આતિથ્ય સતકારની ભાવનાથી રંગાયેલ દાસી જીવણને આ કાર્યમા આનંદ આવતો હતો. આમ એક દિવસ રવિભાણ સંપ્રદાયનાં સિધ્ધસંત ત્રિકમ સાહેબનાં શિષ્ય એવા આમરણ(તા.મોરબી) નિવાસી સંતશ્રી ભીમ સાહેબના સમ્પર્કમાં આવ્યા પછી પ્રેમલક્ષણા ભકિતનો ઉદય થયો. તેમની સાથે ભક્તિની વાતો કરે અને સતસંગમા આનંદ મેળવતા હતા.

આમ પણ દાસી જીવણને નાનપણથી જ ખ્યાલ હતો કે ગુરૂ વિના સાચુ જ્ઞાન મળતુ નથી, અને જો ઈશ્વરનાં દર્શન કરવા હોય તો ગુરૂજ્ઞાન થવુ જરૂરી હતુ. દાસી જીવણને જયારે કોઈ સંત તેજસ્વી લાગતા ત્યારે તે પોતાના ગુરૂ માનીને કંઠી બંધવતા હતા. આમ પ્રભુ ઉપાસનાનાં પંથે પડેલા દાસી જીવણે ૧૭ વખત ગુરૂ બદલાવ્યા, પણ ક્યાંય મેળ ન જામ્યો. પોતાનુ હૈયુ ઠરે તેવા ગુરૂની શોધમાં હતા. તેવામાં તેમને ભીમસાહેબનો ભેટો થયો. મનમાં જેવા ગુરૂની કલ્પના કરી હતી તે સાકાર થઈ. પરમતત્વની લે લાગી ગઈ. હદયનાં કમાડ ઉઘડી ગયા અને દાસી જીવણની વાણી વહેતી થઈ.

ગુરૂના સાનિધ્યમાં ભજનવાણી:
અમુક લોકોને જેમ ગુરૂનો મેળાપ થયા પછી પોતાના જીવન ધ્યેય ફરી ગયા છે, તેમ હવેતો ગુરૂ મળવાથી મનમાં અનેરો આનંદ થાય છે. તેમને દિવસ કેમ વિતી જાય છે. તેનો ખ્યાલ પણ રહેતો નથી અને રાત્રે ભજનની લહેર લાગી જાય છે. પોતાના ગુરૂ પાસે મુંઝવતા પ્રશ્નોનું સમાધાન કરી અને ભક્તિમાં તરબોળ થતા જાય છે. અને હવેતો તેના અંતરનો તારો બોલી ઉઠ્યો, ભજનસરવાણી છુટવા લાગી. સાદી અને સરળ પણ મર્મસ્પર્શી એમની વાણી છે. જગતને ધુતવાવાળા ધુતારાઓને નિરક્ષર સંતે પોતાના પદ દ્વારા પડકાર ફેંકયો છે કે, જોગી હોકર જટા વધારે, અંગ લગાવે વિભુતા, જોગી નહીં પણ જગધુતા. દંભ સામે કટાક્ષ કરનાર દાસી જીવણના ભજનોમાં યોગસાધના પધ્ધતિનુ પણ નિરૂપણ થયુ છે. સાધના દ્વારા જે અગમ્ય અનુભવ થાય છે. તેનુ વર્ણન કરતા કહે છે કે, અજો ગગનથી લહેરૂ આવે, જરજર નેણાં અમર જરે; જીણા જીણા મોતીડાં વરસે ધ્યાન અખંડી જો ધરે. તે ઉપરાંત દાસી જીવણ મસ્ત કવિ પણ હતા, પરંતુ આ મસ્તપણુ શુરવીરતાયુકત હતુ.

