કોઈ વાતમાં માખણ લગાવી નહીં શકું
તથ્ય છું તો છું, તથ્ય મિટાવી નહીં શકું
અત્તર છું ફૂલની જેમ સુગંધ આપી શકું
ખુદાની જેમ છોડને વિકસાવી નહીં શકું
નમન કરી દિલથી પ્રાર્થના પણ કરી શકું
કઠોર પાણામાં ચેતન જગાવી નહીં શકું
ઘણું સમજાવ્યા બાદ પણ સમજે નહીં
સત્ય જણાવી શકું, બદલાવી નહીં શકું
જેને જવું છે એને જવા દો એના રસ્તે
મરજીથી જનારાને અટકાવી નહીં શકું
હુન્નર હજાર જાણું છે લોકને છેતરવાના
જાતના ખોટા સિક્કાને વટાવી નહીં શકું
હે જીવ ઘડીક તો ખોળિયામાં તો રહેજે
તારા વિના એક પળ વિતાવી નહીં શકું
તોડી શકું સર્વ બંધનો જે મેં બાંધ્યા હતા
તે દોરેલી લક્ષ્મણ રેખા વટાવી નહીં શકું
અફસોસ મૃત્યુ પછી એજ રહેશે 'તથ્ય '
કદીય ખુદની કબર શણગારી નહીં શકું
No comments:
Post a Comment