દાસી જીવણ કોઈ એક ગામમાં ગયેલા. તે ગામમાં તેમની પાછળ મોહિત થઈને એક બેન ચાલી નીકળી. તે બેનને સમજાવવા માટે એક પદ રચ્યુ જે શુ કરવા સુખ પારકા, સુખ માંડેલ હોય તો થાય જી, રૂપ દેખી નવ રાચિયે, પત પોતાની જાય. આમ ઈશ્વરના અપાર વિશ્વાસ પર તેમનુ જીવન આધારિત હતું. પોતાના ગુરૂ ભીમસાહેબને પ્રભુના સ્થાને ગણ્યા હતાં.

શિષ્ય પરંપરા:
મધ્યયુગના આ સંતકવિએ જનતાને વ્યવહારૂ આત્મવિધા આપી, આત્મવિકાસની સાથે ભ્રામક માન્યતાનું ખંડન કર્યુ. ધરતીને ખોળે ખેલનારા આ સંત અને ભક્ત પ્રજાજીવનના નીતિ અને આચારધર્મની આધારશીલા હતા. ગ્રામજીવનમાં આચાર ધર્મ માટેનાં આલંબન આજે પણ તેમના ભજનો બની રહ્યા છે. દાસી જીવણને પણ પોતાના જીવનકાળ દરમિયાન બે શિષ્યો થયા. જેમા એક હતા અરજણભગત અને બીજા હતા પ્રેમ સાહેબ. પ્રેમસાહેબ પછી તેમની બુંદશિષ્ય પરંપરા આગળ ચાલી અને તે પ્રેમવંશ કહેવાયા.

દાસી જીવણે તેમના જીવનકાળ દરમિયાન ઘણા બધા પરચાઓ આપ્યા હતા. તેમાનો એક જોઈએ તો પરબધામ-તા.ભેસાણની દેવીદાસબાપુની જે જગ્યા આવેલી છે ત્યા એકવાર ઘોઘાવદરથી દાસી જીવણ અને તેમના શિષ્ય તેમજ અન્ય માણસો સાથે ત્યા ગયા. તે વખતે દાસી જીવણ સંત કહેવાતા હતા. હવે બન્યુ એવુકે ત્યાના તે વખતના મહંત શાદુળભગત હતા. ત્યા દાસી જીવણ બધા સાથે રોકાયા હતાં. તે દરમિયાન જગ્યામાં પાણીનો કુવો હતો. દાસી જીવણ કુવા પાસે ગયા અને કહ્યુકે શાદુળભગત કુવામાં પાણી નથી ? જેથી જવાબ આપતા શાદુળભગતે કહ્યુકે ફરતી સીમનાં ગાયુનાં ધણ ધા નાખે છે. કસ જોવરાવ્યો પણ પાણી નથી. જેથી દાસી જીવણે કુવામાં ઉતરીને કસ જોઈ દેવા તૈયારી બતાવી. અને થોડીજ વારમાં ખાટલીમાં બેસાડીને જીવણદાસજીને કુવામાં ઉતાર્યા અને પછી દાસી જીવણના સંતપણાના પારખા લેવા શાદુળભગતે ખાટલી કુવામાંથી બહાર કઢાવી લીધી. પથ્થરોના તળ તપાસીને દાસી જીવણે કહ્યુકે મને હવે ઉપર સીંચી લ્યો. જેથી શાદુળભગતે કહ્યુકે એ નહી બને. આ કુવામાં પાણી આવ્યા વગર તમને બહાર નથી કાઢવા. તમે તો સંત છોને તો ત્યાજ પાણી આવે કરો તો જ હુ માનું. દાસી જીવણે કહ્યુકે અરે ભાઈ, મારામાં એવુ સત નથી. મારી આબરૂ ન લે. છતા શાદુળભગત ન માન્યા. અંતે દાસી જીવણે પોતાનો એકતારો દોરડા મારફત મંગાવ્યો અને દાસી જીવણે પ્રભુને રીજવવા અને પાણી લાવવા એક સાથે ચાર ભજન કુવામાં ગાયા હતાં. અને તે બાબત ઇતિહાસમાં પણ સાક્ષી પુરે છેકે તેમનાં દાસીપણા અને સંગીતનાં જોરે સુકેલા કુવામાં પાણી આવ્યા હતા. અને તે સમયે શાદુળભગત દાસી જીવણના પગે પડી ગયા અને તેમનુ દીલ દુભાયુ તે બદલ પસ્તાવા રૂપે વચન આપ્યુકે જ્યા લગી આકુવો છે તેમા કોઈ દિવસ આભળછેટ નહી લાગે અને અઢારેય વરણ તેમા પાણી પીસે. આમ દાસી જીવણે પરચો પુર્યો હતો. આ ઉપરાંત ગોંડલ સ્ટેટનાં કર ન ભરવા માટે થઈને જેલમાં પુર્યા હતાં. તે દિવસે પણ તેની પત રાખવા ખુદ ભગવાન કૃષ્ણએ તેમનો દંડ ભર્યો હતો અને દાસી જીવણને છોડાવ્યા હતા. ભગવાને દાસી જીવણને છોડાવવા માટે આપેલ કોરી આજે પણ ગોંડલ સ્ટેટના વારસદારો પાસે છે. આમ દાસી જીવણ કામ પણ ભગવાને કરેલા છે.

વંશ પરંપરા:
દાસી જીવણને સંતાનમાં એકજ પુત્ર દેશળ હતા, જે સમય જતા દેશળભગત તરીકે ઓળખાયા. દેશળભગતને સંતાનમાં એકમાત્ર પુત્રી હતા અને તેને ઘોઘાવદર પાસેના મોટા દડવા ગામે પરણાવેલા. જમાઈ સાતા ભગત ઘોઘાવદર રહેતા. સાતા ભગતને બે પુત્રો પુરણદાસ અને હમીરદાસ થયા. પુરણદાસના ત્રણ પુત્રો હિરદાસ, જીવાદાસ અને મંગળદાસ થયા. તેઓનાં વંશજો અત્યારે દાસીજીવણની જગ્યામાં પુજા વગેરે કામ સંભાળે છે.

સમાધીમંદીર:
આમ પોતાના જીવનમાં ભક્તિ કરતા કરતા ૭૫ વર્ષનું આયુષ્ય ભોગવીને સંવત ૧૮૮૧નાં વર્ષમાં ઘોઘાવદર ગામમાં સમાધી લીધી. તેમના સમાધિસ્થાન ઉપર મંદીર બંધાયુ છે. તેમાં દાસી જીવણ, તેમના પત્ની અને પુત્રની મુર્તિઓ છે. મંદીરની બાજુમાં જુના વખતની દેરી પણ જાળવી રાખવામા આવી છે. તેમના પગલા પુજાય છે. દાસી જીવણનાં એક ભકત અમરાબાપાના પગલા પણ દેરીની બાજુમાં આવેલા છે. તેમના વંશજ ગોંડલના કોન્ટ્રાકટર રાણાભાઈએ ૧૯૭૪મા સમાધીમંદીરનો જીર્ણોધાર કરાવી વર્તમાન મંદીર બંધાવ્યુ છે. સમાધીમંદીરના દ્વાર પર દાસી જીવણની વિશાળ કદની તસવીર લટકાવવામાં આવી છે.

પ્રચલિત ભજનો:

અજવાળું હવે અજવાળું
વારી વારી જાઉં રે
બંગલાનો બાંધનાર

સંત લખીરામ

             લક્ષ્મીસાહેબ મૂળ ગામ-ઇંગોરાળા જાતે મેઘવાળ સાધુ. માં-બાપ બચપણ થી જ મરણ પામેલ હોવાથી ભવાયા રમી ગુજરાન ચલાવતા.એક જ બેન હતા અને એમના લગ્ન રૂપાવટી ગામ થયેલ.... એક દિવસ ભવાયા નો ખેલ લક્ષ્મી સાહેબના બેન ના ગામ માં થયો....એ સમયમાં લાઈટ ના હોવાથી એ લોકો ગામમાંથી સૂતર ઉઘરાવતા અને એ સૂતર ને સળગાવી એના પ્રકાશમાં ભવાયા ની વેશ ભજવતા. લક્ષ્મી સાહેબ પણ સૂતર લેવા ગયા .. સમર્થ ગુરુ કરમણ સાહેબ ના ઘરે, કરમણસાહેબે સુતર આપતા કહ્યું-લખીરામ તું જે પુરબીયાનું ગીત " મેં પુરબીયા પુરબ દેશ સે આયા મેરા ભેદ ના જાને કોઈ" એ ગીત તું હવેથી નહિ ગાતો.... લખીરામ કહે હા બાપુ નહિ ગાવ.
પણ જેવો ભવાયા નો ખેલ ચાલુ થયો કે લખીરામ પુરબીયા બનીને પડ માં આવ્યા અને ગીત ચાલુ કર્યું
" મેં પુરબીયા પુરબ દેશ કા મેરા ભેદ ના જાણે કોઈ"
સામે જ ગુરુ કરમણસાહેબ બેઠા હતા એમને સાનમાં ઈશારો કરી નજીક બોલાવ્યા અને માથામાં ત્રણ થપાટ મારી..... અને પછી લખીરામ માંથી લક્ષ્મીસાહેબ થઈ ગયા અને એ જ સમયે ભીડમાં બેઠેલા પોતાના બેનને સંબોધી એક ભજન બોલ્યા

વરતાણી છે આનંદ લીલા‚ મારી બાયું રે !
બે ની રે ! મું ને ભીતર સદગુરુ મળિયા રે
બેની ! મું ને…૦
કોટિક ભાણ ઊગ્યા દિલ ભીતર‚ ભોમકા સઘળી ભાળી ;
શૂનમંડળમાં મેરો શ્યામ બિરાજે‚ ત્રિકુટિમાં લાગી મું ને તાળી…
મારી બાયું રે…
બેની ! મું ને…૦
અખંડિત ભાણ ઊગ્યા દલ ભીતરે‚ મું ને સાતે ય ભોમકા દરશાણી ;
કાળાં અંજન કરમણે આંજ્યાં‚ તનડામાં લાગી ગઈ છે તાળી…
મારી બાયું રે…
બેની ! મું ને…૦
અગમ ખડકી જોઈ ઉઘાડી‚ તિયાં સામા સદગુરુ દીસે ;
ખટ પાંખડીયાં સિંહાસન બેસી‚ ઈ ખાંતે ખળખળ હસે…
મારી બાયું રે…
બેની ! મું ને…૦
બાવન બજારૂં ને ચોરાશી ચૌટા‚ કંચનના મોલ કીના ;
ઈ મોલમાં મારો સદગુરુ બીરાજે‚ દોઈ કર જોડી આસન દીના…
મારી બાયું રે…
બેની ! મું ને…૦
ઘડીઘડીમાં ઘડિયાળાં વાગે‚ છત્રીસે રાગ રાગિણી ;
ઝળકત મહોલ ને ઝરૂખા-જાળિયાં‚ ઝાલરી વાગે જીણી જીણી…
મારી બાયું રે…
બેની ! મું ને…૦
પવન પૂતળી સિંગાસણ શોભતી‚ મારા નેણે નખ શિખ નીરખી ;
અંગનાં ઓશીકાં ને પ્રેમનાં પાથરણાં‚ ગુરુજીને દેખી હું તો હરખી…
મારી બાયું રે…
બેની ! મું ને…૦
સોના જળમાં સહસ કમળનું‚ શોભે છે સિંહાસન ;
નજરો નજર દેખ્યા હરિને‚ તોય લોભી નો માને મંન…
મારી બાયું રે…
બેની ! મું ને…૦
સત-નામનો સંતાર લીધો‚ ગુણ તખત પર ગયો ;
કરમણ-શરણે લખીરામ બોલ્યા‚ ગુપત પિયાલો અમને પાયો…
મારી બાયું રે…
બેની ! મું ને…૦